________________
(૧) રણસિંહ કથા
૨૧
જ
કહ્યું છે કે ‘કર્મના ઉદયથી જ અન્ય ભવમાં ગતિ થાય છે, ભવગતિથી જ શરીરની ઉત્પત્તિ થાય છે, શરીરપ્રાપ્તિથી જ ઇંદ્રિયોના વિષયો ઉદ્ભવે છે, અને ઇંદ્રિયોના વિષયોથી જ સુખ દુઃખ ઉત્પન્ન થાય છે. પ્રાણાતિપાતાદિ પાંચ આસ્રવદ્વારને સેવતો સતો આ જીવ નિતાંત પાપકર્મથી લેપાય છે અને ભવસાગરમાં ડૂબે છે. હિંસા આદિ આસ્રવને તજ્યા વિના ધર્મ ક્યાંથી હોય ?’
વળી કહ્યું છે કે ‘લક્ષ્મીથી ગૃહસ્થપણું શોભે છે, નેત્રથી મુખ શોભે છે, રાત્રિથી ચન્દ્રમા શોભે છે, ભર્તાથી સ્ત્રી શોભે છે, ન્યાયથી રાજ્ય શોભે છે, દાનથી શ્રી (લક્ષ્મી) શોભે છે, પરાક્રમથી રાજા શોભે છે, નીરોગીપણાથી કાયા શોભે છે, શુદ્ધતાથી કુળ શોભે છે, નિર્મદપણાથી વિદ્યા શોભે છે, નિર્દભપણાથી મૈત્રી શોભે છે, અને દયાથી ધર્મ શોભે છે; બીજી રીતે ધર્મ શોભતો નથી.' એ કારણથી આસ્રવ ભવનો હેતુ છે અને સંવર નિવૃત્તિનું અસાધારણ કારણ છે એવો સિદ્ધાંત છે. તેટલા માટે હે વત્સ! તારો સજ્જન સ્વભાવ કલિ પુરુષના છલથી વિપરીત થયેલો છે; પરંતુ દુર્જનપણું યુક્ત નથી.
કહ્યું છે કે ‘કોપાયમાન સર્પના મુખરૂપ ગુફાને વિષે હસ્ત નાંખવો સારો, જ્વલિત અગ્નિનાં કુંડમાં પડવું સારું, પેટમાં શસ્ત્રની અણી ભોંકવી સારી, પણ વિપત્તિનું ઘર એવું દુર્જનપણું પંડિતોને સારું નહીં.' કલિ પુરુષના કહેવાથી તું પાપમતિ ધારણ કરે છે, પરંતુ દુષમાકાળરૂપ કલિ શું કહે છે તેનો તું વિચાર કરતો નથી. દુષમાકાળ તે વળી રૂપધારી હોય ? તેથી એ કોઈ દુષ્ટ દેવ તરફથી ઉપદ્રવ થયેલો જણાય છે. તું પણ તેનાથી છેતરાયો છે. કારણ કે કલિ પુરુષના ઉપદેશથી કરવામાં આવેલા હિંસા આદિ કર્મથી શું માણસ નરકગતિમાં નથી જતો? શું કળિયુગમાં વિષભક્ષણ કરવાથી માણસ મૃત્યુવશ નથી થતો? કલિકાળમાં પણ જેવું કર્મ કરે તેવું ફળ પ્રાપ્ત થાય છે.’’
એ પ્રમાણે જિનદાસ ગણિનાં વચનો સાંભળીને રણસિંહે ચક્ષુ ખોલીને નીચું મુખ કર્યું, અર્થાત્ શરમાયો. એટલે જિનદાસગણિએ ફરી કહ્યું કે ‘“હે વત્સ! તારા પિતાનું વાક્ય સાંભળીને પ્રતિબોધ પામ. કલિપુરુષના દર્શનથી તું ઠગાયો છે એમ અવધિજ્ઞાનથી જાણીને તારા પિતા શ્રી ધર્મદાસગણિએ તને પ્રતિબોધ આપવા ‘ઉપદેશમાળા’ રચેલી છે તે તું સાંભળ. તેમાં કહેલું છે કે ‘જેવી રીતે રાજા આજ્ઞા કરે છે અને પ્રધાન આદિ પ્રકૃતિમંડલ તથા સામાન્ય પૌરલોકો તેની આજ્ઞાને મસ્તકે ચડાવે છે તેવી રીતે શિષ્યે પણ ગુરુની આજ્ઞાને કરકમળ જોડી શ્રવણ કરવી.’ વળી બીજું પણ કહ્યું છે કે ‘સાધુ મુનિરાજની સન્મુખ જવું, તેમને વંદન તથા નમસ્કાર કરવા, શાતા પૂછવી વગેરે કરવાથી લાંબા કાળનાં સંચિત કરેલાં પાપકર્મ એક ક્ષણમાં નષ્ટ થાય છે.’ વળી એમાં જ કહ્યું છે કે ‘લાખો ભવે પણ જે પામવા દુર્લભ