________________
અધ્યયન ૧૬ પ્રમાણનિરૂપણ
વસ્તુના યથાર્થ નિશ્ચયાત્મક જ્ઞાનને પ્રમા કહે છે અને જેના દ્વારા આવું જ્ઞાન થાય તેને પ્રમાણ કહેવામાં આવે છે. સાંખ્યમતે બુદ્ધિવૃત્તિ પ્રમાણ છે. વિષય સાથે ઈન્દ્રિયનો સન્નિકર્ષ થતાં અથવા વ્યાપ્તિજ્ઞાન વગેરેને કારણે બુદ્ધિનો જે વિષયાકાર પરિણામ થાય છે તેને સાંખ્યો પ્રમાણ ગણે છે. વિષયનો જે આકાર અને પ્રકાર હોય છે તે ચિત્તમાં ઊઠે છે. બુદ્ધિવૃત્તિનો અર્થ છે નિશ્ચયરૂપ ચિત્તવૃત્તિ. બધી જ ચિત્તવૃત્તિઓ પ્રમાણ નથી ગણાતી પણ જે ચિત્તવૃત્તિઓનો વિષય અસંદિગ્ધ હોય, અવ્યભિચારી હોય અને અનધિગતા હોય તે ચિત્તવૃત્તિઓ જ પ્રમાણ છે. જે ચિત્તવૃત્તિનો વિષય સંશયાવિષ્ટ, જ્ઞાનોત્તરકાળે બાધ્ય અને પહેલાં જ્ઞાનનો વિષય બની ચૂકેલો છે તે ચિત્તવૃત્તિ પ્રમાણ નથી. વિષયાકાર પરિણમેલી બુદ્ધિમાં રહેલું ચિન્મય પુરુષનું પ્રતિબિંબ બુદ્ધિવૃત્તિગત અર્થાકાર ધારણ કરે છે; આ પ્રમાં છે. આ વાચસ્પતિનો મત છે. બીજા શબ્દોમાં, વાચસ્પતિ અનુસાર બુદ્ધિમાં પ્રતિબિંબિત ચૈતન્ય જ ચિત્તવૃત્તિને પ્રકાશિત કરે છે અને પ્રતિબિંબરૂપ ચૈતન્યને જ અર્થબોધ થાય છે. તે કહે છે કે પ્રમાણ અને ફળ બન્નેનું અધિકરણ એક જ હોવું જોઈએ, લીમડા ઉપર કાપવાની ક્રિયા થાય અને તેના ફળરૂપે ખીજડો કપાઈ જાય એવું તે કદીય બને? પ્રમાણ અને ફળ (પ્રમા) બન્નેયનું અધિકરણ બુદ્ધિ જ છે. ભિક્ષુ વાચસ્પતિના મતનું જુસ્સાપૂર્વક ખંડન કરે છે. તે જણાવે છે કે બુદ્ધિગત ચેતન-પ્રતિબિંબને અર્થભાન થઈ જ ન શકે. પ્રતિબિંબ તો તુચ્છ છે, તે પ્રકાશ વગેરે અર્થક્રિયા કરવા અસમર્થ છે. આથી અર્થબોધ ખરેખર પુરુષને માનવો જોઈએ, પુરુષનિષ્ઠ માનવો જોઈએ. બોધ પુરુષને કેવી રીતે થાય છે ? ભિક્ષુ કહે છે કે અર્થોપરક્ત બુદ્ધિવૃત્તિનું પુરુષમાં પ્રતિબિંબ પડતાં પુરુષને અર્થબોધ થાય છે; અર્થનું સાક્ષાત્ પ્રતિબિંબ પડતું નથી, પરંતુ અર્થાકાર બુદ્ધિવૃત્તિનું જ પ્રતિબિંબ તેમાં પડે છે; અર્થાકાર બુદ્ધિવૃત્તિનું જ પ્રતિબિંબ ઝીલવાની યોગ્યતા પુરુષમાં છે. આમ અર્થાકાર ચિત્તવૃત્તિ એ પ્રમાણ છે અને પૌરુષેય બોધ એ પ્રમાં છે. જે વિષયનું જ્ઞાન થાય છે તે પ્રમેય યા શેય છે અને જે પુરુષને જ્ઞાન થાય છે તે પ્રમાતા યા જ્ઞાતા છે. આમ પ્રમાણક્રિયાનાં ચાર અંગો છે- પ્રમાતા, પ્રમો, પ્રમેય અને પ્રમાણ. પ્રમાણના ઉક્ત લક્ષણથી સંશયરૂપ ચિત્તવૃત્તિ, વિપર્યયરૂપ ચિત્તવૃત્તિ અને સ્મૃતિરૂપ ચિત્તવૃત્તિ પ્રમાણ નથી એ સ્પષ્ટ થાય છે. એનું કારણ એ છે કે સંશયરૂપ ચિત્તવૃત્તિનો વિષય સંશયાવિષ્ટ