________________
સાંખ્યદર્શન
૪૯ ગુણોમાં અને અવ્યક્ત ગુણોમાં ન્યૂનાધિકતા ભલે થતી. એ તો સ્વયંસિદ્ધ છે કે રજસુનો જથ્થો, તમસૂનો જથ્થો અને સત્ત્વનો જથ્થો પ્રત્યેક ક્ષણે એકસરખો જ રહે છે–જો વ્યક્ત અને અવ્યક્ત ગુણોને ગણતરીમાં લઈએ તો. બીજી રીતે કહીએ તો ગુણો વ્યક્ત થતા નથી, વ્યક્ત કે અવ્યક્ત તેમના ધર્મો, આકારો કે વિકારો થાય છે. પરંતુ આ ધર્મો ગુણોથી અભિન્ન હોવાથી ધર્મોના વ્યક્તપણા-અવ્યક્તપણાનો આરોપ આપણે ગુણોમાં કરીએ છીએ. પરમાર્થથી તો ગુણો અધ્વાતીત છે. તેઓ વ્યક્ત-અવ્યક્ત થતા નથી. ગુણો એ તો બધાં પરિણામો, આકારો, વિકારો યા ધર્મોનું દ્રવ્ય છે. અને તે ગુણોનો જથ્થો કાયમ એકસરખો રહે છે. અનંત આકારો, વિકારો યા ધર્મો તે દ્રવ્યની અંદર છે. તે ધર્મોની સંખ્યા, તેમનો જથ્થો નિયત છે. નિયત ક્રમમાં તેઓ અવિર્ભાવ પામીને પોતાની વર્તમાન અવસ્થા પૂર્ણ થતાં પુનઃ દ્રવ્યરૂપ ગુણોમાં લય પામે છે. કોઈ નવું દ્રવ્ય ઉત્પન્ન થતું નથી કે તદ્દન નાશ પામતું નથી તેમજ કોઈ આકાર (શક્તિ) પણ તદ્દન નવો ઉત્પન્ન થતો નથી કે સમૂળગો નાશ પામતો નથી. માત્ર આવિર્ભાવતિરોભાવનું ચક્ર ચાલ્યા કરે છે. આ છે વસ્તુશક્તિની અવિનાશિતા.
અત્યાર સુધી આપણે ઉપાદાનકારણની વાત કરી. સાંખ્ય ઉપાદાનકારણ ઉપરાંત નિમિત્તકારણનો પણ સ્વીકાર કરે છે. ઉપાદાનકારણમાંથી જ્યારે કાર્ય આવિર્ભાવ પામે છે ત્યારે આપણને સહકારી શક્તિઓની પ્રતીતિ થાય છે. મૃત્તિકારૂપ ઉપાદાનકારણમાંથી જ્યારે ઘટરૂપ કાર્યની અભિવ્યક્તિ થાય છે ત્યારે દંડ, ચાકડો, પાણી, દોરી વગેરેની ઉપયોગિતાનો પણ આપણને ખ્યાલ આવે છે. અહીં દંડ, ચાકડો, પાણી, દોરી વગેરેને નિમિત્તાકારણો કહેવામાં આવે છે. આ સહકારિશક્તિરૂપ નિમિત્તકારણો કાર્યની અભિવ્યક્તિમાં જે બાધકો કે પ્રતિબંધકો હોય છે તેમને દૂર કરવાનું જ કાર્ય કરે છે, અર્થાત્ તેઓ કંઈ પ્રવર્તક હેતુઓ નથી. સાંખ્યમતે પ્રકૃતિ જગતનું ઉપાદાનકારણ છે. તે સ્વતઃ પરિણામી છે. તેની ક્રિયા યા વ્યાપાર આગન્તુક નથી પણ સ્વાભાવિક છે; કાદાચિત્ક નથી, પણ નિત્ય છે. ધક્કો બહારથી આવતો નથી. જો કે તેની અંદર અનંત પ્રચ્છન્ન શક્તિઓ છે અને તેનું વલણ સ્વાભાવિક રીતે જ તે શક્તિઓના પ્રગટીકરણ પ્રત્યે છે. તેમ છતાં તે તેમને હંમેશાં પ્રગટ યા વ્યક્ત કરી શકતી નથી. તેના વ્યાપાર કે પ્રવૃત્તિના માર્ગમાં કોઈ બાધક બળ છે અને તેને દૂર કર્યા સિવાય તેની સ્વયંસ્ફરિત પ્રવૃત્તિ ચાલી શક્તી નથી. અહીં નિમિત્તકારણ મદદે આવે છે. દૃષ્ટાંત દ્વારા આ વાત સુંદર રીતે સમજાવી છે. ખેડૂત પોતાના ખેતરના ક્યારાઓને પાણી પાવા નીક કરે છે. તે પોતે કૂવા કે જલાગારમાંથી પાણી ક્યારે ક્યારે લઈ જતો નથી. પછી તો પાણી ક્યારે ક્યારે સ્વયં વહી જાય છે. પોતાની મેળે વહેવું એ તો પાણીનો સ્વભાવ છે. ખેડૂત તેમના વહેવાના વ્યાપારમાં જે બાધક હતું તેને માત્ર નીકો કરી દૂર કરે છે. ખેડૂત પોતે કંઈ પાણીના વહેવાના વ્યાપારનો પ્રવર્તક નથી. ખેડૂતની જેમ ધર્મ, અધર્મ વગેરે રૂપમાં રહેલાં નિમિત્તકારણો પ્રકૃતિને તેના સ્વાભાવિક વ્યાપારમાં સહાય કરે છે. તેઓ માત્ર વિઘ્નો દૂર કરે છે અને તેમ થતાં જ પ્રકૃતિમાંથી શક્તિ મુક્ત થઈ વહેવા માંડે છે. જેવી રીતે ખેડૂત બળજબરીથી છોડના મૂળમાં પાણી ચઢાવતો નથી પરંતુ માત્ર નકામું ઘાસ