________________
દર્શનાચાર
૬૭
પશ્ચિમે મિત્રં સર્વાં - (આજના દિવસ દરમ્યાન મારાથી સમ્યક્ત્વના બાહ્ય આચારોના વિષયમાં જે કોઈ દોષોનું સેવન થયું હોય તે) સર્વનું હું પ્રતિક્રમણ કરું છું. જિજ્ઞાસા : મિથ્યામતિઓના સ્થાનમાં જવા, આવવા કે ઊભા રહેવામાં ‘સમ્યક્ત્વવ્રત’ કઈ રીતે દૂષિત થાય ?
તૃપ્તિ : મિથ્યામતિઓની દૃષ્ટિ ભ્રામક હોય છે. તેઓ સત્ય તત્ત્વથી વેગળા હોય છે. આ કારણે તેઓના આચારો, વિચારો અને ઉચ્ચારો સત્યમાર્ગથી મનને ચલવિચલ કરે તેવા હોય છે. તેમના કેટલાક આચારો આપાતથી રમ્ય લાગે પણ પરિણામે દારુણ હોય છે, જ્યારે જૈનમતના કેટલાક આચારો સામાન્યથી જોતાં રમ્ય ન પણ લાગે, પણ પરિણામે તે મધુર ફળ આપનારા હોય છે. જેમ કે, જૈનધર્મમાં બતાવેલી પારિષ્ઠાપનિકા સમિતિનું પાલન અર્થાત્ વ્રતધારીને બતાવેલી મળ-મૂત્રવિસર્જનની ક્રિયા આજના સુધરેલા વર્ગને સારી ન પણ લાગે, તો પણ તેનું ફળ સુંદર છે; કેમ કે આ ક્રિયા બીજા જીવોને પણ પીડા કરતી નથી? અને પોતાને પણ પીડાકારી બનતી નથી, જ્યારે અન્ય દર્શનીની શરીરશુદ્ધિની ક્રિયા ઘણા જીવો માટે પીડાકારી બને છે.
વળી પર્વ દિવસો આવતાં જૈનોમાં કરાતા ઉપવાસાદિ તપ જરૂ૨ કષ્ટકારી છે, છતાં કર્મનાશનું સાધન છે. જ્યારે અન્યમાં ફરાળી ઉપવાસ, નવરાત્રિ આદિ પર્વમાં થતા ગરબા વગેરે ઉપરછલ્લી નજરે સારા લાગે, પરંતુ પરિણામે ભયંકર હોય છે, જે સૌ કોઈને સમજાય તેવું છે.
વળી મિથ્યામતિઓના ક્યાંક થતા ચમત્કારો જોઈ ‘આ સારું છે, આમાં કાંઈક તથ્ય છે' તેવો ભાવ જાગ્રત થવાની સંભાવના છે. પરિણામે જીવ જિનમતની શ્રદ્ધાથી ચલિત પણ થઈ જાય છે. માટે તેનાથી બચવા સાવચેતીપૂર્વક આવાં સ્થાનોનો ત્યાગ કરવો હિતકારી છે, અને તેમાં જ આત્માનું કલ્યાણ છે. તેથી કહેવામાં આવ્યું છે કે, ઉચ્ચ કુળવધૂઓએ અનીતિના ધામમાં અવરજવર કરવી જેમ હિતાવહ નથી, તે જ રીતે સમ્યગ્દષ્ટિઓને પરધર્મીનાં સ્થાનોમાં જવું-આવવું વગેરે યોગ્ય નથી.
2. આ વિષયની વિશેષ સમજ માટે પૂ. હિતવિજયજી મ.સાનું ‘સમજીને સુધારી લઈએ' પુસ્તક જોવું.