SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૪ ષડ્રદર્શન - સાંખ્ય પરિભાષામાં ચિત્તવૃત્તિને જ્ઞાન કહે છે. એ અર્થમાં જ્ઞાન પુરુષનો સ્વભાવ નથી. એનો અર્થ એ નથી કે પુરુષ જડ છે. પુરુષ ચેતન છે ને એને ચેતનાનો પ્રકાશ છે.૧૯ તેનો આ પ્રકાશ જડ સત્ત્વના પ્રકાશથી તદ્દન ભિન્ન શ્રેણીનો છે. સત્ત્વનો પ્રકાશ પરપ્રકાશ્ય છે, પુરુષનો પ્રકાશ પરપ્રકાશ્ય નથી.” ચિત્તસત્ત્વનો પ્રકાશ આવરણથી યુક્ત પણ હોય છે અને તેથી સર્વ આવરણો દૂર થતાં ચિત્ત સર્વજ્ઞ બને છે. પુરુષનો પ્રકાશ કદી આવરણયુક્ત હોતો નથી. તેનામાં બુદ્ધિને યા ચિત્તને પ્રકાશિત કરવાની યોગ્યતા સદા હોય છે. આ છે તેનું દ્રષ્ટાપણું, દર્શનશક્તિ. જેને દર્શનશક્તિ હોય તેને જ બીજા દેખાડી શકે. પ્રકૃતિ અને તેના વિકારો અચેતન અને વિષય છે. તેમનામાં દેખવાની શક્તિ નથી. એટલે તે દ્રષ્ટા નથી પણ દૃશ્ય છે. જગતમાં વાદી અને પ્રતિવાદી વિવાદમાં પોતાની શક્તિઓ સાક્ષી આગળ પ્રદર્શિત કરે છે. પ્રકૃતિ પણ જુદાં જુદાં પરિણામો ધારણ કરી એ જ રીતે પુરુષ આગળ પોતાની વિવિધ શક્તિઓ પ્રદર્શિત કરે છે. એટલે પુરુષને સાક્ષી પણ કહ્યો છે. ભિક્ષુએ સાક્ષી અને દ્રષ્ટાનો શાસ્ત્રીય ભેદ દર્શાવ્યો છે તેની નોંધ લઈએ. સાક્ષીપણું એટલે સાક્ષાત્ દેખવું તે, અને દર્શન એટલે પરંપરાથી દેખવું તે. પુરુષ બુદ્ધિવૃત્તિને સાક્ષાત્ દેખે છે એટલે તે તેનો સાક્ષી કહેવાય અને અન્યને બુદ્ધિવૃત્તિ દ્વારા દેખે છે એટલે તે તેમનો દ્રષ્ટા કહેવાય. પુરુષ વિભુ છે, સર્વગત છે. તેને મધ્યમપરિમાણવાળો માનીએ તો તેને સાવયવ માનવો પડે અને તેને સાવયવ માનતાં તે વિનાશી બની જાય. પરંતુ તે સાવયવ અને વિનાશી નથી. તે અણુપરિમાણ પણ નથી. તેને તેવો માનતાં દેહવ્યાપી જ્ઞાન ઘટી શકશે નહિ. એટલે તેને વિભુ જ માનવો જોઈએ. તેને વિભુ માનીશું તો પછી તેની દેશાન્તરગતિની વાતો કેવી રીતે ઘટશે એવી શંકા ઉદ્ભવે છે. તેનું નિરાકરણ સાંગાચાર્યો નીચે પ્રમાણ કરે છે. ખરેખર તો પુરુષને ગતિ સંભવતી જ નથી. તેની જે ગતિ જણાય છે તે તો પાધિક છે. દેહની સાથે પુરુષ સંબદ્ધ છે. તેથી દેહની ગતિ પુરુષમાં આરોપાય છે. ઘટના પાણીમાં આકાશ પ્રતિબિંબિત થાય છે. આ ઘટને જ્યારે એક સ્થાનથી બીજે સ્થાન લઈ જવામાં આવે છે ત્યારે ઘટના સ્થાનાન્તરગતિ થાય છે, આકાશની નહિ. આકાશની ગતિ તો ઔપાધિક છે. જેમ વિભુ આકાશની ગતિ ઔપાધિક છે તેમ વિભુ પુરુષની ગતિ પણ ઔપાધિક છે. ૨૫ પુરુષ ત્રિગુણાત્મક નથી. તેથી તે કૈવલ્યયુક્ત છે. કેવલ્યનો અર્થ છે મુક્તિ કે ત્રણેય પ્રકારના દુઃખોનો આત્મત્તિક અભાવ. પુરુષ ત્રિગુણાત્મક હોય તો દુઃખ તેનો સ્વભાવ બની જાય. વસ્તુને પોતાના સ્વભાવથી વિખૂટી પાડી શકાતી ન હોઈ પુરુષની મુક્તિ અસંભવ બની જાય. પુરુષ ત્રિગુણાત્મક ન હોવાથી દુઃખ તેનો સ્વાભાવિક ધર્મ નથી પણ આરોપિત ધર્મ છે. પરિણામે મુક્તિ અસંભવ બનતી નથી. પુરુષ સુખ-દુઃખમોહરહિત હોવાથી તેને મધ્યસ્થ યા ઉદાસીન કહ્યો છે. દુઃખમાં દ્વેષ અને સુખમાં રાગ તેનો સ્વભાવસિદ્ધ ધર્મ નથી. સુખ અને દુઃખની સાથે પુરુષનો તાત્ત્વિક સંબંધ નથી. નિઃસંબંધ વસ્તુ ઉપર રાગ કે દ્વેષ થાય નહિ. ૨૬
SR No.005833
Book TitleShaddarshan Part 01 Sankhya Yog
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherUniversity Granthnirman Board
Publication Year1973
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy