SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ સાંખ્યદર્શન ૧૬૯ એટલે, રાગ, દ્વેષ વગેરે સહકારી કારણના અભાવમાં પૂર્વસંચિત કર્મો નવો જન્મ ઉત્પન્ન કરી શકતા નથી. સહકારી સાથેના સંયોગના અભાવે પૂર્વસંચિત કર્મો દગ્ધ થઈ જાય છે, કારણ કે તેમનામાં ત્યારે શબ્દ વગેરેના ઉપભોગરૂપ ફળ પેદા કરવાનું સામર્થ્ય હોતું નથી. તેથી ત્યારે અવશિષ્ટ રહે છે પ્રારબ્ધ કર્મ. ભોગ દ્વારા તે પ્રારબ્ધ કર્મોનો ક્ષય થતાં પુરુષની સ્વાભાવિક કૈવલ્યાવસ્થા પ્રગટ થાય છે. આમ ઉપર વર્ણવેલી રીતે તત્ત્વસાક્ષાત્કારને પરિણામે પુરુષની મુક્તિ સંભવિત બને છે. યોગદર્શનમાં પણ આને અનુરૂપ વાત જ કહી છે. યોગદર્શનમાં કહ્યું છે કે શાસ્ત્ર અથવા ગુરુના મુખેથી તત્ત્વજ્ઞાનનું શ્રવણ કર્યા પછી મનન અને નિદિધ્યાસન દ્વારા એ તત્ત્વજ્ઞાનમાં દૃઢ થઈને નિરંતર દીર્ઘકાળ સુધી તેનો અભ્યાસ કરવો જોઈએ.૨૫ આ વિવેકજ્ઞાનનો પ્રવાહ અટક્યા વિના દીર્ઘકાળ સુધી ચાલવાથી સાધકના ચિત્તમાં ક્રમે જ્ઞાનના સાત સ્તરોનો આવિર્ભાવ થાય છે: (૧) હેય દુઃખો નિઃશેષ જાણી લીધાં છે, હવે જાણવાનું કંઈ બાકી નથી, (૨) દુઃખનાં કારણો પણ નષ્ટ થઈ ગયાં છે, હવે કશાનો ક્ષય કરવાનો રહ્યો નથી, (૩) નિરોધસમાધિ દ્વારા દુઃખહાનિ પ્રત્યક્ષ અનુભવી છે, (૪) વિવેકજ્ઞાન દ્વારા દુઃખનાશનો ઉપાય મળી ગયો છે. આ ચાર બુદ્ધિની બહિર્યાપારમાંથી મુક્તિ સૂચવે છે. ચિત્તની વિમુક્તિ ત્રણ દ્વારા સૂચવાય છે (૫) બુદ્ધિનો ભોગ અને અપવર્ગ સંપાદિત થયો છે, (૬) પર્વતના શિખર પરથી ગબડતા પથ્થરના ટુકડાના જેટલી ઝડપથી ગુણો પ્રકૃતિમાં લય પામી જાય છે, પ્રયોજનાન્તર ન હોવાથી તેમની પુનઃ ઉત્પત્તિ સંભવતી નથી, (૭) આ અવસ્થામાં ગુણસંયોગશૂન્ય પુરુષ સ્વસ્વરૂપમાં પ્રતિષ્ઠિત થઈ નિર્મળભાવે અસંગ અવસ્થામાં અવસ્થાન કરે છે. " - વિવેકખ્યાતિ ઉત્પન્ન થવાને પરિણામે પુરુષના કર્તુત્વ વગેરેની નિવૃત્તિ કેવી રીતે થાય છે તેની વાત વિચારી લઈએ. સાંખ્યમતે સૃષ્ટિવ્યાપારમાં પ્રકૃતિ સ્વતંત્ર છે. પરંતુ તેનો તે વ્યાપાર અન્યને અર્થે છે એ અર્થમાં એને પરતંત્ર પણ ગણી શકાય. બીજી દૃષ્ટિએ પણ તેને પરતંત્ર ગણી શકાય કારણ કે પુરુષના સંયોગ વિના તે સૃષ્ટિક્રિયામાં પ્રવૃત્ત થતી નથી. પુરુષ અને પ્રકૃતિ એ બન્નેના સંયોગના પરિણામે પ્રકૃતિ ભોગ્ય વસ્તુની સૃષ્ટિ કરે છે અને પુરુષ તે ઉત્પન્ન ભોગ્ય વસ્તુનો ભોગ કરે છે. પ્રકૃતિની ભોગ્યત્વયોગ્યતા અને પુરુષની ભોકતૃત્વયોગ્યતાને સાંખ્યદર્શનમાં સંયોગ નામે ઓળખવામાં આવી છે. પુરુષની ચિસ્વભાવતા યા ચૈતન્ય એ જ તેની ભોકતૃત્વયોગ્યતા છે, બીજી બાજુ પ્રકૃતિની જડસ્વભાવતા કે જડતા એ જ તેની ભોગ્યત્વયોગ્યતા છે. આવા યોગ્યતારૂપ સંયોગને લીધે જ પુરુષ અને પ્રકૃતિને પોતપોતાનું કાર્ય કરવું શક્ય બને છે. ભિક્ષુ ભિન્ન મત ધરાવે છે. તે ભોગ્યભોકતૃયોગ્યતાને જ પ્રકૃતિ-પુરુષનો સંયોગ નથી ગણતા કારણ કે યોગ્યતા નિત્ય હોવાથી તે તત્ત્વજ્ઞાનથી દૂર થઈ શકે જ નહિ. વિવેકખ્યાતિ પછી પણ પુરુષનું ચૈતન્ય અને પ્રકૃતિનું જડત્વ પૂર્વવત્ વર્તમાન જ હોય છે. તે તો અવિદ્યાહતુક સંયોગને જ સ્વીકારે છે. “અચેતન પ્રકૃતિને સૃષ્ટિ કરવા પોતાનું તો કોઈ પ્રયોજન નથી. પુરુષનાં પ્રયોજન સાધી આપવા પ્રકૃતિ વિવિધ ભોગ્ય વસ્તુઓમાં પરિણમે છે. નિપ્રયોજન સૃષ્ટિની કલ્પના અસહ્ય છે. ભોગ અને ષ-૧).
SR No.005833
Book TitleShaddarshan Part 01 Sankhya Yog
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherUniversity Granthnirman Board
Publication Year1973
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy