________________
જે કિંચિ સૂત્ર
સૂત્ર પરિચય :
પરમતારક શ્રીગણધરભગવંતોએ રચેલા આ સૂત્રમાં સર્વ તીર્થોને વંદના કરવામાં આવી છે. તેથી જ તેનું બીજું નામ “તીર્થનંદના” સૂત્ર છે. આત્મા જેના આલંબનથી આ ભયાનક સંસારસાગરથી તરી શકે તેને તીર્થ કહેવાય છે. નિશ્ચયનયથી તો આત્મા પોતાના જ પ્રયત્નથી સંસારસાગર તરે છે, તોપણ તીર્થો અને જિનબિંબો સંસારસાગર તરવામાં એક પ્રબળ આલંબન પૂરું પાડે છે. આથી તેને તીર્થ કહેવાય છે. - આજ સુધીમાં અનંતા આત્માઓ આવાં તીર્થાદિના સુંદરતમ આલંબનને પામીને સંસારસાગર તરી ગયા. વર્તમાનમાં પણ આવાં સુંદર આલંબનોને સ્પર્શીને કેટલાય આત્માઓ આત્મકલ્યાણના માર્ગે અવિરતપણે આગળ વધી રહ્યા છે. તેમ જ ભાવિમાં પણ આ તીર્થો અને જિનબિંબોનાં આલંબનોને પામીને અનંતા આત્માઓ તરવાના છે. આ વિષમ સંસારથી પાર પામવાના આશયથી આ સૂત્રમાં સર્વ તીર્થોને વંદન કરવામાં આવે છે. - આ તારનાર તીર્થો બે પ્રકારનાં છે. ૧. સ્થાવર તીર્થ, ૨. જંગમ તીર્થ. શત્રુંજય આદિ તીર્થસ્થાનો સ્થિર છે, તેથી તેને સ્થાવર તીર્થ કહેવાય છે. અનંતા મહાત્માઓએ આ અતિપવિત્ર ભૂમિ ઉપર પોતાનું પરમ કલ્યાણ કર્યું છે. જો કે, વીતેલા અનંતકાળમાં તો સર્વ ભૂમિઓ પરથી અનંતા આત્માઓ મોક્ષે ગયા છે. • તોપણ તીર્થભૂમિને પામીને શ્રેયને સાધનારા, કેવલજ્ઞાન પામનારા અન્ય ક્ષેત્ર કરતાં કેઈગણાં અધિક છે, તેથી આવાં ક્ષેત્રો સંસારતારણની ક્રિયામાં એક પ્રબળ નિમિત્તરૂપ છે. આ કારણે તેને સ્થાવર તીર્થ કહેવામાં આવે છે.