________________
ઉપદેશમાળા
ચક્રના બળથી આ ભરતક્ષેત્રના છ ખંડ જીતીને વિશેષ લોભી બની ઘાતકી ખંડમાં આવેલા ભરતક્ષેત્રને સાધવા ચાલ્યો. અડતાળીશ ગાઉના વિસ્તારવાળા ચર્મરત્ન ઉપર પોતાના સર્વ સૈન્યને સ્થાપીને લવણસમુદ્રની ઉપર થઈને ચાલ્યાં જતાં સમકાળે ચર્મરત્નના અધિષ્ઠાયક હજારે દેવોએ ચર્મરત્ન મૂકી દીધું એટલે ચર્મરત્ન ને સૈન્યસહિત જળમાં ડૂબીને તે મરણ પામ્યો અને અતિશય પાપકર્મના યોગથી સાતમી નરકે ગયો. એ પ્રમાણે સંબંધીઓનો સ્નેહ પણ કૃત્રિમ છે, એવો આ કથાનો ઉપદેશ છે.
૨૦૨
कुल घर नियय सुहेसु अ, सयणे य जणे अ निच्च मुणिक्सहा । विहरति अणिस्साए, जह अजमहागिरी भयवं ॥१५२॥
અર્થ—“મુનિવૃષભો શ્રેષ્ઠ મુનિઓ (ધર્મધુરંધર હોવાથી) કુળ એટલે કુટુંબ, ઘર, પોતાના સંબંધીઓ તથા ગ્રામનગરાદિજન્ય સુખમાં તેમજ સ્વજનમાં અને સામાન્ય લોકમાં નિરંતર અનિશ્રાએ (કોઈના પણ આલંબન વિના) વિચરે છે, જેમ આર્ય મહાગિરિ ભગવંત નિશ્રા વિના વિચર્યા હતા તેમ.’’
આર્યમહાગિરિ પ્રબંધ
શ્રીસ્થૂલિભદ્રસૂરિને આર્યમહાગિરિ અને આર્યસુહસ્તી નામે બે શિષ્યો હતા. તે બેમાં મોટા શ્રી આર્યમહાગિરિસૂરિએ આર્યસુહસ્તીસૂરિને ગણશિક્ષા (ગચ્છનું શિક્ષણ અર્થાત્ ગચ્છ) સોંપ્યું અને પોતે વિશેષ વૈરાગ્યથી જિનકલ્પની તુલના કરવાને માટે ઉદ્યુક્ત થઈ એકલા વિચરવા લાગ્યા. તે વિશેષપણે ક્રિયામાં ઉદ્યમવંત રહે છે. જ્યારે શ્રી આર્યસુહસ્તીસૂરિ ગામની અંદર સમવસરે છે ત્યારે શ્રી આર્યમહાગિરિ ગામની બહાર રહે છે, એમ ગચ્છની નિશ્રાએ વિહાર કરે છે.
એકદા શ્રીઆર્યસુહસ્તીસૂરિ વિહાર કરતાં પાટલીપુત્ર પધાર્યા. ત્યાં આર્યમહાગિરિ ક્ષેત્રના છ વિભાગ કરીને પાંચ પાંચ દિવસ સુધી એક એક વિભાગમાં ભિક્ષાર્થે જાય છે અને નીરસ આહાર ગ્રહણ કરે છે. એક વખત શ્રી આર્યસુહસ્તી સૂરિ વસુભૂતિ શ્રાવકના કુટુંબને પ્રતિબોધ કરવા માટે તેને ઘેર ગયા હતા અને ઘર્મદેશના આપતા હતા. તે સમયે શ્રી આર્યમહાગિરિ અજાણતાં વસુભૂતિને ઘેર ભિક્ષાર્થે આવ્યાં. તેમને જોઈ આર્યસુહસ્તીસૂરિએ ઊભા થઈ વિનયપૂર્વક વંદન કર્યું એટલે આર્યમહાગિરિ ભિક્ષા ગ્રહણ કર્યા વિના પાછા વળી ગયા. વસુભૂતિ શ્રાવકે આર્યસુહસ્તી સૂરિને પૂછ્યું કે ‘જેમનો આપે આટલો વિનય કર્યો એ મહામુનિ કોણ છે ?’ ત્યારે આર્ય સુહસ્તીસૂરિએ કહ્યું કે ‘એ અમારા મોટા ગુરુભાઈ છે અને મહા અનુભવવાળી જિનકલ્પની તુલના કરે છે.' તે સાંભળીને વસુભૂતિ શ્રાવકે બીજે દિવસે આખા નગરમાં બધે ઉત્તમ આહાર કરાવ્યો. આર્યમહાગિરિએ તેને અકલ્પ્ય જાણી ગ્રહણ કર્યો નહીં. પછી ઉપાશ્રયે આવીને તેમણે આર્યસુહસ્તીસૂરિને ઓળંભો