________________
જ્ઞાનાચાર
૬૧
લીધા ત્યારે વિનંતી કરી કે પહેલાં મને પીલો, પછી બાળમુનિને હણો'. તે વિનંતી જ્યારે પાલકે ન સ્વીકારી ત્યારે સ્કન્દસૂરિને થયું કે “મારું આટલું પણ ન માને ?” ૪૯૯ શિષ્યોને નિર્ધામણા કરાવી મોક્ષ સુધી પહોંચાડનાર સ્કન્દ,સૂરિ પણ અહીં ચૂકી ગયા. માનને આધીન બની ગયા અને નિયાણું કરીને મરવાને કારણે વ્યંતરદેવ થયા. આ પ્રસંગમાં ક્રોધ કરવાનું બાહ્ય નિમિત્ત સારું હોવા છતાં તેમાં અપ્રશસ્ત માન ભળવાને કારણે પ્રશસ્ત પણ ક્રોધ અપ્રશસ્ત બની ગયો.
પ્રશસ્ત અને અપ્રશસ્ત કષાયોની આવી મર્યાદાઓને જાણી શ્રાવક સતત પોતાનાં ઇન્દ્રિયો, કષાય અને યોગને અપ્રશસ્ત માર્ગેથી વાળી પ્રશસ્ત બનાવવા પ્રયત્ન કરે છે, અને તે દ્વારા પોતાના રાગાદિ કષાયોને ઘટાડવા પ્રયત્ન કરે છે. આમ છતાં નિમિત્ત મળતાં ક્યારેક અનાદિકાળથી અભ્યસ્ત કુસંસ્કારો જાગૃત થઈ જાય છે અને પરિણામે સાધક, આત્માનું અહિત થાય, કષાયોની વૃદ્ધિ થાય તેવા માર્ગે વળી જાય છે. આથી તે નાનાં નાનાં નિમિત્તોમાં પણ નિરર્થક ક્રોધ કરે છે, ધન સંપત્તિની પ્રાપ્તિ માટેની તીવ્ર ઈચ્છાઓ કરે છે, પોતાનાં રૂપ-સૌંદર્યનો ગર્વ કરે છે, આવી સર્વ કાષાયિક પ્રવૃત્તિને અપ્રશસ્ત કષાયની પ્રવૃત્તિ કહેવાય છે.
સમ્યગુજ્ઞાનના માર્ગથી ચલિત થઈ જીવ જે આવા અપ્રશસ્ત કષાયો કરે છે, તેના કારણે જ્ઞાનાચારમાં દોષ લાગે છે. આ દોષ તીવ્ર કર્મબંધનું કારણ બને છે. તેનો નાશ કરવા માટે આ પદબોલતાં દિવસ દરમ્યાન થયેલા આવા કષાયોને યાદ કરીને તેની નિંદા-ગહ કરવાની છે. અપ્રશસ્ત યોગનું પ્રતિક્રમણ :
મૂળમાં ત્રણ યોગનો સ્પષ્ટ શબ્દો દ્વારા ઉલ્લેખ કર્યો નથી, તો પણ ઇન્દ્રિય અને કષાયની સાથોસાથ (ઉપલક્ષણથી) અહીં મન, વચન અને કાયારૂપ ત્રણ યોગોથી થતા દોષોની પણ નિંદા-ગહ કરવાની છે. આ યોગોનો વપરાશ પણ પ્રશસ્ત અને અપ્રશસ્ત એમ બે પ્રકારે થાય છે. તેમાં શુભ વિચાર, શુભ ચિંતન કે શુભ ધ્યાનમાં મનને પરોવવું તે પ્રશસ્ત મનોયોગ' કહેવાય છે. આત્મકલ્યાણના માર્ગે થતા વાણીના વ્યવહારને ‘પ્રશસ્ત વચન યોગ' કહેવાય છે અને પ્રભુભક્તિ, ગુરુભક્તિ કે અન્ય કોઈ પણ ઉચિત કાર્યોમાં થતી કાયાની પ્રવૃત્તિને “પ્રશસ્ત કાયયોગ' કહેવાય છે. તેનાથી વિપરીત થતા મન, વચન, કાયાના વ્યાપારને અપ્રશસ્ત મન, વચન, કાયાના યોગ કહેવાય છે. જેમ કે આર્ત કે રૌદ્રધ્યાનનું કારણ બને તેવું ચિંતન આદિ કરવું, કર્કશ અહિતકારી વાણી બોલવી, અનુચિત ક્રિયામાં કાયાને પ્રવર્તાવવી. .