SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ સાંખ્યદર્શન ૧૩૫ તેમનું એકત્ર હોવું સંભવે છે. તેથી એકના વિના બીજાની કલ્પના કરવી નિરર્થક છે. સાંખ્ય અને યોગ દર્શનને મતે પ્રત્યેક વિષય સામાન્યવિશેષાત્મક છે. જો વિષયના સંપર્કથી ઇન્દ્રિયને સામાન્યજ્ઞાન ઉત્પન્ન થાય તો તેના સંપર્કથી તેને વિશેષજ્ઞાન પણ થવું જ જોઈએ, કારણ કે સામાન્ય વિશેષની અને વિશેષ સામાન્યની અપેક્ષા કરે છે. આ રીતે વિષયની સાથે સંબંધમાં આવવાથી ઇન્દ્રિયને સામાન્ય અને વિશેષ બંનેનું જ્ઞાન થતાં અંતઃકરણની કલ્પના નિરર્થક બની જશે. વળી, વિષયની સાથેના સંપર્કને પરિણામે અન્તઃકરણને વિશેષજ્ઞાન ઉત્પન્ન થતાં તેને તે વિષયનું સામાન્ય જ્ઞાન પણ સાથે સાથે ઉત્પન્ન થવું જ જોઈએ. જો અન્તઃકરણને વિશેષનું અને સામાન્યનું બંનેનું જ્ઞાન જન્મે તો ઇન્દ્રિયની કલ્પના વ્યર્થ બની જાય. એટલે, શ્રોત્ર વગેરે ઇન્દ્રિયોની શબ્દ વગેરે વિષયક આલોચનવૃત્તિને સામાન્યજ્ઞાન ગણી શકાય નહિ. બીજું, ઇન્દ્રિયની આલોચનવૃત્તિને જ્ઞાન તરીકે સ્વીકારતાં પ્રત્યયવિશિષ્ટ અન્તઃકરણની જેમ ઇન્દ્રિય અનિયતવિષયક બની જાય. વસ્તુતઃ ઇન્દ્રિય અનિયતવિષયક નથી, પરંતુ નિયતવિષયક છે. તેથી ઇન્દ્રિયની આલોચનવૃત્તિ જ્ઞાન નથી. ત્રીજું, ત્રણેય કાળ સાથે અન્તઃકરણનો સંબંધ જણાય છે. નદીમાં પૂર જોઈ અનુમાન કરાય કે ઉપરવાસ વરસાદ થયો છે (અતીતકાળ), પર્વત ઉપર ધુમાડો જોઈ અનુમાન કરાય કે ત્યાં અગ્નિ છે (વર્તમાનકાળ). કીડીઓને ઈંડાં લઈ જતી જોઈ અનુમાન કરાય કે વરસાદ પડશે (ભવિષ્યકાળ), ઇન્દ્રિયની આલોચનવૃત્તિને જ્ઞાન ગણતાં ઇન્દ્રિયનો પણ પ્રત્યયવિશિષ્ટ અન્તઃકરણની જેમ ત્રણેય કાળ સાથે સંબંધ બને. પરંતુ વસ્તુતઃ તો બાધેન્દ્રિયનો અતીત અને ભવિષ્ય સાથે સંબંધ નથી, કેવળ વર્તમાન સાથે એનો સંબંધ થાય છે. તેથી શ્રોત્ર વગેરે ઇન્દ્રિયોની આલોચનવૃત્તિને જ્ઞાન ગણી શકાય નહિ. ચોથું, ઇન્દ્રિયની આલોચનવૃત્તિ જો જ્ઞાન હોય તો ઇન્દ્રિય પણ પ્રત્યયવિશિષ્ટ અન્તઃકરણની જેમ આદિરૂપ (અનુભવ) અને અંતરૂપ (મૃતિ) જણાવી જોઈએ. પરંતુ વાસ્તવમાં તે એવી જણાતી નથી. તેથી શ્રોત્ર વગેરે ઇન્દ્રિયોની આલોચનવૃત્તિ જ્ઞાન નથી એ અવશ્ય સ્વીકારવું જોઈએ.૨૩ ઇન્દ્રિયો વિષયને ધારણ કરે છે કે પ્રદીપની જેમ તેનું પ્રકાશન કરે છે એ વિચારવું જોઈએ. યુક્તિદીપિકીકાર કહે છે કે ઇન્દ્રિય વિષયની ધારક છે, પ્રકાશક નથી. ઇન્દ્રિયને જો વિષયની પ્રકાશક માનવામાં આવે તો ઇન્દ્રિયોતિરિક્ત બીજા કરણોની કલ્પના કરવી પડે. પ્રદીપ દ્વારા પ્રકાશિત ઘટ વગેરે પદાર્થને ગ્રહણ કરવા માટે કરણાન્તર ઇન્દ્રિયની કલ્પના કરવામાં આવી છે; એવી જ રીતે ઇન્દ્રિય પ્રદીપની જેમ વિષયની પ્રકાશક હોતાં તે ઇન્દ્રિય દ્વારા પ્રકાશિત વિષયને ગ્રહણ કરવા માટે ઇન્દ્રિયોતિરિક્ત કરણાન્તરની કલ્પના કરવી પડે. પરંતુ એવી કરણાન્તરની કલ્પના કોઈ કરતું નથી. એટલે પ્રદીપની જેમ ઇન્દ્રિયને વિષયપ્રકાશ ગણવી જોઈએ નહિ, પણ ધારક ગણવી જોઈએ. જો ઇન્દ્રિય દ્વારા પ્રકાશિત વિષયને ગ્રહણ કરવા માટે બુદ્ધિરૂપ અન્તઃકરણને કરણાન્તર ગણી સ્વીકારીએ તો પ્રદીપ અને ઇન્દ્રિય બેમાંથી કોઈ એક દ્વારા વિષયનો પ્રકાશ થવો સંભવ હોઈ બેમાંથી એકની કલ્પના નિરર્થક થઈ જશે, કારણ કે જેઓ એક જ કાર્ય કરવા સમર્થ
SR No.005833
Book TitleShaddarshan Part 01 Sankhya Yog
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherUniversity Granthnirman Board
Publication Year1973
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy