________________
યોગદર્શન ચિત્ત બાહ્ય વિષયોના તેમ જ પુરુષના આકારે પરિણમી શકતું હોઈ તેને દ્રષ્ટા અને દૃશ્ય એમ બધા જ અને જાણનારું કહ્યું છે.૧૫ તમોગુણરૂપ યા ક્લેશરૂપ આવરણ સંપૂર્ણપણે દૂર થતાં ચિત્તમાં અનંતજ્ઞાન આવિર્ભાવ પામે છે. જો કે ચિત્ત સત્ત્વગુણપ્રધાન હોવાથી સ્વભાવથી જ તે સર્વ પદાર્થોને જાણવાના સામર્થ્યવાનું છે તેમ છતાં સામાન્ય અવસ્થામાં તમોગુણથી ઢંકાયેલું હોવાથી બધા પદાર્થોને જાણી શકતું નથી, પરંતુ ક્રિયાશીલ રજોગુણ વડે પ્રવૃત્તિશીલ બનતાં તમોગુણના આવરણને સહેજ દૂર કરી કોઈ કોઈ વિષયને ગ્રહણ કરે છે. જે વ્યક્તિએ ક્લેશ અને કર્મનો ક્ષય કરી ચિત્તને વિશુદ્ધ કર્યું છે તેના ચિત્ત ઉપરથી તમોગુણનું આવરણ સંપૂર્ણપણે દૂર થઈ જાય છે અને તેના સ્વભાવરૂપ અનંતજ્ઞાન પ્રગટ થાય છે. જેટલા વિષયો છે તે બધાને જ તે જાણે છે. જો જેટલા છે તેનાથી વધારે વિષયો હોત તો તેમને પણ તે જાણી લેત. આમ નિરાવરણ ચિત્તના જ્ઞાનને કોઈ સીમા નથી.
પુરુષ અને ચિત્ત વચ્ચે સ્વસ્વામીભાવસંબંધ છે. ચિત્ત લોહચુંબક જેવું છે. જેમ ચુંબક માણસના સંયોગમાં આવ્યા વિના માત્ર સામીપ્યથી જ તેનામાં પેસી ગયેલી ખીલીને ખેંચી કાઢી તેના ઉપર ઉપકાર કરે છે તેમ ચિત્ત પણ પુરુષના સંયોગમાં આવ્યા વિના માત્ર સામીપ્યથી જ સ્વગત વિષયાકારોને પુરુષમાં પ્રતિબિંબિત કરી પુરુષ ઉપર ઉપકાર કરે છે. આ દૃષ્ટિએ પુરુષ અને ચિત્ત વચ્ચે સ્વસ્વામીભાવ સંબંધ છે. જયપરાજય સૈન્યના હોવા છતાં તે જયપરાજય જેનું એ સૈન્ય છે તે રાજાના ગણાય છે તેમ ભોગ અને અપવર્ગ ચિત્તજન્ય અને ચિત્તગત હોવા છતાં જે પુરુષનું તે ચિત્ત છે તે પુરુષના ગણાય છે. ૨૦
ચિત્તના ધર્મો અર્થાત્ પરિણામો, આકારો બે પ્રકારના છે–પરિદૃષ્ટ અર્થાત્ પ્રત્યક્ષ અને અપરિદૃષ્ટ અર્થાત્ પરોક્ષ. પરિદૃષ્ટ ધર્મો પ્રત્યયરૂપ અર્થાત્ જ્ઞાનરૂપ છે
જ્યારે અપરિદૃષ્ટ ધર્મો વસ્તુમાત્રાત્મક છે. ચિત્તના પ્રત્યયરૂપ ધર્મો પ્રમાણ વગેરે વૃત્તિઓ છે જ્યારે ચિત્તના વસ્તુમાત્રાત્મક ધર્મો નિરોધ, ધર્મ, સંસ્કાર, પરિણામ, જીવન, ચેષ્ટા અને શક્તિ છે. નિરોધ એટલે ચિત્તવૃત્તિઓનો નિરોધ. ધર્મથી પાપપુણ્ય કર્મ સમજવું. સંસ્કારનો અર્થ છે વાસના. તે અનુભવનું કાર્ય છે અને સ્મૃતિનું કારણ છે. પરિણામ એટલે પ્રતિક્ષણ પરિવર્તનશીલતા. જીવનનો અર્થ છે પ્રાણધારણ. ચિત્તની ચેષ્ટા એટલે ચિત્તની સંચારરૂપ ક્રિયા; આ ક્રિયાને લઈ ચિત્તનો ઇન્દ્રિય સાથે સંયોગ-વિયોગ થાય છે. ચિત્તની શક્તિનો અર્થ છે ચિત્તનાં ઉદ્દભૂત કાર્યોની સૂક્ષ્માવસ્થા. આ નિરોધ વગેરે ચિત્તના સાતેય ધર્મો આગમ યા અનુમાનથી ગ્રાહ્ય છે. એટલે તેમને દર્શનવર્જિત કહ્યા છે. દર્શનવર્જિતનો અર્થ એ પણ થઈ શકે કે તે પુરુષમાં પ્રતિબિંબિત નથી થઈ શકતા. એથી ઊલટું જે ધર્મો પરિદષ્ટ છે તે પુરુષમાં પ્રતિબિંબિત થાય છે. આ જ તેમની પ્રત્યક્ષતા યા દર્શન-અવાર્જિતતા છે. ૨૧ ચિત્તને એક શરીરમાંથી કાઢી બીજા શરીરમાં દાખલ કરી શકાય છે. તેના માટે ખાસ પ્રક્રિયા જરૂરી છે. ૨૨