SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ અવિદ્યાનું લક્ષણ - પ્રથમ સંસ્કાર ઉત્પન્ન થતાં સંસ્કારોત્પત્તિની પરક્ષણે અનુભવનો નારા થાય છે. તેથી જે અનુભવ નિત્ય છે તે સંસ્કારનો જનક કદી બનતો નથી. નિત્ય અનુભવથી જન્ય સંસ્કારનો સ્વીકાર કરવાની જરૂર પણ નથી. કાલાન્તરે જ્ઞાન થાય એટલા ખાતર જ અનુભવથી સંસ્કાર અને સંસ્કારથી સ્મૃતિ માનવી પડે છે. અનુભવ નિત્ય હોય તો નિત્ય અનુભવ દ્વારા જ કાલાન્તરે પણ વિષયનું સ્ફુરણ હોય છે જ. તેથી સ્મરણની આવશ્યક્તા જ ક્યાં રહી ? અનુભૂયમાન વસ્તુ સ્મર્યમાણ નથી. તેથી જે જે સ્થળે અવિદ્યાનું સ્મરણ અનુભવસિદ્ધ હોય તે તે સ્થળે જ અવિદ્યાવિષયક જન્મઅવિદ્યાવૃત્તિનો સ્વીકાર કરવામાં આવ્યો છે. સાક્ષિચૈતન્ય અવિનાશી છે. તેથી સાક્ષીરૂપ નિત્ય અનુભવથી સંસ્કાર ઉત્પન્ન થઈ શકે નહિ જ. નૈયાયિક-વૈરોષિકના મતે ઈશ્વરનો અનુભવ નિત્ય હોઈ ઈશ્વરને કોઈ વસ્તુનું સ્મરણ થઈ શકે નહિ. ઈશ્વરનો નિત્ય અનુભવ સંસ્કારનો જનક નથી. અને સંસ્કાર વિના તો સ્મૃતિ થાય નહિ. વિવરણાચાર્ય ઈશ્વરના અવિદ્યાવૃત્તિરૂપ અનુભવને જન્ય (અનિત્ય) ગણે છે. તેથી ઈશ્વરના જન્ય અનુભવથી સંસ્કાર અને સંસ્કારથી સ્મૃતિ થાય છે. ઈશ્વરને અતીત વિષયની સ્મૃતિ થાય છે એ વાતનો વિવરણાચાર્યે સ્વીકાર કર્યો છે. ૬ ઈશ્વરના અતીતવિષયક સ્મરણ દ્વારા જ ઈશ્વરના સર્વજ્ઞત્વનું તેમણે સમર્થન કર્યું છે.' તેથી જ શુક્તિરજત સાક્ષિભાસ્ય હોવા છતાં શુક્તિરજતવિષયક જન્ય અવિદ્યાવૃત્તિનો સ્વીકાર કરવામાં આવ્યો છે. જો શુક્તિરજતવિષયક જન્ય અવિદ્યાવૃત્તિરૂપ અનુભવનો સ્વીકાર કરવામાં ન આવે તો કાલાન્તરે શુક્તિરજતની સ્મૃતિ ઘટે નહિ, કારણ કે સાહ્નિરૂપ નિત્ય અનુભવ તો સંસ્કારનો જનક નથી અને સંસ્કાર વિના તો સ્મૃતિ સંભવે નહિ. કાલાન્તરે શુક્તિરજતની સ્મૃતિ માટે અનિત્ય જ્ઞાન પણ સ્વીકારવું પડે. તેથી જ શુક્તિરજતવિષયક અવિદ્યાવૃત્તિનો સ્વીકાર કરવામાં આવ્યો છે. સાક્ષિભાસ્યવસ્તુવિષયક જન્યઅવિદ્યાવૃત્તિ સ્વીકારવામાં ન આવે તો કાલાન્તરે તે જ સાક્ષિભાસ્ય વસ્તુની સ્મૃતિ થઈ શકે નહિ. તેથી નવ્ય અદ્વૈતવેદાન્તીઓ સાક્ષિભાસ્યવસ્તુવિષયક • જન્ય અવિદ્યાવૃત્તિ સ્વીકારે છે. પરંતુ નૃસિંહાશ્રમ વગેરે પ્રાચીન અદ્વૈતવેદાન્તીઓ સાક્ષિભાસ્યવસ્તુવિષયક જન્ય અવિદ્યાવૃત્તિનો સ્વીકાર ર્યા વિના જ સાક્ષિભાસ્યવસ્તુવિષયક સ્મૃતિને ઘટાવે છે. આ પ્રાચીન રીતિનો વિચાર પ્રસ્તુત મૂળ ચર્ચાને સહાયક ન હોઈ, તેને છોડી દઈએ છીએ. જે હો તે, મૂળ ચર્ચાનો દોર પકડીએ. પ્રલયકાળે અંવિદ્યાવિષયક અવિદ્યાવૃત્તિ હોતી નથી, એટલે અવિદ્યા કલ્પિત હોવા છતાં દોષજન્ય ધીમાત્રારીર નથી. તેથી દોષજન્ય જ્ઞાનમાત્રરારીર શુક્તિરજતની જેમ અવિદ્યામાં સાદિત્યની આપત્તિ આવતી નથી. અવિદ્યા સાદિ હોય તો અનાદિત્વઘટિત અવિદ્યાલક્ષણમાં અસંભવદોષ આવે. પરંતુ અવિદ્યા તો કલ્પિત હોવા છતાં અનાદિ છે. બધી કલ્પિત વસ્તુઓ સાદિ નથી. તે જ કલ્પિત વસ્તુ સાદિ છે જેનો કલ્પક સાદિ હોય. સાદિકલ્પવત્ત્વને કારણે જ કલ્પિત વસ્તુમાં સાદિત્વ આવી શકે. કેવળ કલ્પિતત્વને કારણે જ સાહિત્વ થાય નહિ. અવિદ્યાનું કલ્પક અવિદ્યોપહિત ચૈતન્ય છે. આ અવિદ્યાનું કલ્પક અવિદ્યોપહિત ચૈતન્ય અનાદિ હોઈ અવિદ્યામાં સાદિકલ્પકવત્ત્વ નથી. આનાથી ઊલટું, સાદિ શુક્તિરજતનો કલ્પક સાદિ છે. શુક્તિરજતના અધિષ્ઠાનના જ્ઞાનવાળો જ શુક્તિરજતનો કલ્પક છે. અને તે અધિષ્ઠાનજ્ઞાન સાદિ હોઈ શુક્તિરજતનો કલ્પક અનાદિ નથી. સાદિકલ્પકવત્ત્વનો અર્થ છે – જેનો કલ્પક અર્થાત્ દ્રષ્ટા સાદિ છે. તેથી સાદિકલ્પવાળી કલ્પિત વસ્તુ જ સાદિ હોય છે. અવિદ્યા અનાદિકલ્પવાળી કલ્પિત વસ્તુ હોઈ અનાદિ છે.
SR No.005850
Book TitleAvidyavichar
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherSanskrit Sanskriti Granthmala
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy