________________
૩૬
ઉપદેશમાળા
‘ઋષભ ! ઋષભ!’ એ નામનો જપ કરતા એવા પોતાના પિતામહી ‘મરુદેવા’ને ગજ ઉપર બેસાડીને ભરત રાજા ઋષભ સ્વામીને વંદન કરવા ચાલ્યા. માર્ગમાં ભરતે મરુદેવાને કહ્યું કે “માતા! તમે તમારા પુત્રની સમૃદ્ધિ જુઓ. તમે મને હમેશાં કહેતા હતા કે ‘મારો પુત્ર વનમાં ભટકે છે અને દુઃખ અનુભવે છે, પરંતુ તું તેની સંભાળ કરતો નથી.' આ પ્રમાણે દરરોજ મને ઓળંભો આપતા હતા; પણ હવે તમારા પુત્રનું ઐશ્વર્ય જુઓ.’’
એ અવસરે ચોસઠ ઇંદ્રોએ એકઠા થઈને સમવસરણ રચ્યું. કરોડો દેવદેવીઓ એકઠા મળ્યાં. વિવિધ પ્રકારનાં વાજિંત્રોનાં શબ્દોથી ગગનમંડળ ગાજી રહ્યું. જયજય શબ્દો સાથે ગીતગાનપૂર્વક પ્રભુ સિંહાસન ઉપર બેસીને દેશના આપવા લાગ્યા. તે વખતે દેવદુંદુભિનો ધ્વનિ અને જયજયનાં શબ્દો સાંભળીને મરુદેવા માતા કહે છે : ‘આ શું કૌતુક છે?” ભરતે કહ્યું કે ‘આ તમારા પુત્રનું એશ્વર્ય છે.’ મરુદેવા વિચારે છે કે ‘અહા! પુત્રે આટલી બધી સમૃદ્ધિ મેળવી છે ?’ એ પ્રમાણે ઉત્કંઠા પૂર્વક આનંદાશ્રુ આવવાથી તેમનાં બન્ને નેત્રનાં પડલ ખુલી ગયાં અને સર્વ પ્રત્યક્ષ જોયું. જોઈને વિચાર્યું કે “અહો ! આ ઋષભ આવું ઐશ્વર્ય ભોગવે છે ! પરંતુ એણે મને એક વાર સંભારી પણ નથી. હું તો એક હજાર વર્ષ પર્યંત પુત્રમોહથી દુઃખિત થઈ અને પુત્રનાં મનમાં તો મોહનું કિંચિત્ કારણ પણ જણાતું નથી. અહો! મોહની ચેષ્ટાને ધિક્કાર છે! મોહાંધ માણસો કંઈ પણ જાણતા નથી.’’ એ પ્રમાણે વૈરાગ્યમાં મગ્ન થવાથી તેઓ ક્ષપકશ્રેણી ઉપર આરૂઢ થયા અને આઠ કર્મનો ક્ષય કરી અંતકૃત કેવલી થઈને મોક્ષે ગયા. દેવતાઓએ મહોત્સવ કર્યો. ઇંદ્ર આદિ સર્વ દેવોએ સમવસરણમાંથી ત્યાં આવીને મરુદેવા માતાના શરીરને ક્ષીરસાગરના પ્રવાહમાં વહેતું મૂક્યું. પછી શોકમગ્ન ભરતને અગ્રેસર કરીને સૌ સમવસરણમાં આવ્યા. ભરત પ્રભુને ત્રણ પ્રદક્ષિણા કરીને યથાયોગ્ય સ્થાને બેઠા અને પ્રભુની દેશના સાંભળી તેમનો શોક નષ્ટ થયો. દેશનાને અંતે પ્રભુને વાંદી શ્રાવક ધર્મ અંગીકાર કરી અયોધ્યામાં આવ્યા, અને પછી ચક્રનો ઉત્સવ કર્યો.
આઠ દિવસ ગયા પછી ચક્ર પૂર્વ દિશામાં ચાલ્યું. ભરત રાજા પણ દેશ જીતવા માટે ચક્રની પાછળ સૈન્ય સહિત ચાલ્યા. એકેક યોજનનું દરરોજ પ્રયાણ કરતાં કેટલેક દિવસે પૂર્વ સમુદ્રના કિનારે આવી સૈન્યનો પડાવ નાખ્યો. ત્યાં ભરતે અઠ્ઠમનું તપ કર્યું; અને માગધ નામના દેવનું મનમાં ધ્યાન કરીને સ્થિત રહ્યા. ત્રણ દિવસ પછી રથમાં બેસી સમુદ્રના જળમાં રથની ધરી પર્યંત પ્રવેશ કરી પોતાના નામથી અંકિત બાણને ધનુષ્યમાં સાંધીને તે દેવ પ્રત્યે છોડ્યું. તે બાણ બાર યોજન જઈને માગઘદેવની સભામાં સિંહાસન સાથે અથડાઈને ભૂમિ ઉપર પડ્યું. બાણને જોઈ માગઘદેવ ક્રોધાયમાન થઈ ગયો. પછી તે બાણ હાથમાં લઈ તેના પરના