________________
સૂત્રસંવેદના-૨
હોય, તે જીવ ધર્મનો અર્થી કહેવાય છે. આવી જ રીતે, શાસ્ત્રકારોએ સૂત્ર ભણવાનો અર્થી તેને કહ્યો છે, ૧. જે સૂત્ર પ્રરૂપક ગુરુનો વિનય કરનાર હોય, ૨. સમ્યગ્ પ્રકારે ગુરુભગવંત પાસે તે તે સૂત્રાદિને જાણવા માટે આવેલો હોય અને ૩. જે વાત ન સમજાય તેને જિજ્ઞાસાવૃત્તિથી પૂછતો હોય.
૨. સમર્થ : સમર્થ હોવું એટલે સક્ષમ હોવું. અનુષ્ઠાન માટે શાસ્ત્રમાં જે વિધિ બતાવી હોય તે વિધિના પાલનની ક્ષમતા અને તત્પરતાવાળા હોવું. વિધિમાર્ગના સેવનમાં દૃઢ રહી લોક શું કહેશે તેનો વિચાર ન કરવો. વળી તે માર્ગનું સેવન કરતાં ક્યારેક અબુધ કે અધર્મી એવા સ્વજનો અણગમો વ્યક્ત કરે કે અશિષ્ટ અને અજ્ઞાની લોકો નિંદા કરે તો તેના ભયથી આત્મહિતકર ક્રિયાનો ત્યાગ ન કરવો, પરંતુ તે સર્વની ઉપેક્ષા કરી, શાસ્ત્રવિધિ અનુસાર કાર્ય કરવા તત્પર રહેવું આ જ સમર્થતા છે.
૩. શાસ્ત્રથી અનિષિદ્ધ : જેને શાસ્ત્રકારોએ ધર્માચરણ માટે અયોગ્ય ગણ્યો હોય તે શાસ્ત્રથી નિષિદ્ધ કહેવાય. શાસ્ત્રકારો કહે છે, જેઓ પોતાના કુળને કલંક લાગે, પોતાના આત્માનું અહિત થાય તેવું આલોક્ર પરલોક વિરુદ્ધ કાર્ય કરનાર આત્માઓ ધર્મ માટે અયોગ્ય છે. કેમ કે, આવા આત્માઓને ધર્મનું પ્રદાન કરવાથી તેના નિમિત્તે ધર્મની નિંદા થવાની શક્યતાઓ છે. આથી ધર્મ કરનાર આત્મા પોતાના કુળને જે ઉચિત હોય તે પ્રકારે જ જીવન વ્યવહાર કરનાર જોઈએ.
સૂત્ર ભણવારૂપ ધર્મના અધિકારી માટે અર્થી-સમર્થ અને શાસ્ત્રથી અનિષિદ્ધ એવાં જે લક્ષણો બતાવ્યાં, તે તેવા જીવોમાં જ ઘટે કે, જેમને સૂત્રાદિ પ્રત્યે બહુમાનનો પરિણામ હોય, જેમનામાં સૂત્ર અને અર્થ ભણવાની શાસ્ત્રમાં બતાવેલી વિધિનું પાલન કરવાની તત્પરતા હોય અને જેનો જીવન વ્યવહાર ઔચિત્યપૂર્ણ હોય.
જગતમાં પણ જોવા મળે છે કે, જે જીવ જેનો અર્થી હોય તે જીવ તેના પ્રત્યે બહુમાનભાવવાળો હોય જ છે. વળી તે કાર્ય માટે સમર્થ તે જ જીવ કહેવાય છે કે, જેનામાં કાર્ય જે રીતથી થતું હોય તે પ્રકારે કરવાની તત્પરતા હોય. ઉપરાંત કાર્ય માટે નિષેધ પણ તેનો જ કરાતો નથી કે, જેનો અન્ય વ્યવહાર પણ યોગ્ય દેખાતો હોય. સૂત્રાદિ ધર્મ પ્રત્યે આપણા હૈયામાં બહુમાનનો પરિણામ છે કે નહીં, તેની ચોક્સાઈ માટે શાસ્ત્રકારોએ નીચે મુજબ તેનાં પાંચ લક્ષણો બતાવેલ છે.