________________
૪૬૪
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ - જ સમજે કે, આ યોગ્ય છે કે અયોગ્ય છે, એટલે તે તારકો તો અયોગ્ય ઉપર ઉપકાર કરવાને ન પણ બોલે, પણ અમારાથી તો એકદમ એમ ન જ થાય.
અમારે તો સમજાવવાની મહેનત કરવી એ જ ફરજ. આજે નહિ તો કાલે સમજશે, એમ ધારીને પણ અમારે તો એ મહેનત જારી રાખવાની; કારણ કે, આ અયોગ્ય જ છે એવી ખાતરી કરવાની અમારામાં શક્તિ નથી, એટલે વિશિષ્ટ જ્ઞાનીઓની પ્રવૃત્તિ સાથે આજ્ઞા મુજબ વર્તવાની જેઓ માટે આજ્ઞા છે. તેવા છબસ્થોની પ્રવૃત્તિનો મેળ ન જ મેળવાય.
ભગવાને પહેલી દેશના માત્ર કલ્પ પૂરતી આપી પણ અધિક કેમ ન આપી ? એનો ઉત્તર એ જ છે કે, એ પરમતારકે જોયું કે, “કોઈ સર્વવિરતિને યોગ્ય નથી, એટલે કે, અહીં કોઈને સર્વવિરતિની પ્રાપ્તિ થવાની નથી. એમ : જાણ્યું એટલે ન આપી.
સભા: એ વાતને શાસ્ત્રમાં આશ્ચર્ય રૂપ કેમ કહેવાય છે ?
એ વાત આશ્ચર્યરૂપ એટલા જ માટે કહેવાય છે કે, “શ્રી જિનેશ્વરદેવોની દેશના કદી જ નિષ્ફળ નથી જતી; એટલે કે, એ તારકની પ્રથમ દેશનાથી કોઈને સર્વવિરતિની પ્રાપ્તિ નથી થતી એમ નથી બનતું અને ભગવાન શ્રી મહાવીર પરમાત્માની પ્રથમ દેશનામાં એમ બન્યું, માટે જ એ આશ્ચર્ય ગણાય છે. વળી શ્રી તીર્થંકરદેવને તો સંઘ સ્થાપવાનો હોય છે, તો કહો કે, સંઘમાં પહેલાં કોણ ? ખ્યાલમાં રાખજો કે, પાઘડીવાળા અર્થાતુ ગૃહસ્થો પ્રથમ નહિ, પણ સાધુઓ જ પહેલા. સાધુ-સાધ્વી પ્રથમ અને તે પછી શ્રાવક અને શ્રાવિકા.
આથી સમજો કે, છદ્મસ્થને, પ્રયત્નને આધીન ફળ છે, ત્યારે શ્રી સર્વજ્ઞદેવ તો ફળ જોઈને પ્રયત્ન કરે; એથી જ ત્યાં ભગવાન, કલ્પ પૂરતી જ ક્ષણવાર દેશના આપીને વિહાર કરી ગયા અને તે પણ રાત્રીએ ! ત્યાંથી અપાપા નગરી પધાર્યા, કે જ્યાં ઇંદ્રભૂતિ આદિ અગિયાર કે જે ગણધરદેવો થયા તે તથા બીજા પણ સર્વવિરતિ લેનારાઓ તૈયાર હતા. શ્રી જિનેશ્વરદેવો પહેલી પોરસી દેશના દે, બીજી પોરસી શ્રી ગણધર ભગવાનો દેશના દે, ત્રીજી પોરસી ખાલી રહે અને ચોથી પોરસીએ ભગવાન દેશના દે. આ સ્થિતિ છતાં પણ પહેલી દેશનામાં તેવી સામગ્રી ન જોઈ, તો કલ્પ પૂરતી ક્ષણ માત્ર દેશના દઈ ભગવાન ત્યાંથી રાતના ને રાતના જ વિહાર કરી ગયા. એથી એ વાત સિદ્ધ જ છે કે, અનંત, શક્તિવાળા આત્માઓ પણ પોતાની અનંત શક્તિનો ઉપયોગ અયોગ્ય આત્માઓ ઉપર કરતા જ નથી, માટે અયોગ્યમાં યોગ્યતા ન આવે એથી શ્રી તીર્થકરદેવમાં શક્તિ નહોતી એમ ન બોલાય.