________________
૭૨
ષદર્શન
1E
સાંખ્યદર્શનમાં પ્રધાનથી માંડી પાંચ ભૂત સુધીના ચોવીસ તત્ત્વોને બે વિભાગમાં વહેંચવામાં આવ્યા છે - વ્યક્ત અને અવ્યક્ત, મહત્તત્વથી પાંચ ભૂત સુધીનાં ૨૩ તત્ત્વો ‘વ્યક્ત' નામે ઓળખાય છે જ્યારે મૂલ પ્રકૃતિને ‘અવ્યક્ત' નામ અપાયું છે. વ્યક્ત મહત્તત્વ વગેરેથી અવ્યક્ત મૂલ પ્રકૃતિનાં લક્ષણો જુદાં છે. તે ભેદનું નિરૂપણ હવે કરીએ ઃ (૧) વ્યક્ત પદાર્થમાત્રને ઉપાદાનકારણ હોય છે તેથી તેઓ આવિર્ભાવતિરોભાવવિશિષ્ટ છે. જેમનો આવિર્ભાવતિરોભાવ થાય છે તેમને સાંખ્યદર્શનમાં અનિત્ય ગણવામાં આવે છે. બીજી બાજુ, મૂલ પ્રકૃતિને કોઈ કારણ નથી. તેથી તેની ઉત્પત્તિ પણ નથી અને કારણાન્તરમાં તેનો લય પણ નથી. એટલે એ અર્થમાં તે નિત્ય છે. પરંતુ એ પરિણામિનિત્ય છે, ફૂટસ્થનિત્ય નથી. (૨) પ્રકૃતિ વિભુ યા વ્યાપક છે જ્યારે વ્યક્ત પરિચ્છિન્ન છે. પ્રકૃતિના અંશભૂત ગુણો વ્યક્તિશઃ અનન્ત છે અને પરિચ્છિન્ન પણ છે. પ્રકૃતિ ત્રણ ગુણોથી અતિરિક્ત કોઈ સ્વતન્ત્ર તત્ત્વ નથી. તો પ્રકૃતિને વિભુ કઈ રીતે ગણી શકાય ? આના ઉત્તરમાં કહ્યું છે કે પ્રકૃતિના વિભુત્વનો અર્થ એટલો જ છે કે .એવું કોઈ કાર્ય નથી જેમાં મૂળ કારણ અનુસ્મૂત ન હોય. આમ કારણત્વસામાન્યની દૃષ્ટિએ પ્રકૃતિની વ્યાપકતા સમજવાની છે. મહત્ વગેરે તત્ત્વો તો કારણત્વસામાન્યની દૃષ્ટિએ પણ વ્યાપક નથી.૧૭ કાર્યને વ્યાપીને કારણ રહે છે, કાર્ય કારણને વ્યાપીને રહેતું નથી. માટીના ઘડાઓમાં માટી અવશ્ય હોય છે. પરંતુ જ્યાં માટી છે ત્યાં માટીનો ઘટ અવશ્ય છે જ એમ ન કહેવાય. એટલે, મહત્ વગેરે પદાર્થને વ્યાપીનેં મૂળ પ્રકૃતિ રહે છે, મૂળ પ્રકૃતિને વ્યાપીને તે રહેતા નથી. (૩) મહત્ વગેરે વ્યક્ત તત્ત્વો સક્રિય યા પરિસ્પન્દવિશિષ્ટ છે. પરિસ્પન્દનો અર્થ છે દેશાન્તરગમન. બુદ્ધિ વગેરે તત્ત્વો પૂર્વગૃહીત શરીર છોડી નવા શરીરનો આશ્રય લે છે. બીજી બાજુ, પ્રકૃતિ નિષ્ક્રિય છે. અર્થાત્ દેશાન્તરગમનરૂપ ક્રિયારહિત છે. મૂળ પ્રકૃતિમાં પરિણામ હોવા છતાં તેનામાં સ્થાન્તરગમનરૂપ ક્રિયા નથી. તેનું કારણ છે તેની પૂર્ણતા યા વ્યાપકતા. પૂર્ણને સ્પન્દન સંભવતું નથી, અપૂર્ણ જ સ્પન્દન કરે છે. ભિક્ષુનું અર્થઘટન વિશિષ્ટ છે. તે કહે છે કે પ્રકૃતિ નિષ્ક્રિય છે એનો અર્થ એ કે તે અધ્યવસાય, અભિમાન વગેરે વિશિષ્ટ ક્રિયાઓથી રહિત છે અને નહિ કે તે ચલનારૂપ ક્રિયાથી પણ રહિત છે. ચલનાનો અર્થ છે ક્ષોભ. આનો અર્થ એ થયો કે પ્રકૃતિની ગતિ મહાસાગરની ગતિ જેવી છે, મહાસાગર એક સ્થાનથી બીજે સ્થાને જતો નથી પરંતુ તેની પોતાની અંદર તો ગતિ યા ક્ષોભ છે જ. (૪) મહત્ વગેરે વ્યક્ત તત્ત્વો સૃષ્ટિભેદે... અને પુરુષભેદેય ભિન્ન ભિન્ન છે. આમ મહત્ અનેક છે, અહંકાર અનેક છે, સ્પર્શનેન્દ્રિય અનેક છે, ગન્ધતન્માત્ર અનેક છે, પૃથ્વી અનેક છે, વગેરે. આ બધાં વ્યક્ત તત્ત્વોનો સૃષ્ટિભેદે ભેદ છે એનો અર્થ એ છે કે પ્રલયકાળે પ્રત્યેક વ્યક્ત તત્ત્વના પ્રવાહનો વિચ્છેદ થાય છે અને નવી સૃષ્ટિ વખતે તેનો નવો પ્રવાહ શરૂ થાય છે. બધાં વ્યક્ત તત્ત્વોનો પુરુષભેદે ભેદ છે એનો અર્થ એ કે પ્રત્યેક પુરુષને પોતાની બુદ્ધિ, પોતાનો અહંકાર, પોતાની ઇન્દ્રિયો પોતાનાં તન્માત્રો અને પોતાનાં ભૂતો હોય છે. આપણે જોઈશું કે બુદ્ધિથી માંડી તન્માત્ર સુધીનાં વ્યક્ત તત્ત્વો સૂક્ષ્મ શરીરના ઘટકો છે જ્યારે સ્થૂળ શરીર પાંચ ભૂતોનું બનેલું છે.
16
૨૦