________________
૧૩૮
ઉપદેશમાળા (રાજપુત્રનો જીવ) પૂર્વનો સંકેત હોવાથી તેની પાસે આવીને તેને બોઘ કરવા લાગ્યો, પણ તે પ્રતિબોઘ પામ્યો નહીં.
અન્યદા તેના પિતાએ આઠ વણિકપુત્રીઓની સાથે તેનો વિવાહ કર્યો. તેના લગ્ન વખતે મિત્રદેવે આવી ચાંડાલસ્ત્રીના શરીરમાં પ્રવેશ કર્યો, તેથી તે લોકોને કહેવા લાગી કે આ મારો પુત્ર છે. તમે તેને પોતાની પુત્રીઓ શા માટે આપો છો? એનો વિવાહ તો હું કરીશ. એ પ્રમાણે કહી બળાત્કારે તે પુત્રને પોતાને ઘેર લઈ ગઈ. પછી દેવે ત્યાં આવીને મેતાર્યને કહ્યું કે તે મારું કહેવું કેમ કર્યું નહીં? જોયું, તારો કેવો તિરસ્કાર કરાવ્યો? માટે હજુ મારા કહેવા પ્રમાણે ચાલ અને ચારિત્ર ગ્રહણ કર.” મેતાર્યે કહ્યું કે “હું દીક્ષા કેવી રીતે ગ્રહણ કરું? તમે મને ચાંડાલ ઠરાવીને લોકોમાં હલકો પાડ્યો. તેથી જો તમે મને પાછો મોટો બનાવો, શેઠ મને પુત્ર તરીકે સ્થાપે અને શ્રેણિક રાજા પોતાની પુત્રી મને આપે તો હું ચારિત્ર લઉં.”
દેવે તે પ્રમાણે સઘળું કરવાનું કબૂલ કર્યું. પછી દેવે અશુચિને બદલે રત્નોની લીંડીઓ કરતો એક બકરો તેને ઘેર બાંધ્યો, અને ચાંડાલને પ્રેરણા કરી તેથી તેણે રત્નથી ભરેલો એક એક થાલ લઈ જઈને ત્રણ દિવસ સુધી શ્રેણિક રાજાને ભેટ કર્યો. ત્યારે અભયકુમારે પૂછ્યું કે “એટલાં બધાં રત્નો તારી પાસે ક્યાંથી?” તેણે કહ્યું કે મારે ઘેર તો બકરો રત્નોની લીંડીઓ કરે છે. ફરીથી અભયકુમારે પૂછ્યું કે તું અમને શા માટે રત્નો ભેટ કરે છે? ચંડાલે કહ્યું કે “રાજા મારા પુત્રને પોતાની પુત્રી પરણાવે, માટે હું ભેટ કરું છું.” રાજાએ કહ્યું કે “એમ કેમ બને?” અભયકુમારે કહ્યું કે એક વખત તું બકરાને અહીં લઈ આવ, પછી યથાયોગ્ય કરીશું.” તેણે બકરો લાવીને રાજાને ઘેર બાંધ્યો, એટલે ત્યાં તો તે દુfઘયુક્ત વિષ્ટા કરવા લાગ્યો. તે જોઈ અભયકુમારે રાજાને કહ્યું કે “આ કોઈ દેવનો પ્રભાવ જણાય છે, નહીં તો આ રાજપુત્રીની માગણી કેવી રીતે કરી શકે? માટે તેની પરીક્ષા કરવી જોઈએ. જે કાર્ય મનુષ્ય કરી શકે નહીં, તે કાર્ય જો તે કરે તો જરૂર તેમાં દેવનો પ્રભાવ ખરો.” આ પ્રમાણે વિચાર કરીને તેણે ચાંડાલને કહ્યું કે “જો આ રાજગૃહ નગરની આસપાસ નવો કિલ્લો કરી આપે, વૈભાર પર્વત ઉપર સેતુબંઘ (સડક) બાંધે, ગંગા, યમુના, સરસ્વતી ને ક્ષીરસાગર–એ ચારેને અહીં લાવે અને તેમના પાણીથી તારા પુત્રને નવરાવે તો શ્રેણિક રાજા પોતાની પુત્રી તેને આપે.”
દેવપ્રભાવથી અભયકુમારના કહેવા પ્રમાણે એક જ રાત્રિમાં બધું થયું. પછી તે જળવડે ચાંડાલપુત્રને નવરાવી, પવિત્ર કરીને રાજપુત્રી પરણાવી. એટલે પેલા વણિકોએ પણ પોતાની પુત્રીઓ પરણાવી. એ પ્રમાણે તેણે નવ સ્ત્રીઓની સાથે પાણિગ્રહણ કર્યું એટલે દેવે આવીને કહ્યું કે હવે દીક્ષા લે. ત્યારે મેતાર્યે કહ્યું કે હું હમણાં જ પરણેલો છું, તેથી બાર વર્ષ સુધી આ સ્ત્રીઓની સાથે વિષયસુખ