________________
અધ્યયન ૫ પ્રકૃતિ
સાંખ્ય પરિણામવાદ છેવટે એક એવા મૂળ ઉપાદાનકારણ તરફ લઈ જાય છે કે જેનો વિકાર આ સમગ્ર જગત છે. આખું જગત કાર્યકારણોની શૃંખલારૂપ છે. એનું અન્તિમ કારણ હોવું જરૂરી છે. આ અન્તિમ કારણ આત્મા કે પુરુષ નથી કારણ કે તે ફૂટસ્થનિત્ય' હોઈ કોઈનું પણ કારણ યા કાર્ય બની શકતો નથી. એટલે પુરુષથી જુદું કોઈ તત્ત્વ માનવું જોઈએ. આ તત્ત્વ કયું ? કર્મ જગતનું ઉપાદાનકારણ બની ન શકે, તે કેવળ નિમિત્તકારણ જ બની શકે છે. કર્મો ધર્માધર્મરૂપ હોવાથી દ્રવ્યાત્મક વસ્તુઓનું ઉપાદાનકારણ બનવું તેમને માટે સંભવે નહિ. અવિદ્યા પણ દ્રવ્યરૂપ ન હોવાથી જગતનું ઉપાદાનકારણ બની શકતી નથી. ભૌતિક પરમાણુઓનેય જગતના અન્તિમ કારણ તરીકે સાંખ્યો સ્વીકારતા નથી. તેઓ કહે છે કે બુદ્ધિ, અહંકાર જેવાં સૂક્ષ્મ તત્ત્વોની ઉત્પત્તિ ભૌતિક પરમાણુઓમાંથી ઘટી શકે નહિ. એટલે, આ મૂળ ઉપાદાનકારણ એવું હોવું જોઈએ જેમાંથી પૃથ્વી, પાણી જેવાં સ્થૂળ અને બુદ્ધિ, અહંકાર જેવાં સૂક્ષ્મ તત્ત્વોની ઉત્પત્તિ સંભવી શકે. સાંખ્યો આવા મૂળ ઉપાદાનકારણને પ્રકૃતિ કહે છે.
જગતના બધા જ પદાર્થો સુખદુઃખમોહાત્મક છે. સાંખ્યો તેમના આ વિશિષ્ટ સિદ્ધાંતના સમર્થનમાં જણાવે છે કે જો બાહ્ય પદાર્થો સુખ-દુઃખ-મોહાત્મક ન હોય તો તેઓ ચિત્તમાં કેમેય કદી સુખ, દુઃખ અને મોહ જન્માવી ન શકે. વળી, ચિત્ત સ્વયં સુખદુ:ખ-મોહાત્મક ન હોય તો તેમાં તેમનો આવિર્ભાવ ન જ થાય. આમ ચિત્ત સહિત બધા જ બાહ્ય પદાર્થો સુખ-દુખ-મોહાત્મક છે. અને આ સુખ, દુ:ખ અને મોહ એ તો ત્રણ · મૂળ દ્રવ્યો સત્ત્વગુણ, રજોગુણ અને તમોગુણના અનુક્રમે સ્વભાવો છે. આથી સિદ્ધ થાય છે કે જગતનો પ્રત્યેક પદાર્થ ત્રિગુણાત્મક છે. હવે, જો પ્રત્યેક પદાર્થ ત્રિગુણાત્મક હોય તો તેનું મૂળ ઉપાદાનકારણ પ્રકૃતિ પણ ત્રિગુણાત્મક પુરવાર થાય છે.'
આપણે જોયું કે મૂળ પ્રકૃતિનું સ્વરૂપ ત્રિગુણાત્મક છે. આ ત્રણ ગુણોની સામ્યાવસ્થાનું નામ જ પ્રધાન, મૂલપ્રકૃતિ કે અવ્યક્ત છે." સામ્યાવસ્થાને કારણે ગુણોમાં પ્રધાનગુણભાવનો અને દેશાન્તરપ્રાપ્તિરૂપ ક્રિયાનો અભાવ હોય છે. તેમ જ ત્રણેયની એકસરખી અનુભ્રુતતા હોય છે એટલે તેમની વચ્ચેનો ભેદવ્યવહાર સંશક્ય બની જાય છે. આને લઈને ત્રણ’ગુણો ત્રણ તત્ત્વો નથી મનાયા પણ ત્રિગુણાત્મક એક જ તત્ત્વ મનાયું છે એવો ખુલાસો કેટલાક વિદ્વાનો કરે છે. વધારામાં આપણે કહી શકીએ કે ત્રણ મૂળ કારણદ્રવ્યોરૂપ ત્રણ ગુણો વચ્ચે અવિનાભાવ સંબંધ છે અને ત્રણેય સાથે મળીને જ