________________
સૂત્રસંવેદના-૨
પ્રગટે છે. બોધની સૂક્ષ્મતાના અભાવે અને ચારિત્ર મોહનીયના તેવા પ્રકારના ઉદયને કા૨ણે તેઓ સંપૂર્ણપણે શાસ્ત્રાનુસારી ક્રિયા કરી શકતા નથી. છતાં તેઓની આ આભ્યાસિક ક્રિયાને વ્યવહારનય માન્ય રાખે છે અને તેથી જ આ નય અપુનર્બંધકાદિ જીવોને પણ ચૈત્યવંદનના અધિકારી તરીકે સ્વીકારે છે.
અપુનર્બંધક જીવોને સ્થૂલ રીતે અને અવિરત સમ્યગ્દષ્ટિને સૂક્ષ્મ રીતે પરમાત્માના ગુણોનું જ્ઞાન છે, ગુણવાન એવા પરમાત્મા પ્રત્યે સમજ પ્રમાણે બહુમાનનો પરિણામ પણ હોય છે. આથી ગુણના બહુમાનસૂચક તેમણે કરેલ ચૈત્યવંદનની ક્રિયા સફળ થાય છે.
તે સિવાયના જીવો કે, જેમને ભગવાનના ગુણોની પરખ કે, ભગવાનના ગુણો પ્રત્યે બહુમાનનો પરિણામ પણ નથી તેઓની ચૈત્યવંદનની ક્રિયાને પૂ.. આ. હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ લલિતવિસ્તરા ગ્રંથમાં માયાચાર - એક પ્રકારના આડંબરરૂપ કહી છે, કેમ કે, ચૈત્યવંદનની આ ક્રિયા ગુણના બહુમાન ભાવને સૂચવનારી ક્રિયા છે. ગુણ પ્રત્યે બહુમાનના પરિણામ વિના બહુમાન સૂચક એવા ચૈત્યવંદનના સૂત્રોનું ઉચ્ચારણ સૂક્ષ્મ દૃષ્ટિથી જોતાં માયાચાર સ્વરૂપ જ બની રહે છે.
જો કે આ વાત નિશ્ચયનયની છે. નિશ્ચયનયને માન્ય એવા અધિકારને જેઓ પામી શક્યા નથી, તેવા સાધકે આ વાત સાંભળી ગભરાઈ ન જવું. ભગવાન પ્રત્યે બહુમાનભાવ નથી, માટે અમારી ક્રિયા માયારૂપ છે, તેમ માની ક્રિયા કરવાનું છોડી પણ ન દેવું, પરંતુ પરમાત્માના ગુણોની પરખ થાય, તેમના પ્રત્યે ભક્તિ અને બહુમાનનો પરિણામ વધતો જાય તે માટે સુયોગ્ય ગુરુ પાસે અરિહંતની ઓળખ કરાવનારાં ‘નમોત્થ છું' આદિ સૂત્રો અને તેના અર્થ સાંભળવા, સાંભળ્યા પછી તેના ઉપર ખૂબ ઊંડું ચિંતન કરવું, વારંવાર તેનું પરિશીલન કરી આત્માને તે ભાવોથી ભાવિત કરવા સતત પ્રયત્ન કરવો. તે ભાવો માટે હૃદયપૂર્વક પરમાત્માને જ પ્રાર્થના કરવી અને સમ્યગ્ ચૈત્યવંદન કરવાની ભાવનાથી જ તેના અભ્યાસરૂપે વારંવાર ચૈત્યવંદન કરવું. આ રીતે વારંવાર ચૈત્યવંદન કરવાથી ધીમે ધીમે મોહનીય કર્મ નબળું પડે છે. બોધની નિર્મળતા પ્રાપ્ત થાય છે અને પરમાત્માના ગુણોની ઓળખ વધુ ગાઢ થતી જાય છે. પરિણામે ક્રિયા કરતાં કરતાં સૂક્ષ્મભાવો સુધી પહોંચી શકાય છે અને ક્રિયા કરવાના સંસ્કારો પડે છે. તેથી પ્રભુ સાથે તાદાત્મ્ય સાધવાના આશયથી સ્વચ્છ અંત:કરણથી • મન-વચન-કાયાની શક્તિનો પૂર્ણ ઉપયોગ કરી ચૈત્યવંદનનો અભ્યાસ ચાલુ રાખવો, પણ કદી ચૈત્યવંદન કરવાનું છોડી તો ન જ દેવું.