________________
૨૨૧
(૫૯) મરુદેવી માતાની કથા
• મરુદેવી માતાની કથા . જ્યારે શ્રી ઋષભસ્વામીએ ચારિત્ર ગ્રહણ કર્યું ત્યારે ભરત રાજા રાજ્યના અઘિકારી થયા. ભરતને દરરોજ મરુદેવી માતા ઉપાલંભ આપતા હતા કે “હે વત્સ! તું રાજ્યસુખમાં મોહ પામ્યો છે, તેથી મારા પુત્ર ઋષભની તું કાંઈ સારસંભાળ લેતો નથી. હું લોકોના મુખથી એવું સાંભળું છું કે તે મારો પુત્ર વર્ષ થયાં અન્ન જળ વિના ભૂખ્યો તરસ્યો અને વસ્ત્ર વિના એકાકી અરણ્યમાં વિચરે છે, તાપાદિક સહન કરે છે અને બહુ દુઃખને અનુભવે છે, માટે એક વાર તું મારા પુત્રને અહીં લાવ. તેને હું ભોજન આપું અને એક વાર પુત્રનું મુખ જોઉં.”
તે સાંભળીને ભરતે કહ્યું કે હે માતાજી! તમે શોક ન કરો, અમે સોએ સો પુત્રો તમારા જ છીએ.... માતા બોલ્યા, “હે વત્સ! તું કહે છે તે ખરું છે, પણ આમ્રફળની ઇચ્છાવાળા માણસને આંબલીના ફળથી શી તૃપ્તિ થાય? માટે તે ઋષભ પુત્ર વિના આ સર્વ સંસાર મારે મન તો શુન્ય જ છે.” આ પ્રમાણે દરરોજ ઉપાલંભ આપતા તથા પુત્રના વિયોગથી રુદન કરતા મરુદેવી માતાના નેત્રમાં પડળ આવ્યાં.
એવી રીતે એક હજાર વર્ષ વ્યતીત થયાં. શ્રી ઋષભસ્વામીને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. તે વખતે ચોસઠ ઇન્દ્રોએ આવીને સમવસરણ રચ્યું. વનપાળ, ભરત રાજાને તેની વઘામણી આપી. તે જાણીને ભરત રાજા મરુદેવી માતા પાસે આવી તે વૃત્તાંત કહીને બોલ્યા કે “હે માતા! તમે મને હંમેશાં ઉપાલંભ આપતા હતા કે મારો પુત્ર ટાઢ તડકા વગેરેની પીડાને અનુભવે છે અને એક્લો જ વનમાં વિચરે છે, તો આજે મારી સાથે તમે ચાલો એટલે તમારા પુત્રનો વૈભવ હું તમને બતાવું.”
- તે વચન સાંભળીને પુત્રદર્શન માટે અતિ ઉત્સુક થયેલી મરુદેવી માતાને હસ્તીના રૂંઘપર બેસાડીને ભરતરાજા સમવસરણ તરફ ચાલ્યા. સમવસરણ નજીક પહોંચતાં દેવદંદુભિનો શબ્દ સાંભળીને મરુદેવી માતાને હર્ષ થયો અને દેવ તથા દેવીઓના જય જય શબ્દો સાંભળીને તેમની રોમરાજી વિકસ્વર થઈ, નેત્રોમાં અશ્રુ આવ્યાં તેથી તરત જ તેમનાં નેત્રપડળ ઊઘડી ગયાં. એટલે સમવસરણના ત્રણ પ્રકાર, અશોક વૃક્ષ તથા છત્ર ચામરાદિક સર્વ તેમણે પ્રત્યક્ષ દીઠું.
આવી ઉપમા રહિત પ્રાતિહાર્યની સમૃદ્ધિ જોઈને માતા મનમાં વિચાર કરવા લાગ્યા કે “અહો! આ સંસારને ધિક્કાર છે, અને મોહને પણ ધિક્કાર છે! હું તો એમ જાણતી હતી કે મારો પુત્ર એક્લો વનમાં ભૂખ્યો તરસ્યો ભટકતો હશે, પરંતુ એ તો આટલી બધી સમૃદ્ધિ પામ્યો છે, તે છતાં પણ તેણે મને કોઈ વખત સંદેશો સરખો પણ મોકલ્યો નહીં અને હું તો તેના પરના મોહને લીધે હંમેશાં દુઃખી થઈ. આવા કૃત્રિમ અને એકતરફી સ્નેહને ધિક્કાર છે! પુત્ર કોણ અને માતા પણ કોણ?