________________
૪: સંઘનું પ્રતિનિધિત્વ કોણ ધરાવી શકે ? વીર સં. ૨૪૫૭, વિ. સં. ૧૯૮૦, માગસર વદ-૨, બુધવાર, તા. ૧૮-૧૨-૧૯૨૯
• ધર્મની આડે રાજ્યસત્તાને લાવનારની મનોદશા : • આપણે નામના નહિ પણ ગુણના પૂજારી છીએ :
સાચા અને ખોટામાં મધ્યસ્થ રહેવું એ ગુણ નથી : • શ્રી સંઘનું પ્રતિનિધિત્વ ધરાવનાર વ્યક્તિઓ કેવી હોય ?
ધર્મની આડે રાજ્યસત્તાને લાવનારની મનોદશાઃ
શ્રીસંઘની સ્તુતિમાં સૂત્રકાર પરમર્ષિએ, નગરની ઉપમાથી શ્રી સંઘની સ્તવના કર્યા પછી, ચક્રની ઉપમા આપીને સ્તવના કરી. જે કારણે જેની પૂજ્યતા માનવામાં આવે તે જો જાણવામાં જ ન આવે, તો આરાધકને તેની આરાધના કરવામાં બહુ મુશ્કેલી ઊભી થાય છે. જેમ દેવ-ગુરુને પણ “સુ” રૂપે જાણ્યા વિના કે ધર્મનું સ્વરૂપ ઓળખ્યા વિના એની આરાધના થતી નથી, તેમ શ્રીસંઘનું સ્વરૂપ જાણ્યા વિના શ્રીસંઘની પણ આરાધના થઈ શકતી નથી. વધુમાં જેમ દેવ-ગુરુ-ધર્મના વિષયમાં આશાતના થાય છે, તેમ અહીં પણ આશાતના થાય છે. જેમ દેવ-ગુરુ-ધર્મ પૂજ્ય છે, તેમ શ્રીસંઘ પણ પૂજ્ય છે. “દેવ તો અરિહંત જ; ગુરુ તો નિગ્રંથ જ; ધર્મ તો શ્રી જિનેશ્વરદેવે કહ્યો તે જ”
જેમ, આ સ્વરૂપ બારીકીથી વિચારીએ છીએ, તેમ શ્રીસંઘનું સ્વરૂપ પણ ( બારીકીથી વિચારવું જોઈએ.
- શ્રીસંઘના નામે જ્યારે સાચી કે ખોટી વસ્તુ બહાર પડે ત્યારે તો એ નિર્ણય કરવો જ જોઈએ કે શ્રીસંઘ કોણ ? અને તે કઈ વસ્તુ બહાર પાડી શકે ??” - અજ્ઞાન જનતામાં કુદેવ પણ સુદેવ તરીકે પુજાય છે, કુગુરુ પણ સુગુરુ તરીકે પુજાય છે, કુસંઘ પણ સુસંઘ તરીકે પુજાય છે. આથી કુદેવની સેવાથી બચાવવા જેમ સુદેવનું, કુગુરુના ફંદામાંથી બચાવવા જેમ સુગુરુનું અને કુધર્મથી બચાવવા જેમ સુધર્મનું વર્ણન કરવું પડે, તેમ કુસંઘની સેવામાં પડેલાને બચાવવા માટે સુસંઘના સ્વરૂપને વર્ણવવું પડે, એમાં આશ્ચર્ય શું છે ? જેમ દેવ, ગુરુ અને ધર્મ પણ “સુ” હોય તો જ સેવ્ય ગણાય, તેમ સંઘ પણ “સુ” એટલે કે તે, તે ગુણોએ કરીને સહિત હોય તો જ સેવ્ય ગણાય એમાં પ્રશ્ન શો?