________________
જો આ સૂત્રોનું ભાષાંતર કરીને તેનો ઉપયોગ કરવામાં આવશે તો તે બળવિહિન થઈ જશે અને તેની ચમત્કારિક શક્તિઓનો સદંતર નહિ તો અંશત: લોપ થઈ જશે. જૈનધર્મ પ્રણિત જ્ઞાનમાર્ગ અને ક્રિયામાર્ગ આ જ પર્યત જીવંત છે સાધુ-સાધ્વીઓને કારણે આમ તો જૈન ઉપાશ્રયમાં જઈને સાધુ-સાધ્વીની નિશ્રામાં ક્રિયા કરવાની હોય છે પણ જે શ્રાવક-શ્રાવિકાઓ ઉપાશ્રય ન જઈ શકે તેમ હોય તેઓ ઘરે રહીને ઓછી વસ્તી આવશ્યક ક્રિયાઓ તો કરતા જ રહે છે.
આ છે આવશ્યક ક્રિયાઓ કરવા માટેનાં જે સૂત્રો છે તે બોલીને ભાવપૂર્વક આ ક્રિયાઓ કરવાની હોય છે. જો કિયા ભાવપૂર્વક થાય તો જ તેનો લાભ થાય. ભાવ વિનાની ક્રિયા ઘણી વાર કાયકષ્ટ જેવી બની રહે છે જેનાથી અલ્પ પુણ્ય બંધાય. તેનાથી વિશેષ કંઈ નહિ. આ તો મોટો ખોટનો સોદો થાય. રાજદ્વારે જઈને ચપટી ચોખા લઈને પાછા ફર્યા જેવું થાય. આપણે ત્યાં હજુ ક્રિયામાં એટલો પ્રમાદ પ્રવર્તતો નથી, પણ આપણી ક્રિયાઓ ભાવથી ભીંજાતી નથી તે તેનો મોટો દોષ છે. તે દોષના નિવારણ માટે વિદુષી સાધ્વી પ્રશમિતાશ્રીએ ભગીરથ કાર્ય હાથ ધર્યું જેના ફળસ્વરૂપે આપણી પાસે આજે સૂત્ર સંવેદનાના છ ભાગ આવી ગયા છે અને સાતમો ભાગ થોડાક સમયમાં સુલભ થઈ જશે.
સૂત્રસંવેદનાની શરૂઆત નમસ્કાર મહામંત્રથી થાય છે અને પછી લેખિકા આવશ્યક ક્રિયાઓનાં સૂત્રો એક પછી એક લઈને આગળ વધતાં જાય છે. એમાં પ્રથમ તેઓ સૂત્રનો પરિચય કરાવે છે, પછી મૂળસૂત્ર રજૂ થાય છે. ત્યાર પછી તેઓ તેની અન્વયસહ સંસ્કૃત છાયા આપે છે. પછી શબ્દાર્થ અને વિશેષાર્થ આપી, ભાવની ચર્ચા કરે છે. આ તેમના વિવેચનનો ઉપક્રમ રહ્યો છે. આ રીતનું કામ આપણે ત્યાં આ કાળમાં બહુ ઓછું થયેલું છે.
આ ભગીરથ કાર્ય પાછળ વિદુષી સાધ્વી લગભગ બાર-તેર વર્ષથી અવિરત સાધના કરતાં રહ્યાં છે. હજુ પણ તે સાધના આગળ ચાલી રહી છે. સૂત્રોનું આ રીતે મનન-ચિંતન અને મંથન કરી કરીને મૂકવાનું કાર્ય કરવા માટે વિદ્વત્તાની સાથે ધ્યેય નિષ્ઠા, અને અવિરત શ્રમ હોવાં જરૂરી બની રહે છે. તે વિના આ કાર્ય થઈ શકે નહિ.
સૂત્રસંવેદના આમ તો છ ભાગ સુધી વિસ્તરેલ છે. તેના પ્રથમ ભાગમાં સામાયિકનાં એકથી અગીયાર સૂત્રોનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. બીજા