________________
17
ભાગમાં ચૈત્યવંદનનાં સૂત્રો બારથી પચીસ છે. ત્રીજા ભાગમાં પ્રતિક્રમણનાં સૂત્રો છવ્વીસથી બત્રીસનું વિવરણ છે. ચોથા ભાગમાં વંદિત્તુ સૂત્ર આવે છે જે તેત્રીસમું સૂત્ર છે. સૂત્ર સંવેદનાના પાંચમા ભાગમાં આયરિય ઉવજ્ઝાયેથી સકલતીર્થ સુધીનાં સૂત્રો ચોત્રીસથી સુડતાળીસ છે, જે પ્રતિક્રમણનાં મોટા ભાગનાં સૂત્રો છે. ભાગ છમાં સૂત્રો અડતાળીસથી બાવન છે તેમાં પ્રતિક્રમણની વિધિ, તેના હેતુઓ, પૌષધનાં સૂત્રો, વિધિ અને તેના હેતુઓ, પચ્ચખાણનાં સૂત્રો અને તેની સંવેદનાઓ છે. સાતમા ભાગમાં પાંચ પ્રતિક્રમણનાં સૂત્રો આવશે.
ભાવ એ ક્રિયાનો પ્રાણ છે. ભાવ વિનાની ક્રિયા એ પ્રાણ વિનાના કલેવર જેવી છે. ભાવનું નિમિત્ત બહારથી મળે, પણ ભાવ ઉઠે છે અંદરથી. સંવેદના થયા વિના ભાવ ન જાગે. ભાવ માટે સંવેદના આવશ્યક છે. સંવેદના માટે જ્ઞાન જરૂરી છે અને જો જ્ઞાન શબ્દાર્થ પૂરતું સીમીત હોય તો સંવેદના ન થાય. જ્યારે સૂત્રનો વિશેષ અર્થ સમજાય ત્યારે સંવેદના જાગે. સંવેદના એ ભાવ નથી પણ તેનાથી ભાવનું ઉદ્દીપન થાય છે. આ પાયાની વાત છે.
આપણી ક્રિયાઓ મોટે ભાગે સૂત્રોના ઉચ્ચારણથી ખાસ આગળ વધતી નથી. તેથી કર્મના સંવર અને નિર્જરાનો ક્રિયાથી જે લાભ થવો જોઈએ તે આપણને થતો નથી. જો આવશ્યક ક્રિયાઓથી અનર્ગળ કર્મનો સંવર કરવો હોય અને કર્મની નિર્જા સાધવી હોય તો આપણી પ્રત્યેક ક્રિયા ભાવ ક્રિયા બનવી જોઈએ અને સંવેદના વિના ભાવ નહિ આવે. આ વાતને લક્ષમાં રાખીને વિદુષી પ્રશમિતાશ્રીજીએ સૂત્રસંવેદનાનું કામ હાથ ઉપર લીધું. તેને પરિણામે આજે આપણને સૂત્રસંવેદનાના સાત ગ્રંથ ઉપલબ્ધ થાય છે.
આમ તો આપણે ત્યાં આવશ્યક ક્રિયાઓનું છ ક્રિયાઓમાં વિભાજન થાય છે' પણ તેમાં પ્રતિક્રમણ શિરમોર સમું છે. તેમાં સત્તર ક્રિયાઓનો સમાવેશ થાય છે. આ સત્તર ક્રિયાઓને માળા સ્વરૂપે છઠ્ઠા ભાગમાં દર્શાવી લેખિકાએ પ્રતિક્રમણ સૂત્રની વિશેષતા બતાવી છે. એક પ્રતિક્રમણ સૂત્રમાં છએ આવશ્યક આવી જાય છે - તે રીતે પ્રતિક્રમણ એ અણમોલ આવશ્યક છે. વાસ્તવિકતામાં પ્રતિક્રમણની યાત્રા આત્માને બહિરાત્મ દશામાંથી અંતરાત્મદશામાં લઈ જઈને છેવટે સમયમાં - આત્મામાં અવસ્થિત કરવા માટે છે. પ્રતિક્રમણ અને સામાયિક સાધના સૂત્રના બે અંતિમ છે. સૂત્રસંવેદનાના સાત ભાગ આત્માની આ યાત્રા કરવા માટે સાતમા આવશ્યક સમા બની રહ્યા છે.