________________
સાંખ્યદર્શન
૭૪
આ ઉપરથી એ ફલિત થાય છે કે પ્રત્યેક પુરુષને પોતાનું સૂક્ષ્મ શરીર અને પોતાનું સ્થૂળ શરીર છે. અમ વ્યક્ત તત્ત્વો પ્રતિ પુરુષ ભિન્ન છે એનો અર્થ એ થશે કે પ્રત્યેક પુરુષને પોતાનું સૂક્ષ્મ શરીર અને પોતાનું સ્થૂળ શરીર હોય છે. અહીં એ નોંધીએ કે સૂક્ષ્મ શરીર પ્રતિ જન્મ ભિન્ન ભિન્ન નથી હોતું જ્યારે સ્થૂળ શરીર તો પ્રતિ જન્મેય ભિન્ન હોય છે. અર્થાત્ પ્રત્યેક પુરુષની બાબતમાં સૂક્ષ્મ શરીર સૃષ્ટિથી માંડી પ્રલય સુધી પ્રવાહરૂપે એક હોય છે, તેનો પ્રવાહ તે દરમ્યાન તૂટતો નથી; જ્યારે સ્થૂળ શરીર સૃષ્ટિથી માંડી પ્રલય સુધી પ્રવાહરૂપે એક નથી હોતું, તેનો પ્રવાહ અંતરાલગતિમાં તૂટે છે. આમ વ્યક્ત પ્રકૃતિ સૃષ્ટિભેદે અને પુરુષભેદે અનેક છે જયારે અવ્યક્ત મૂલપ્રકૃતિનો સૃષ્ટિભેદે કે પુરુષભેદે ભેદ નથી, તે તો એક જ છે.૨૪ અવ્યક્ત મૂલ પ્રકૃતિનો સૃષ્ટિભેદે ભેદ નથી એનો અર્થ એ કે તેનો પ્રવાહ અનાદિ-અનંત છે, તે પ્રલયકાળેય તૂટતો નથી. અવ્યક્ત મૂલ પ્રકૃતિનો પુરુષભેદે ભેદ નથી એનો અર્થ એ કે પુરુષોની પોતપોતાની વ્યક્ત પ્રકૃતિઓના મૂલ સ્રોતો ભિન્ન ભિન્ન નથી પણ એક જ છે. આમ માનવું તર્કપૂત છે. મૂલ પ્રકૃતિ પ્રત્યક્ષગોચર નથી, અતીન્દ્રિય છે, તેના પ્રતિપુરુષ ભેદ વિષે નિઃસંદિગ્ધ કોઈ પ્રમાણ નથી અને વિદ્વાનો આ બાબતે સ્પષ્ટ કંઈ કહેતા નથી. તર્કથી વિચારીએ તો અપરિમિત એક મૂલ પ્રકૃતિ જ બધા પુરુષોનાં બધાં શરીરને સૂક્ષ્મ, સ્થૂળ અને યોગજન્ય-ઉત્પન્ન કરવા સમર્થ છે. એટલે, પ્રતિપુરુષ ભિન્ન ભિન્ન મૂલ પ્રકૃતિ માનવાનું કોઈ પ્રયોજન નથી. બીજી બાજુ, પ્રત્યેક પુરુષ માટે જુદી જુદી મૂલ પ્રકૃતિની કલ્પના કરવા જતાં પ્રકૃતિને પરિમિત કહેવી પડે. તેને પરિમિત માનતાં એક સમય એવો આવશે જ્યારે સૃષ્ટિનું સર્જન કરતાં કરતાં તે નિઃશેષ બની જશે, કારણ કે પરિમિત પદાર્થ અનન્તકાળ વસ્તુને ઉત્પન્ન કર્યા કરે એ શક્ય નથી. મૂલ પ્રકૃતિ નિઃશેષ બનતાં સંસારના ઉચ્છેદનો પ્રસંગ આવશે. તેથી પ્રકૃતિને પરમિત ગણી શકાય નિહ અને એટલે જ તેને પ્રતિપુરુષ ભિન્ન માનવી ન જોઈએ. વળી, પ્રતિપુરુષ ભિન્ન મૂલ પ્રકૃતિ માનતાં તેના વિભિન્ન સ્તરો સ્વીકારવા પડે. જો મૂલ પ્રકૃતિમાં આવો શ્રેણીભેદ કરીએ તો અનવસ્થાદોષ આવે, પરિણામે ઉકેલી ન શકાય એવી જટિલ સમસ્યા ખડી થાય અને જગતની મૂલાધાર મૂલ પ્રકૃતિનું અસ્તિત્વ જ અપ્રમાણિત થઈ જાય. બીજી બાજુ, વ્યક્ત પ્રકૃતિઓની અપરિમિત શક્તિવાળી એક અને અદ્વિતીય મૂલ પ્રકૃતિનું અસ્તિત્વ સ્વીકારતાં કોઈ સમસ્યા ઊભી થશે નહિ. દેવો કે યોગીઓ જ્યારે ઇચ્છાનુસાર દેહ ઉત્પન્ન કરવા પ્રવૃત્ત થાય છે ત્યારે આ મૂલીભૂત એક અને અદ્વિતીય મૂલ પ્રકૃતિ જ તેમના પ્રયોજનને અનુરૂપ ઉપાદાનો રજૂ કરે છે. એટલે, આવા દેહોની ઉત્પત્તિને બુદ્ધિગમ્ય બનાવવા માટેય પ્રતિપુરુષ મૂલ પ્રકૃતિનો ભેદ માનવો જરૂરી નથી.' વાર્ષગણ્યને મતે વસ્તુઓમાં જ્યારે જાતિગત, દેશગત કે સંસ્થાનગત પાર્થક્ય ઉપલબ્ધ થાય છે ત્યારે તે વસ્તુઓ ભિન્ન ભિન્ન છે એવું સહજ અનુમાન થાય છે. આ રીતે ભેદનો કોઈ હેતુ ન જણાય તો પ્રતિપુરુષ મૂલ પ્રકૃતિ જુદી જુદી છે એમ કહી જ ન શકાય; ઊલટું, બધી વ્યક્ત પ્રકૃતિઓની મૂલાધાર એક મૂલ પ્રકૃતિ છે, તેમાં કોઈ ભેદ નથી એમ જ માનવું જોઈએ. ગુણો ત્રણ છે અને પ્રકૃતિનો ગુણો સાથે અભેદ છે. એટલે પ્રકૃતિનું એકત્વ ક્યાં રહ્યું ? આના ઉત્તરમાં
2E