________________
269
૨૩ : આપતિ તારક ! આગમમતિ તારક ! -23
૨૬૯
ઇલેક્ટ્રિસિટીના સંબંધમાં ઃ
મૂંઝવણના નામે અનેક વિપરીત વાતો કરનારે લખ્યું છે કે -
“એક સાધુ સાથે ઇલેક્ટ્રિસિટી સંબંધી વાત થતાં, એણે એકદમ મક્કમ મત જણાવી દીધો કે, ‘એને જિનમંદિરમાં દાખલ ન જ કરી શકાય.’ જ્યારે એને પૂછવામાં આવ્યું કે, બનાવટી વીજળી માટે તેમણે શું વાંચ્યું છે ? કેટલા પ્રયોગો કર્યા છે ? ત્યારે ‘શરમાવે તેવું અજ્ઞાન તેમણે બતાવ્યું.’ તેઓને કહ્યું કે, વીજળી તો ફોર્સ (બળ) છે, અજીવ છે. ત્યારે ‘તેઓ એકદમ ઊભા થઈ ગયા અને જીવ ન હોય તો પ્રકાશ ક્યાંથી આવે છે ?’ એમ પૂછવા લાગ્યા. જ્યાં જ્યાં પ્રકાશ હોય ત્યાં ત્યાં જીવ હોય એમ વ્યાપ્તિ તેઓ કરે છે કે કેમ ? એમ પૂછતાં પાછા હઠી ગયા અને આખરે અધર્મી, નાસ્તિક, વક્ર, જડ વગેરે વાક્યરચના કરી બતાવી.”
આ લખાણમાં કેટલું અપમાન અને કેવી ઘાતકી મશ્કરી છે ? આવાઓ પોતાની જાતને આસ્તિક મનાવવા મથે, એ કઈ રીતે ચાલે ? જેના વાક્યે વાક્યે સાધુપુરુષનું અપમાન તરવરે, જેની વાતવાતમાં અનંત જ્ઞાનીઓની આજ્ઞા પ્રત્યેની અવગણનાનું દર્શન થાય અને જે પ્રસંગે પ્રસંગે સાધુ-પુરુષોને ઉતારી પાડવાની જ કુચેષ્ટાઓ કરે, તેનામાં જો નાસ્તિકતા નિવાસ ન કરે તો પછી નાસ્તિકતા બીજે રહે પણ ક્યાં ?
જેનો પાવર ચાલુ રાખવા માટે ચોવીસે કલાક એક સરખી રીતે આરંભ અને સમારંભ ચાલુ રહે, જેના પાવરના યોગે પંચેંદ્રિય જીવોનો જાન પણ જોખમમાં મુકાય, તેવી કાયમી પાપપ્રવૃત્તિથી ઘેરાયેલી વસ્તુને શ્રી જિનમંદિરમાં દાખલ નહિ કરવાનો અભિપ્રાય આપનાર સાધુપુરુષને “૧. બનાવટી વીજળી માટે તમે શું વાંચ્યું છે ? ૨. કેટલા પ્રયોગ કર્યા છે ?” આવા પ્રશ્નો પૂછવા એ ઉન્મત્ત મનોદશા નથી ?
એક પંચમહાવ્રતધારી સાધુપુરુષને પ્રયોગ કરવાનું પૂછવું, એ અજ્ઞાનતા યા સાધુપણાની મશ્કરી છે. આવી મશ્કરીમાં અનંતજ્ઞાનીની આજ્ઞા પ્રત્યેની અવગણના સિવાય બીજું શું છે ?
આવા ઉદ્ધાત પ્રશ્નો પૂછનારે સમજવું જોઈએ કે, આરંભ અને સમારંભ વગેરેના અખતરા રસપૂર્વક કરવા, કરાવવા અને પાછા એને ધર્મ તરીકે મનાવવા, કામ તો બહુલ સંસારી આત્માઓનું જ હોઈ શકે છે; પણ સાધુપુરુષોનું તો નહિ જ.
વીજળી એ ફોર્સ છે, અજીવ છે' આટલું સાંભળવા માત્રથી જ એક