________________
સાંખ્યદર્શન
૭૫
અનુભવસિદ્ધ છે. ચિત્તમાં સુખ, દુઃખ અને મોહના આ ભાવો જેને કારણે જાગે તે નિશ્ચિતપણે સુખદુઃખમોહાત્મક જ હોવું જોઈએ; અન્યથા તે ચિત્તમાં સુખ, દુઃખ,મોહ જન્માવી ન શકે. ધ્રાણેન્દ્રિય દ્વારા ગન્ધનું જ્ઞાન થાય છે પરંતુ ગન્ધરહિત વસ્તુનો ધ્રાણેન્દ્રિય સાથે સંબંધ થતાં ગન્ધનું જ્ઞાન થતું નથી. એ જ રીતે જો વસ્તુ સુખદુઃખમોહરહિત હોય તો તેનો ચિત્ત સાથે સંપર્ક થવા છતાં સુખ, દુઃખ, મોહનું જ્ઞાન થાય નહિ. તેથી વ્યક્ત તત્ત્વો ત્રિગુણાત્મક છે. વ્યક્ત તત્ત્વો ત્રિગુણાત્મક હોવાથી તેમનું મૂળ કારણ અવ્યક્ત પણ ત્રિગુણાત્મક માનવું જ પડે કારણ કે કાર્યના સ્વરૂપથી જુદું કારણનું સ્વરૂપ હોતું નથી. આમ સાંખ્યમતે વ્યક્ત અને અવ્યક્ત બન્નેય ત્રિગુણાત્મક છે. (૨) અવ્યક્ત મૂલ પ્રકૃતિ અને મહતું વગેરે વ્યક્ત તત્ત્વો અવિવેકી છે. અવિવેકીનો અર્થ છે અભિન. કાર્ય અને કારણ અભિન્ન છે. મૂલ પ્રકૃતિથી મૂલ પ્રકૃતિનું જેમ જુદાપણું નથી તેમ મૂલ પ્રકૃતિથી મહત્ વગેરે તત્ત્વોનું પણ જુદાપણું નથી. બધાં વ્યક્ત તત્ત્વો મૂલ પ્રકૃત્યાત્મક છે. એટલે અવ્યક્ત મૂલ પ્રકૃતિ અને વ્યક્તિ તત્ત્વોને અવિવેકી કહ્યાં છે. અવિવેકીનો બીજો અર્થ છે સાથે મળી કામ કરનાર. અવ્યક્ત મૂલ પ્રકૃતિ અને મહતું વગેરે વ્યક્ત તત્ત્વો બીજાની સહાયથી પોતાનું કાર્ય કરે છે. મૂલ પ્રકૃતિ સત્ત્વ વગેરે ગુણોના ઉદ્રક અને અદૃષ્ટ વગેરેની સહાય વિના કાર્ય કરી શકતી નથી. મહતુ વગેરે વ્યક્ત તત્ત્વો પણ નિરપેક્ષભાવે કાર્ય કરવા સમર્થ નથી. એટલે, આ અર્થમાં પણ મૂલ પ્રકૃતિ અને વ્યક્તિ તત્ત્વો અવિવેકી છે. (૩) અવ્યક્ત મૂલ પ્રકૃતિ અને વ્યક્તિ તત્ત્વો બધાં સાધારણ ગ્રાહ્ય વિષયો છે. કેટલાક તત્ત્વજ્ઞાનીઓને મતે જગતમાં જ્ઞાન સિવાય કોઈ બાહ્ય પદાર્થ નથી. તે જ્ઞાન જ કોઈવાર ઘટરૂપે, કોઈવાર પટરૂપે, કોઈવાર અન્ય કોઈ રૂપે અને એક સમયે પણ નાનારૂપે ભાસિત થાય છે. બાહ્ય સકળ વસ્તુઓ જ્ઞાનની કલ્પનામાત્ર છે. સ્વપ્રાવસ્થામાં બાહ્ય પદાર્થ વિના માત્ર સંસ્કારને લઈને જ્ઞાનનું વૈચિત્ર્ય હોય છે. જાગ્રત અવસ્થામાં વ્યવહારકાળે પણ વાસનાને લઈને જ્ઞાનનું વૈચિત્ર્ય ઘટી શકે છે. અનાદિ સંસાપ્રવાહમાં બીજાંકુરની જેમ વાસના ને જ્ઞાનની વચ્ચે નિમિત્તનૈમિત્તિકભાવરૂપ અનાદિ સંબંધ છે. સાંખ્યદર્શન આ મતનો વિરોધ કરે છે. તેને મતે બાહ્ય પદાર્થો જ્ઞાનકલ્પનામાત્ર નથી, કારણ કે તેઓ ઇન્દ્રિયો દ્વારા ગૃહીત થાય છે. બાહ્ય પદાર્થો ઉપલબ્ધિસ્વરૂપ નથી, પરંતુ ઉપલબ્ધિના વિષય છે. એક પુરુષના ઘટાદિવિષયક વિજ્ઞાનને બીજો પુરુષ જોઈ શકતો નથી. બાહ્ય પદાર્થો અનેક પુરુષો દ્વારા ગૃહીત થતા હોઈ તેઓ સાધારણ છે. એક વૃક્ષને અનેક પુરુષો જોઈ શકે છે અને જેટલા જુએ છે તે તેને વૃક્ષરૂપે જ જુએ છે. એટલે બાહ્ય પદાર્થોને જ્ઞાનની કલ્પનામાત્ર ગણવા તે બરાબર નથી. તેમ માનતાં જ્ઞાનના અસાધારણત્વને કારણે બાહ્ય ઘટ, પટ, વગેરે પણ અસાધારણ બની જશે અર્થાત્ બીજા પુરુષો દ્વારા તે અગ્રાહ્ય રહેશે. બીજાનું બુદ્ધિવૃત્તિરૂપ જ્ઞાન અપ્રત્યક્ષ હોઈ જેમ એક પુરુષનો વિચાર બીજા પુરુષને અગોચર રહે છે તેમ બાહ્ય પદાર્થોને જ્ઞાનરૂપ માનતાં એકના જ્ઞાનરૂપ વૃક્ષ, લતા વગેરે પદાર્થો પણ