________________
બીજું વ્રત
૯૭
બીજા વ્રતની પ્રતિજ્ઞા :
આ વ્રતનો સ્વીકાર કરતાં શ્રાવક એવી પ્રતિજ્ઞા કરે છે કે, ‘મારે કોઈનો જીવ બચાવવાના હેતુ સિવાય, પેટમાં પાપ રાખીને, જેનાથી અત્યંત સંક્લેશ થાય, કોઈનું જીવન જોખમમાં મુકાય, કોઈના વિશ્વાસનો ભંગ થાય તેવું મોટું જૂઠું બોલવું નહિ.'
જિજ્ઞાસા : ‘સત્ય જ બોલવું' - આ પ્રમાણે પ્રતિજ્ઞા ન કરતાં ‘મારે જૂઠું ન બોલવું' આવી પ્રતિજ્ઞા સૂચવવા પાછળ શું કારણ હશે ?
તૃપ્તિ : સત્ય ક્યારેક કડવું અને કોઈ જીવનું અહિત કરનારું પણ હોય છે. જેમ કે, શિકારી પૂછે કે “પ્રાણી કઈ બાજુ ગયું ?” આ પ્રશ્નનો જો સાચો ઉત્તર અપાય તો પ્રાણીનું જીવન જોખમમાં મુકાય. તેથી આવા અવસરે સત્ય ન બોલતાં મૌન રાખવું જ યોગ્ય છે. માટે ‘સત્ય બોલવું જ' તેવી પ્રતિજ્ઞા ન કરતાં દીર્ઘદર્શી મહાપુરુષોએ ‘અસત્ય ન બોલવું' તેવી પ્રતિજ્ઞા બતાવી છે.
મોટાં જૂઠાણાં :
‘મોટું જૂઠું ન બોલવું.’ આ પ્રમાણેની શ્રાવકની પ્રતિજ્ઞાવિષયક જે પાંચ મોટાં જૂઠાણાં છે, તેને શાસ્ત્રમાં આ પ્રમાણે કહ્યાં છે ૧-કન્યાલીક, ૨-ગવાલીક, ૩-ભૂમ્યલીક, ૪-(સાપહાર, ૫-કૂટસાક્ષી.
૧. કન્યાલીક : કન્યા સંબંધી જૂઠું બોલવું.
-
પોતાની કે અન્યની કન્યા સંબંધી લેવડ-દેવડનો પ્રસંગ આવે ત્યારે શ્રાવકે તટસ્થ રહેવું જોઈએ. કન્યા જેવી છે તેવું જ તેનું નિરૂપણ કરવું જોઈએ, જેથી પાછળથી કોઈને પસ્તાવાનો કે વૈર ઊભું થવાનો સમય ન આવે. આમ છતાં રાગને આધીન થઈ કન્યાની લેવડ-દેવડમાં, નઠારી, ગુણહીન કે ખોડખાંપણવાળી કન્યા હોય તોપણ તેને સારી, ગુણવાન કે લક્ષણવંતી કહેવી, અને દ્વેષને આધીન થઈ સારી, ગુણિયલ, લક્ષણવંતી કન્યાને ખરાબ, ગુણહીન લક્ષણહીન કહી, કોઈકની સાથે કોઈનું જોડાણ કરી આપવું, કે જોડાણ થતાં અટકાવવું; આ મોટું જૂઠાણું છે. આનાથી ઘણાંનાં જીવન જોખમાય છે. માટે આવું જૂઠાણું કોઈ પણ શ્રાવકે કદી ન બોલવું. કન્યાના ઉપલક્ષણથી વર સંબંધી કે અન્ય કોઈપણ દ્વિપદ સંબંધી પણ આવું જૂઠું ન બોલવું.
૨. ગવાલીક : ગાય સંબંધી જૂઠું ન બોલવું.
ગાયની લે-વેચ કરવાના અવસરે, પોતાના સ્વાર્થ ખાતર અલ્પ દૂધ આપતી ગાયને વધુ દૂધ આપનારી, અને વધુ દૂધ આપતી ગાયને અલ્પ દૂધ આપનારી