________________
યુગે યુગે પાટણની પ્રભુતા
२
આથી સામંતસિંહ ચાવડાએ પોતાની બહેન લીલાવતી (બીજું નામ સેનાજી પણ હતું) નું લગ્ન અંધ બીજના કહેવાથી તેના ભાઇ રાજ સાથે કરાવ્યું. પરંતુ અર્ધું રાજ્ય આપવા ના પાડી. આ લીલાવતીની કૂખે પુત્ર જન્મ્યો. તે મૂળ નક્ષત્રમાં જન્મયો હોવાથી તેનું નામ મૂળરાજ પાડવું.
મૂળરાજને તેની માતાનું પેટ ચીરી ઉપરથી લેવામાં આવેલો ! મૂળરાજ સોલંકીએ, પુખ્ત ઉંમરનો થતાં મામા સામંતસિંહને મારી અણહિલવાડની ગાદી કબજે કરી. સોલંકી વંશની સ્થાપના કરી.
‘પ્રબંધ ચિંતામણી’ મુજબ મૂળરાજનો રાજ્યાભિષેક વિક્રમ સંવત ૯૯૮ ઇ.સ. ૯૪૨ માં થયો હતો એમ જણાવ્યું છે. આ રીતે મૂળરાજે સોલંકી વંશની સ્થાપના કરી. સિદ્ધરાજ, ભીમદેવ અને કુમારપાળ જેવા પ્રતાપી રાજાઓ સોલંકી વંશમાં થઇ ગયા. મૂળરાજે પાટણનો પુનરૂદ્ધાર કર્યો. અણહિલપુરની આર્થિક પરિસ્થિતિ કેટલી સદ્ધર હતી એ જાણવા નીચેની વાર્તા સાક્ષી
પૂરે છે.
અહીં બાવન બજાર અને ચોર્યાસી ચૌટાં હતા. (બજાર અને ચૌટામાં શું ફર્ક હશે?) દરરોજ જકાતમાં એક લાખ ટંકા (એક પ્રકારનું નાણું) ઉધરાવવામાં આવતું. પાટણનો વિસ્તાર ઘણો મોટો હતો. એ જાણવા માટે ‘દ્દયાશ્રય’ કાવ્યમાં જણાવ્યું છે કે, “હનુમાન લંકા કૂદતા થાક્યા નહિ, પરંતુ જો તેઓ પાટણ આવે તો પાટણ કૂદતાં તે જરૂર થાકી જાય.'' અણહિલપુર કુબેરની અલકાપુરી કે ઇન્દ્રની અમરાપુરી જેવું હતું. વિદ્વાનોએ પાટણને ‘નરસમુદ્ર' ની ઉપમા આપી છે. કારણ કે પાટણની વસ્તી ઘણી હતી.
સિદ્ધરાજના સમયમાં અણહિલપુરમાં ૧૮૦૦ કોટચાધીશો (કરોડપતિઓ) રહેતા હતા, ત્યારે લખપતિઓનું તો પૂછવું જ શું ? દરેક કરોડપતિના મહાલય ઉપર ધ્વજ (કોટી ધ્વજા) ફરકતી અને લક્ષાધિશોને ત્યાં જેટલા લાખ રૂપિયા હોય તેટલા દીવા દરરોજ રાત્રે મકાન ઉપર પ્રગટ કરવા પડતા. એ સમયમાં પાટણમાં ૯૦ સંપ્રદાયો અસ્તિત્વમાં હતા એવી પ્રબંધમાં નોંધ મળે છે. છતાં બધાજ સંપ્રદાયના લોકો ભાઇચારાથી રહેતા હતા. સિદ્ધરાજના વખતમાં ખંભાતમાં આવેલ મુસલમાનોની એક મસ્જિદ અગ્નિ પૂજકોએ તોડી નાખી હતી એવી વાત મળતાં સિદ્ધરાજ જાતે સાંઢણી ઉપર બેસી ખંભાત ગયો હતો અને ગુનેગારોને નશ્યત કરી હતી અને તૂટેલી મસ્જિદ ફરી બાંધી આપી હતી. સિદ્ધરાજ આવો સર્વધર્મ પ્રત્યે સદ્ભાવ અને સમભાવ રાખતો મહાન સમ્રાટ હતો.
એક એવી વાર્તા છે કે એક વેપારી પાસે ૮૪ લાખ રૂપિયા હોવાથી દરરોજ ૮૪ દીવા કરતા પડતા. આ કામ ધણું કપરૂં અને કંટાળાજનક હતું. સિદ્ધરાજે તેની તકલીફ દૂર કરવા રાજ્યના ખજાનામાંથી સોળ લાખ રૂપિયા આપી તેને કરોડપતિ બનાવ્યો અને તેની દીવા કરવાની તકલીફ દૂર કરી. (સંપત્તિવેરો અને આવકવેરો ન હોય તો જ આવું બને.)
અણહિલ નામના ભરવાડે જે વીરભૂમિ બતાવી ત્યાં જ વનરાજે નગર વસાવ્યું અને ભરવાડનું . નામ શહેર સાથે જોડી ‘અણહિલવાડ’ નામ આપ્યું. એટલે જ ભરવાડના પાછલા બે અક્ષરો ‘વાડ’ ઉપરથી શહેરના મહોલ્લાના નામ સાથે પણ વાડા અને પાડા રાખ્યા હોવાની દંતકથા છે.