SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ ‘વંદિત્તુ સૂત્ર’ દોષો માટે કયા પ્રકારે પ્રાયશ્ચિત્ત કરવું જોઈએ, તેની સમજ પ્રાપ્ત થાય છે. સમજ અનુસાર પ્રયત્ન કરવાથી દોષો નાશ પામતાં જાય છે. વળી ગુરુકૃપાથી આત્મામાં એક એવું સત્ત્વ પ્રગટે છે, કે જેનાથી પુનઃ પાપવૃત્તિ ઉત્પન્ન થતી નથી. ટૂંકમાં કહીએ તો નિંદાનું ફળ ગુરુ સુધી પહોંચવાનું છે અને ગર્હાનું ફળ માર્ગદર્શન મેળવવાનું છે. ૩૯ જિજ્ઞાસા : આ ગાથામાં વ્રત અને ચારિત્રાચાર વિષયક અતિચારોની નિંદા, ગર્હા કરી. ત્યાં પ્રશ્ન થાય કે વ્રત અને ચારિત્રાચાર શું જુદા છે ? કે એક જ છે ? વળી તેના અતિચારો પણ જુદા છે ? કે એક છે ? તૃપ્તિ : એક અપેક્ષાએ વિચારીએ તો ૧૨ વ્રતો અને ચારિત્રાચાર પણ જુદા છે, અને તેના અતિચારો પણ જુદા છે. ચારિત્ર એટલે અનેક ભવોથી એકઠાં કરેલા કર્મના સંચયને ખાલી કરે તેવી પ્રવૃત્તિ. કર્મને એકઠાં કરવાં તેને ‘ચય’ કહેવાય છે, અને એ સંચયને રિક્ત કરે એટલે ખાલી કરે, તેને ‘રિત્ત’ કહેવાય છે. ‘ચય’ અને ‘રિત્ત’ આ બે શબ્દોને ભેગા કરીને ‘ચારિત્ર’· શબ્દ બન્યો છે. આ ચારિત્ર બે પ્રકારનું છે : સર્વચારિત્ર અને દેશચારિત્ર. સર્વચારિત્રમાં હેયનો સર્વથા ત્યાગ હોય છે અને ઉપાદેયનો સર્વથા સ્વીકાર હોય છે; જ્યારે દેશચારિત્રમાં શક્તિ અનુસાર હેયનો આંશિક ત્યાગ અને ઉપાદેયનો આંશિક સ્વીકાર હોય છે. સર્વચારિત્ર પાંચ મહાવ્રત સ્વરૂપ છે, અને દેશચારિત્ર સમ્યક્ત્વ મૂલ બાર વ્રતસ્વરૂપ છે. આ બંને પ્રકારના ચારિત્રના પાલન માટે શાસ્ત્રોમાં પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિરૂપ આઠ આચારો બતાવ્યા છે. આ આઠ આચારોને શાસ્ત્રકારોએ ‘અષ્ટ પ્રવચન માતા' તરીકે વર્ણવ્યા છે. આ માતા ચારિત્રરૂપી બાળકને જન્મ આપે છે, તેનું પાલન-પોષણ કરે છે અને તેની વૃદ્ધિ પણ કરે છે. તેથી આ ચારિત્રના આઠ આચાર ચારિત્રના પરિણામના સર્જક, શોધક અને વર્ધક મનાયા છે. આમ, પાંચ મહાવ્રત અને સમ્યક્ત્વ મૂળ બાર વ્રતો એ ચારિત્રસ્વરૂપ છે, અને પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ એ ચારિત્રાચાર સ્વરૂપ છે. આ સૂત્રમાં આગળ જેનું વર્ણન કરેલું છે તે વધ, બંધ આદિ ૮૫ અતિચારો ચારિત્રના અતિચારો છે, જ્યારે સમિતિ-ગુપ્તિની અશુદ્ધિઓ તે ચારિત્રાચારના અતિચારો છે. 3. ‘ચય તે સંચય કર્મનો, રિત્ત કરે વળી જેહ' % ]]<hbl← -
SR No.005838
Book TitleSutra Samvedana Part 04
Original Sutra AuthorN/A
AuthorPrashamitashreeji
PublisherSanmarg Prakashan
Publication Year2006
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy