________________
૧૨.
સૂત્રસંવેદના-૨
મનને પ્રસન્ન રાખી શકે છે. તેઓ વિઘ્નો આવતાં પોતાના કર્તવ્યથી કે ધર્મથી લેશ પણ ચલિત થતા નથી. ધીરજ ખોઈ વિહ્વળ બની જવું એ એક અનુચિત પ્રવૃત્તિ છે અને સત્વહીનતાનું પ્રદર્શન છે. સત્ત્વહીન પુરુષો જ સંકટમાં સ્વકર્તવ્યનો વિચાર છોડી પરને ગુનેગાર ગણે છે. આવી અધીરાઈ કે સત્ત્વહીનતા ઉચિત પ્રવૃત્તિ કરનાર જીવમાં હોતી નથી.
૪. શક્તિપૂર્વકનો ત્યાગ : શક્તિ અનુસાર ત્યાગ કર્યા વિના ઔચિત્યયુક્ત જીવન જીવી શકાતું નથી, આથી ઔચિત્યસભર જીવ પ્રામાણિકપણે પોતાની શક્તિનો વિચાર કરીને ધર્મનો સ્વીકાર કરે છે, તેથી શક્તિથી ઉપરવટ જઈને : પણ કોઈ કાર્ય કરતો નથી અને શક્તિથી ઓછું કાર્ય પણ કરતો નથી.
૫. લબ્ધલશ્યતા : એટલે લક્ષ્ય નક્કી કરી તે પ્રમાણે જ ક્રિયા કરવી. સાંસારિક ક્ષેત્રમાં સર્વત્ર જણાય છે કે, જે વ્યક્તિનું લક્ષ્ય નક્કી હોય છે, તે વ્યક્તિ પોતાના લક્ષ્યને અનુરૂપ ઉચિત ક્રિયાઓ કરે છે. તેવી જ રીતે જે વ્યક્તિનું મોક્ષપ્રાપ્તિનું - શુદ્ધ આત્મસ્વરૂપને પ્રગટ કરવાનું લક્ષ્ય નક્કી હોય તે જ વ્યક્તિ સર્વત્ર પોતાના લક્ષ્યને અનુરૂપ કષાયને સ્પર્યા વગર ઉચિત પ્રવૃત્તિ કરી શકે છે. માટે લબ્ધલક્ષ્ય વ્યક્તિ ચૈત્યવંદનનો અધિકારી ગણાય છે.
શુદ્ધ ચૈત્યવંદન કરવાની ઇચ્છાવાળા દરેક સાધકે આ પંદરે પંદર ગુણો પ્રાપ્ત કરવા અવશ્ય પ્રયત્ન કરવો જોઈએ. ' ચૈત્યવંદનને યોગ્ય ચિત્ત
ચૈત્યવંદનના પ્રારંભ પૂર્વે ચૈત્યવંદન ક્રિયા યોગ્ય માનસિક સ્થિતિનું નિર્માણ કરવા સાધક વિચારે કે,
“અરિહંતની વંદના સ્વરૂપ આ ચૈત્યવંદન ચિંતામણિરત્ન અને કલ્પવૃક્ષથી પણ અધિક છે કેમ કે, ચિંતામણિરત્ન અને કલ્પવૃક્ષ તો પરિમિત અને અલ્પકાલિન ભૌતિક સુખ આપી શકે છે. જ્યારે આ ચૈત્યવંદના તો અપરિમિત અને અનંતકાળ રહેનાર આત્મિક સુખ આપે છે. વળી, પરમાત્માને કરેલી વંદના સકળ કલ્યાણનું કારણ છે. મિથ્યાત્વરૂપી જળથી ભરેલા અને અનેક કુમતરૂપી જળચર જીવોથી વ્યાપ્ત આ સંસારસમુદ્રમાં આમથી તેમ અથડાતા વિકલ્પોના વમળમાં ફસાતા, આપત્તિના ખડકો સાથે અથડાતા, આયુષ્ય પણ જ્યાં ક્ષણ-બે ક્ષણમાં વિનાશ પામી શકે તેવું છે, એવા સંસારમાં મનુષ્યપણું પ્રાપ્ત કરીને પણ ઘણાં જીવોને જે પ્રાપ્ત થયું નથી તે પરમાત્માનું વંદન મારા કોઈ પરમ ભાગ્યોદયથી આજે મને પ્રાપ્ત