________________
(૨૬) મેતાર્ય મુનિની કથા
૧૩૭
કરું. તેઓએ કહ્યું કે અમને વાજિંત્ર વગાડતાં આવડતું નથી. ત્યારે સાધુએ કહ્યું કે ‘મને નૃત્ય કરતાં પણ આવડતું નથી.' ત્યારે તેઓએ કહ્યું કે ‘તો અમારી સાથે મલ્લયુદ્ધ કર.' સાધુએ કહ્યું કે ભલે એમ હો. પછી સાગરચંદ્ર મુનિએ મલ્લયુદ્ધ કરતાં તે કળાનો પૂર્વે અભ્યાસ કરેલો હોવાથી તે બન્નેના શરીરસંધિ જુદા કરી નાખ્યા, અને બારણું ઉઘાડી પોતાનાં ઉપકરણો લઈ નગરની બહાર નીકળી વનમાં કાયોત્સર્ગમુદ્રાએ ધ્યાનમાં ઊભા રહ્યા.
અહીં રાજપુત્ર અને પુરોહિતપુત્ર બન્ને ઘણી વેદના થવાથી પોકાર કરવા લાગ્યા. એટલે રાજાએ આવીને પૂછ્યું કે ‘તમને શું થયું છે ?’ ત્યારે બીજા લોકોએ કહ્યું કે ‘અહીં એક મુનિ આવ્યા હતા, તેણે કંઈક કરેલું જણાય છે.' એટલે રાજા તે મુનિને ખોળતો વનમાં ગયો. ત્યાં પોતાંના મોટા ભાઈને જોઈ વાંદીને અરજ કરવા લાગ્યો કે હે સ્વામી! આપના જેવા મહાત્માઓને બીજાને પીડા કરવી ઘટતી નથી.' તે સાંભળી સાગરચંદ્રે કહ્યું કે ‘તું ચંદ્રાવતંસક રાજાનો પુત્ર પાંચમો લોકપાળ છે, છતાં સાધુઓને દુઃખ દેતાં તારા પુત્રને તેમજ પુરોહિતપુત્રને શા માટે અટકાવતો નથી ? આવો અન્યાય કેમ પ્રવર્તાવે છે ?’ ત્યારે મુનિચંદ્ર રાજાએ કહ્યું કે ‘મારો અપરાધ ક્ષમા કરો. તે પુત્રોએ જેવું કર્યું તેવું ફળ ભોગવ્યું. પરંતુ આપ પિતાને સ્થાને છો, માટે કૃપા કરીને તે બન્નેને સાજા કરો. આપના સિવાય તેઓનાં અસ્થિ ઠેકાણે લાવવા બીજો કોઈ શક્તિવાન નથી.' પછી બન્નેને સાગરચંદ્ર મુનિ સમીપે લાવવામાં આવ્યા. ત્યારે તેમણે કહ્યું કે જો જીવવાની ઇચ્છા કરતા હો તો સંયમ લેવાનું કબૂલ કરો. તેમણે એ પ્રમાણે કબૂલ કરવાથી તરત જ તેઓને સાજા કરવામાં આવ્યા, એટલે ચારિત્ર ગ્રહણ કરીને તેઓ સાથે જ નીકળ્યા.
એ બે મુનિમાં પુરોહિતપુત્ર જાતે બ્રાહ્મણ હોવાથી તેણે જાતિમદ કરવાને લીધે નીચ ગોત્ર બાંધ્યું. ચારિત્ર પાળીને પ્રાંતે તે બન્ને દેવતા થયા. તેઓ પરસ્પર સ્નેહવાળા હતા તેથી તેઓએ સંકેત કર્યો કે ‘આપણામાંથી જે પ્રથમ ચ્યવીને મનુષ્ય થાય તેને સ્વર્ગમાં રહેલા બીજાએ પ્રતિબોધ પમાડવો.' પછી કાળાંતરે પ્રથમ પુરોહિતનો જીવ ચ્યવીને રાજગૃહ નગરમાં ‘મહેર’ નામના ચંડાલના ઘરમાં મેતી નામની ભાર્યાની કુક્ષિમાં જાતિમદ કરવાથી અવતર્યો. તે ચંડાલની ભાર્યા તે શહેરમાં કોઈ શેઠને ઘેર હંમેશાં આવે છે. તેને શેઠની સ્ત્રી સાથે અત્યંત મૈત્રી થઈ છે. શેઠાણી મૃતવત્સા (છોકરાં જીવે નહીં તે) ના દોષવાળી હોવાથી તેને છોકરાં જીવતાં નથી. તે વાત તેણે ચાંડાલની સ્ત્રીને કહી. ત્યારે તેણે કહ્યું કે આ વખતે જો મને પુત્ર થશે તો હું તમને આપીશ. કાળે કરીને તેને પુત્ર જન્મ્યો એટલે તે પુત્ર તેણે શેઠાણીને ગુપ્તપણે આપ્યો. શેઠાણીએ પુત્રજન્મનો મહોત્સવ કરાવ્યો, અને મેતાર્ય એવું તે છોકરાનું નામ પાડ્યું. અનુક્રમે તે સોળ વર્ષનો થયો. તે અવસરે મિત્રદેવ