________________
૭૬
ઉપદેશમાળા
પૌત્ર છે; અને હે વત્સ ! તારા પિતા સાથે પણ મારે છ સંબંધ છે. (૧) તે મારો પતિ છે, (૨) મારો પિતા છે, (૩) મારો જ્યેષ્ઠ બંઘુ છે, (૪) મારો પુત્ર છે, (૫) મારો સસરો છે, અને (૬) મારો પ્રપિતા (પિતાનો પિતા ) છે. તારી માની સાથે પણ મારે છ સંબંઘ છે. (૧) તે મારી ભ્રાતૃપત્ની (ભોજાઈ) છે. (૨) મારી સપત્ની (શોક) છે. (૩) મારી માતા છે, (૪) મારી સાસુ છે, (૫) મારી વહુ છે, અને (૬) મારી માતામહી (બાપની મા) છે.' એ પ્રમાણે સાધ્વીનાં વચન સાંભળી આ ભવનું આગળનું સ્વરૂપ જાણી કુબેરસેનાએ વ્રત ગ્રહણ કર્યું અને સંસારના પારને પામી.” એ પ્રમાણે હે પ્રભવ! આ સંસારમાં અનંતવાર દરેક સંબંધ થયેલાં છે. કોણ કોનું છે? ઘર્મ એ જ પરમ બંઘુ છે.”
પ્રભવે ફરીથી કહ્યું “હે જંબૂકુમાર ! તમે જે કહ્યું તે ખરું છે. પરંતુ ‘જેને પુત્ર નથી તેની સદ્ગતિ થતી નથી' એવું પુરાણવાક્ય છે. તેથી ભોગ ભોગવીને અને પુત્રને ઘરે મૂકીને પછી સંયમમાં મન રાખજો.” જંબૂકુમારે કહ્યું કે “પુત્ર હોય તો સુગતિ થાય અને તે ન હોય તો કુગતિ થાય એવો કાંઈ નિયમ નથી; એ તો સંસારી જીવોનો કેવલ મોહજન્ય ભ્રમ છે. જેમ મહેશ્વરદત્તને પુત્ર કામમાં આવ્યો નહીં તેમ.’’ પ્રભવે પૂછ્યું કે ‘તે મહેશ્વરદત્ત કોણ હતો ?’ જંબૂકુમારે કહ્યું કે સાંભળ– મહેશ્વરદત્તની કથા
“વિજયપુર નગરમાં મહેશ્વરદત્ત નામે એક શ્રેષ્ઠી હતો. તેને મહેશ્વર નામે એક પુત્ર હતો. મહેશ્વરદત્તે પોતાના મરણસમયે પુત્રને કહ્યું કે ‘મારા શ્રાદ્ધના દિવસે એક પાડાને મારીને તેના માંસથી આપણા સઘળા પરિવારને તૃપ્ત કરજે.' પછી મહેશ્વરદત્ત મરી ગયો. પુત્રે પિતાનું વચન યાદ રાખ્યું. મહેશ્વરદત્ત મરીને વનમાં પાડો થયો. મહેશ્વરની માતા ઘરમાં બહુ મોહ હોવાથી મરીને તે જ ઘરમાં કૂતરી થઈ. દૈવયોગે શ્રાદ્ધને દિવસે તે જ પાડો આણ્યો. મહેશ્વરની શ્રી વ્યભિચારિણી હતી. તેની સાથે ક્રીડા કરનારા જારપુરુષને મહેશ્વરે મારી નાંખ્યો. તે મરીને તેને જ ઘરે પુત્રપણે ઉત્પન્ન થયો. તેને લાડ લડાવવામાં આવે છે. હવે પેલા પાડાને મારી નાખવામાં આવ્યો, અને કુટુંબીઓએ તે પાડાનું માંસ ભક્ષણ કર્યું. એવે સમયે શ્રી ધર્મઘોષ નામના મુનિ ગોચરી માટે ત્યાં પધાર્યા. તેમણે મહેશ્વરના ઘરનું સઘળું ચરિત્ર જ્ઞાનથી જાણીને કહ્યું કે—
मारितो वल्लभो जातः पिता पुत्रेण भक्षितः । जननी ताड्यते सेयं अहो मोहविजृंभितम् ॥ જારને મારી નાંખવાથી તે પુત્રરૂપે વલ્લભ (પ્રિય) થયો, પાડા થયેલા પિતાને પુત્રે ભક્ષણ કર્યો; અને કૂતરી થયેલી માતાને તાડન કરવામાં આવે છે. અહો! મોહનો વિલાસ વિચિત્ર છે.’