________________
સાંખ્યદર્શન આવિર્ભાવની જેમાં કદીય શક્યતા નથી એવી દુઃખોની નિઃશેષ નિવૃત્તિ, વર્તમાન દુઃખ થોડા વખત પછી પોતાની મેળે જ નાશ પામે છે. એટલે, એ દુઃખની નિવૃત્તિ માટે જ્ઞાનની જરૂર નથી. અતીત દુઃખ તો પહેલાં નાશ પામી ગયું છે એટલે એની નિવૃત્તિના ઉપાયને શોધવાની જરૂર નથી. ભવિષ્યત્ અનાગત દુઃખની નિવૃત્તિ કરવા માટે જ તત્ત્વજ્ઞાન આવશ્યક છે. આ દુઃખની નિવૃત્તિ જ પરમ પુરુષાર્થ મોક્ષ છે. પતંજલિ પણ આ વાત જ કહે છે. અહીં “નિવૃત્તિ શબ્દનો અર્થ ધ્વંસ છે. સાંખ્યોને મતે ઉત્પન્ન વસ્તુનો પોતાના કારણમાં જે લય તે જ ધ્વંસ છે અને ઉપાદાનકારણગત જે શક્તિ અર્થાત્ ઉપાદાનકારણે અવસ્થિત જે અવ્યક્ત કાર્ય તે જ પ્રાગભાવ કે અનાગતાવસ્થા છે. સાંખ્યો સત્કાર્યવાદી હોઈ અસત્ વસ્તુની ઉત્પત્તિ અથવા કોઈ વસ્તુનો એકાન્ત વિનાશ તેમને સ્વીકાર્ય નથી. અહીં કોઈ એવી આપત્તિ ઉઠાવે કે અનાગતાવસ્થ દુઃખ તો સર્વદા અવર્તમાન છે, કોઈ કાળે તે વિદ્યમાન નથી. તેથી અનાગતાવસ્થ દુઃખની નિવૃત્તિને પરમપુરુષાર્થ તરીકે કેવી રીતે સ્વીકારી શકાય? આના ઉત્તરમાં સાંખ્યદર્શન કહે છે કે પ્રાગભાવવિશિષ્ટ અર્થાત્ અનાગતાવસ્થ કાર્યો ઉપાદાનકારણમાં અવ્યક્તાવસ્થામાં વર્તમાન હોવાથી એ અવસ્થામાં પણ કાર્યનો નાશ થઈ શકે. એટલે, અનાગતાવસ્થાપન કાર્યનો નાશ કરવા માટે તેના ઉપાદાનકારણનો નાશ કરવો જોઈએ. બધાં દ્રવ્યોમાં સ્વકાર્યજનનશક્તિ હંમેશાં હોય છે. દાહશક્તિશૂન્ય અગ્નિ કદીય દેખાતો નથી. જ્યાં સુધી ચિત્ત વિદ્યમાન હોય ત્યાં સુધી તેમાં દુઃખોત્પાદિકા શક્તિ હોવાની જ. એ શક્તિ જ અનાગતાવસ્થાવાળું દુઃખ છે. કાર્ય દ્વારા શક્તિનું અનુમાન થાય છે. જો ચિત્તમાં દુખોત્પાદક શક્તિ હોય તો દુઃખ ઉત્પન્ન કેમ ન થાય? ચિત્તનિષ્ઠ અનાગતાવસ્થ દુ:ખોની નિવૃત્તિ એ જ પરમપુરુષાર્થ છે. અનાગતાવસ્થ બીજભૂત દુઃખની નિવૃત્તિ જ જીવને ઈષ્ટ છે. તત્ત્વજ્ઞાન દ્વારા જ અનાગતાવસ્થ દુઃખની નિવૃત્તિ થઈ શકે. જો કે તત્ત્વજ્ઞાનની સાથે અજ્ઞાનનો વિરોધ હોઈ તત્ત્વજ્ઞાન અજ્ઞાનને જ દૂર કરે છે, તેનો દુઃખ સાથે વિરોધ ના હોઈ તે દુઃખને નિવૃત્ત કરી શકતું નથી, તેમ છતાં તત્ત્વજ્ઞાન દ્વારા અજ્ઞાન નિવૃત્ત થતાં ચિત્તગત દુઃખોત્પાદક શક્તિ દગ્ધ થઈ જાય છે, તે પુનઃ ફળ ઉત્પન્ન કરી શકતી નથી. ચિત્તગત આ શક્તિનો દાહ જ અનાગત દુઃખની નિવૃત્તિ છે. જીવનમુક્તિની દિશામાં ચિત્ત હોવા છતાં ચિત્તાશ્રિત દુઃખોત્પાદક શક્તિ યા દુઃખબીજ જ્ઞાનાગ્નિ દ્વારા બળીને ભસ્મ થઈ જાય છે. આ અવસ્થામાં ચિત્તનો નાશ ન થયો હોવા છતાં તેની શક્તિઓ અંકુરિત થવા તદ્દન અસમર્થ હોય છે. વિદેહકૈવલ્યાવસ્થામાં ચિત્ત પોતે જ સ્વરૂપઃ નાશ પામે છે અર્થાત્ વાસના સહિત ચિત્ત પોતાના કારણમાં લય પામે છે. '
પુરુષ શુદ્ધ-બુદ્ધ-નિત્ય-મુક્ત-સ્વભાવ છે. દુઃખ વગેરરૂપ કોઈ અશુદ્ધિ તેમાં સંભવી શકે નહિ, દુઃખ ચિત્તનો ધર્મ છે. એટલે તેની નિવૃત્તિ પુરુષમાં સંભવે જ નહિ. તો પછી દુઃખનિવૃત્તિને પુરુષાર્થ કેવી રીતે ગણી શકાય? આ આપત્તિનો ઉત્તર ભિક્ષુ આપે છે. તે કહે છે કે પ્રતિબિંબરૂપે પુરુષમાં દુઃખ છે જ. બુદ્ધિનો બાધનારૂપ આકાર કે પરિણામ તે દુઃખ છે. બાધનારૂપ પરિણામ પામેલી બુદ્ધિ સ્વચ્છ પુરુષમાં પ્રતિબિંબિત થાય છે.