________________
વંદિત્ત સૂત્ર' શ્રાવક પ્રતિક્રમણ સૂત્ર
સૂત્ર પરિચય
આ સૂત્રના માધ્યમે શ્રાવકો પાપથી પાછા ફરવાની ક્રિયા કરતા હોવાથી તેને “શ્રાદ્ધ પ્રતિક્રમણસૂત્ર', “શ્રાવક પ્રતિક્રમણસૂત્ર' કે “સમણોપાસગ પડિક્કમણ સૂત્ત' પણ કહેવાય છે. આ સૂત્રની દરેક ગાથા અને પ્રત્યેક પદ; શ્રાવકને પોતાનું જીવન કઈ રીતે જીવવું, આત્માની અશુદ્ધિઓનો ત્યાગ કરી શુદ્ધ કેવી રીતે બનવું, પાપપ્રવૃત્તિથી પાછા વળી પુણ્યના માર્ગે કઈ રીતે આગળ વધવું, અનિયંત્રિત જીવનને નિયંત્રિત કઈ રીતે બનાવવું અને આત્માની વિરૂપ અવસ્થા ટાળી સ્વરૂપમાં સ્થિર કઈ રીતે થવું, તેનો માર્ગ બતાવે છે.
આત્માને પાપના માર્ગે ઢસડી જનારા પદાર્થો-ભાવો આ જગતમાં સંખ્યાતીત છે. શાસ્ત્રના મર્મને સમજેલ મહાસાત્ત્વિક શ્રમણ ભગવંતો જ આ સર્વ ભાવોનો ત્યાગ કરી શકે છે. સમ્યગદર્શનને વરેલા શ્રાવકની પણ ભાવના આ સર્વ પાપોનો ત્યાગ કરવાની હોય જ છે, પરંતુ અત્યારે તેઓ આ પાપોનો સર્વથા ત્યાગ કરી શકતા નથી. આમ છતાં વિવેકી શ્રાવક જેનો ત્યાગ કરી શકે છે, તેવા પદાર્થો પણ આ જગતમાં ઘણા છે. તે સર્વનો સંક્ષેપ કરી સર્વજ્ઞ ભગવંતે બાર વિભાગમાં વહેંચી તેના ત્યાગ સ્વરૂપે શ્રાવકજીવનને ઉચિત બાર વ્રતો બતાવ્યાં છે. આ બાર વ્રતો કે તેમાંથી ઓછાં વ્રતોના સ્વીકારને દેશવિરતિ કે દેશસંયમ કહેવાય છે, અને અહિતકારી સર્વ પાપોના ત્યાગને સર્વવિરતિ કે સર્વસંયમ કહેવાય છે.