SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ ષડ્રદર્શન આ પુરુષગત બાધનાપ્રતિબિંબને પુરુષનું દુઃખ કહ્યું છે. પુરુષ કૂટસ્થ હોઈ તે કોઈ પરિણામધારણ કરતો નથી. એટલે, સ્વચ્છ પુરુષમાં બાધના વગેરેનું પ્રતિબિંબ સ્વીકારવામાં આવ્યું છે. પ્રતિબિંબથી પુરુષની કૂટસ્થતાને કંઈ વાંધો આવતો નથી. આ પુરુષગત પ્રતિબિંબાત્મક દુઃખભોગ આમ પુરુષને પક્ષે અતાત્ત્વિક ઠરે છે, કારણ કે વાસ્તવમાં એનાથી પુરુષમાં કોઈ વિકાર ઊઠતો નથી. વાચસ્પતિને મતે અવિઘાવશે પ્રકૃતિ સાથે પુરુષનો સંયોગ થાય છે, વિષયાકારે પરિણત બુદ્ધિમાં ચિન્મય પુરુષનું પ્રતિબિંબ પડે છે અને પુરુષ શુદ્ધ હોવા છતાં અજ્ઞાનને કારણે બુદ્ધિગત સુખ, દુઃખ વગેરેનો પોતાના ઉપર આરોપ કરે છે અને પોતાને સુખી, દુઃખી કહ્યું છે. આમંભિક્ષુ અને વાચસ્પતિ બંનેને મતે દુઃખભોગ પુરુષનો અતાત્વિક ધર્મ હોવા છતાં તે દુઃખભોગનાશને જ પુરુષાર્થ ગણવામાં આવ્યો છે. દુઃખભાગના નાશમાં આગામિબાધનાયુક્ત ચિત્તનો નાશ સહાય કરે છે એટલે ચિત્તના નાશને પણ પુરુષાર્થ તરીકે સ્વીકારવામાં આવે છે. સાંખ્યમતે પ્રકૃતિ-પુરુષનું ભેદજ્ઞાન ઉત્પન્ન થતાં પુરુષ મુક્ત થાય છે. ભેદજ્ઞાન કેવી રીતે મુક્તિ ઉત્પન્ન કરે છે તેનો હવે વિચાર કરીએ. પ્રકૃતિથી પુરુષ સુધીનાં પચીસ તત્ત્વોનાં સ્વરૂપ વિશે શ્રદ્ધાપૂર્વકના નિરન્તર દીર્ઘકાળ પર્વતના અભ્યાસને પરિણામે સાધકના ચિત્તમાં સત્ત્વપુરુષાન્યતાખ્યાતિ અર્થાત્ બુદ્ધિ-પુરુષની ભિન્નતાનું બોધક જ્ઞાન, ઉત્પન્ન થાય છે. સંશય અને વિપર્યય(મિથ્યાજ્ઞાન)ના અભાવે આ ભેદજ્ઞાન યા તત્ત્વજ્ઞાન વિશુદ્ધ હોય છે. તત્ત્વજ્ઞાન ઉત્પન્ન થતાં અજ્ઞાનોત્પાદક કોઈ જ્ઞાતવ્ય વિષય રહેતો નથી. તત્ત્વજ્ઞાન ઉત્પન્ન થતાં એવો કોઈ વિષય નથી કે જે પોતાને વિશે મિથ્યાજ્ઞાન જન્માવી શકે. આ અર્થમાં તત્ત્વજ્ઞાન નિરવશેષ છે. આ તત્ત્વજ્ઞાનનું સ્વરૂપ છે – “હું પુરુષ પરિણામી નથી; એટલે કર્તા નથી; અકર્તૃત્વને કારણે મારામાં વાસ્તવિક સ્વામિત્વ પણ નથી.” આવું વિવેકજ્ઞાન જાગતાં પુરુષની મુક્તિનો માર્ગ મોકળો થાય છે. વિદ્યા અવિદ્યાનો નાશ કરે છે. સત્ત્વપુરુષાન્યતાખ્યાતિરૂપ વિદ્યાનો ઉદય થતાં અવિદ્યાનો જડમૂળથી નાશ થાય છે. અવિદ્યાના અભાવમાં અવિઘાનાં કાર્ય રાગ, દ્વેષ વગેરે ઉત્પન્ન થતાં નથી. રાગ, દ્વેષ વગેરેના અભાવમાં નવા ધર્મ, અધર્મ ઉત્પન્ન થતા નથી તેમ જ પૂર્વસંચિત કર્મો રાગ, દ્વેષ વગેરે સહકારીના અભાવમાં દગ્ધબીજરૂપ અવસ્થાને પામે છે. બીજી રીતે કહીએ તો સાંખ્યમતે સુખ, દુઃખ, કર્તૃત્વ, ભોકતૃત્વ વગેરે ધર્મો પ્રકૃતિના પરિણામસ્વરૂપ છે અને બુદ્ધિમાં આશ્રિત છે. અવિદ્યા વશે બુદ્ધિની સાથે પુરુષનો સંયોગ સ્થાપિત થાય છે અને પરિણામે બુદ્ધિના ધર્મોને પોતાનામાં આરોપીને પુરુષ પોતાને સુખી, દુઃખી, કર્તા વગેરે માને છે. પુરુષનો આ ભોકતૃત્વ, કર્તુત્વ વગેરે બોધ આભિમાનિક છે. કર્તૃત્વ, ભોકતૃત્વરૂપ અભિમાનોને અભિમાનરૂપે જાણવા જોઈએ. તત્ત્વજ્ઞાનનો ઉદય થતાં આ અભિમાનો ગળી જાય છે. આ અભિમાનો જ રાગ અને દ્વેષના જનક છે. રાગ અને દ્વેષને કારણે જ પુરુષ ધર્મ, અધર્મ વગેરે ઉપાર્જિત કરે છે. રાગ અને દ્વેષના અભાવે નવા ધર્મ, અધર્મ વગેરે ઉત્પન્ન થતા નથી. સંચિત કર્મો રાગ અને દ્વેષનો સહકાર લઈ પુનર્જન્મનું કારણ બને છે.
SR No.005833
Book TitleShaddarshan Part 01 Sankhya Yog
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherUniversity Granthnirman Board
Publication Year1973
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy