SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ પદર્શન જ રહે છે એવું તો માની શકાય જ નહિ, કારણ કે “મારું ચિત્ત ક્રોધયુક્ત છે,” “મારું ચિત્ત ભયમુક્ત છે, “મારું ચિત્ત અમુક વિષયમાં આસક્ત છે એમ પોતાના ચિત્તની અવસ્થા ઓછેવધતે અંશે જાણીને જ આપણે પ્રવૃત્તિ કરીએ છીએ. આમ ચિત્ત સ્વપ્રકાશ કે સર્વથા અગ્રાહ્ય ન હોવાથી તે પુરુષગ્રાહ્ય છે એમ માનવું જ રહ્યું. ચિત્તને ક્ષણિક માનનાર અહીં એમ કહે છે કે પ્રથમ ક્ષણના ચિત્તને તેની પછી તરત જ ઉત્પન્ન થતું બીજી ક્ષણનું ચિત્ત ગ્રહણ કરે છે એટલે ચિત્તને પુરુષ ગ્રહણ કરે છે એવું માનવાની જરૂર નથી. આની સામે યોગદર્શન જણાવે છે કે આ રીતે ચિત્તને ચિત્તાન્તરગ્રાહ્ય માનવામાં તો અનવસ્થાદોષ અને સ્મૃતિસંકરદોષ આવે. ઘટ વગેરેને જાણનારું ચિત્ત તેની પછી તરત બીજી ક્ષણે ઉત્પન્ન થનાર ચિત્ત વડે ગૃહીત થાય છે એમ માનવામાં આવે તો તે બીજું ચિત્ત કોનાથી ગૃહીત થશે ? તેને સ્વગ્રાહ્ય તો માની શકાય નહિ. એટલે તેને ત્રીજી ક્ષણના ચિત્તથી ગ્રાહ્ય માનીએ તો ત્રીજી ક્ષણના ચિત્તને ચોથી ક્ષણના ચિત્તથી, ચોથી ક્ષણના ચિત્તને પાંચમી ક્ષણના ચિત્તથી ગ્રાહ્ય માનવું પડે અને આવી ગ્રાહ્યગ્રાહક ચિત્તની અનંત ધારા ચાલ્યા જ કરે. આ થયો અનવસ્થાદોષ. વળી, પૂર્વ પૂર્વ ક્ષણના ચિત્તને ઉત્તર ઉત્તર ક્ષણનું ચિત્ત પ્રહણ કરે છે એમ માનવાથી વિષયના અનુભવકાળે વિષયનું જ્ઞાન, વિષયના જ્ઞાનનું જ્ઞાન, વિષયના જ્ઞાનના જ્ઞાનનું જ્ઞાન વગેરે અનંત જ્ઞાનો માનવા પડે. પરિણામે સ્મૃતિકાળે તે અનંત જ્ઞાનોની એક સાથે સ્મૃતિઓ માનવી પડે, કારણ કે જેવો અનુભવ થયો હોય તેવી સ્મૃતિ થવી જોઈએ. તેથી “ઘડાને મેં જાણ્યો હતો” એવી રીતની માત્ર એક આકારવાળી સ્મૃતિ થાય છે તેને બદલે “ઘડાને મેં જાણ્યો હતો”, “ઘડાના જ્ઞાનને મેં જાણ્યું હતું “ઘડાના જ્ઞાનના જ્ઞાનને મેં જાણ્યું હતું વગેરે અનંત આકારવાળી સ્મૃતિઓ એક સાથે જાગે. પરંતુ આ વસ્તુ અનુભવથી વિરુદ્ધ છે. સ્મૃતિકાળે માત્ર અર્થની જ સ્મૃતિ થાય છે, પણ તેની સાથે અસંખ્ય જ્ઞાનોની સ્મૃતિ થતી નથી. આ થઈ સ્મૃતિસંકર દોષની વાત. એટલે, ચિત્તને ચિત્તાન્તરગ્રાહ્ય પણ માની ન શકાય. તેને પુરુષગ્રાહ્ય જ માનવું પડે: અસંગ, અપરિણામી અને નિર્વિકાર પુરુષ ચિત્તનો જ્ઞાતા કેવી રીતે બની શકે ? આની યોગસંમત પ્રક્રિયા નીચે મુજબ છે : વાચસ્પતિને મતે પુરુષનું ચિત્તગત પ્રતિબિંબ જ ચિત્તગત વિષયાકારને ધારણ કરે છે. આ જ પુરુષનું ચિત્તજ્ઞાન છે. આથી ઊલટું ભિક્ષને મતે પુરુષમાં ચિત્તનું પ્રતિબિંબ પડે છે અને પુરુષ પોતે જ ચિત્તગત વિષયાકારને પોતાનામાં પ્રતિફલિત કરે છે. ભિક્ષને મતે આ પુરુષનું ચિત્તજ્ઞાન છે. ચિત્ત જેમ ઘટ, પટ, વગેરે બાહ્ય વિષયોના આકારે પરિણમે છે તેમ તે પુરુષના આકારે પણ પરિણમી શકે છે. આને લઈને જ પુરુષને પોતાને પોતાનું જ્ઞાન (=સાક્ષાત્કાર) શક્ય બને છે. પુરુષ પોતે સીધેસીધો તો પોતાને કદી જાણી શકતો જ નથી. ચિત્તગત પોતાના પ્રતિબિંબ દ્વારા જ તે પોતે પોતાને જાણી શકે છે. પુરુષ પોતે સીધેસીધો પોતાને કેમ ન જાણી શકે ? એનું કારણ એ કે એક જ વસ્તુ કર્તા અને કર્મ બંને એક જ ક્રિયામાં હોઈ શકે નહિ.'
SR No.005833
Book TitleShaddarshan Part 01 Sankhya Yog
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherUniversity Granthnirman Board
Publication Year1973
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy