________________
પહેલો પ્રકાશ - જ્ઞાનાચાર
૨૭
લાવો. ત્યાર પછી નગરમાં ભમતા તેઓએ ઉદ્યાનમાં બેઠેલા એક કોઢિયાને જોયો અને બંદીવાનની જેમ કોઈપણ રીતે રાજાની પાસે લાવ્યા. પછી રાજાએ કન્યાને કહ્યું કે, તું કર્મને જ માને છે ને? કર્મો જ તને આ વર આપ્યો છે. તું આને પરણ અને કૃતકૃત્ય થા. અહાહા ! શું થશે? એ પ્રમાણે સઘળાય લોકોના મન કંપાયમાન થયે છતે અને કોઢિયો પણ સજ્જન હોવાથી નિવારણ કરે છતે, કર્મને જ પ્રધાન કરીને અસાધારણ સત્ત્વવાળી તે કન્યાએ વિવાહની રીતિથી તે કોઢિયાનો જ હાથ ગ્રહણ કર્યો. ત્યારે સભામાં ગુપ્ત વેશે બેઠેલા એક જ્યોતિષીએ કહ્યું કે, હમણા શ્રેષ્ઠ લગ્ન વર્તી રહ્યું છે. આવું લગ્ન બાર વર્ષે પણ મળવું સુલભ નથી. હું લગ્નબળના આધારે કહું છું કે શ્રેષ્ઠદેવોની જેમ આ બંનેને અવશ્ય કોઈપણ રીતે સર્વ પ્રકારે અનુપમ સુખ પ્રાપ્ત થશે. હવે રાજાએ તે કોઢિયાને રજા આપી કે આ કન્યાને લઈને તું જા. અને આની પાસે દાસીની જેમ બધું કામ કરાવજે. કોઈએ ચોરી કરી હોય અને તેને ગુસ્સા પૂર્વક કહે તેમ રાજાએ ગુસ્સાથી તે કન્યાને કહ્યું કે, અરે ! મરણના અંત સુધી આ કોઢિયાનો નિર્વાહ કરજે, અને પરમ સુખને પામશે. તેણીએ પણ “આપ કહો છો તેમ કરીશ એમ “તહત્તિ કહીને દેવની જેમ તેને પોતાના હાથમાં લઈને સાહસિક એવી તેણી પિતાના ઘરમાંથી લક્ષ્મીની જેમ સહસા નીકળી ગઈ. રાજાએ નિવારણ કર્યું હોવાથી તેની સાથે કોઈ દાસી પણ ન નીકળી. વળી રાજાના કોપના ભયથી અનિષ્ટની જેમ તેને કોઈપણ કંઈ કહેતું નથી.
કેટલાક રાજાને દોષ આપે છે, ત્યારે કેટલાક તે કુમારીને દોષ આપે છે, કેટલાક રાજાના ગુસ્સાને દોષ આપે છે, તો કેટલાક મંત્રી વગેરેને દોષ આપે છે, કેટલાક કુમારીના ગુરુને દોષ આપે છે, કેટલાક કન્યાના ભોળપણને દોષ આપે છે, કેટલાક કદાગ્રહને દોષ આપે છે, તો ધર્મને જાણનારા કેટલાક કર્મને દોષ આપે છે. આ પ્રમાણે નગરના લોકો નવા નવા વચનો • બોલે છતે કન્યા તે કોઢિયા સાથે નગરના બહારના ઉદ્યાનમાં જઈને અત્યંત સુખી માણસની
જેમ જરા પણ વિષાદ કર્યા વિના ત્યાં રહી. તેવા પ્રકારના તે કોઢિયાની પણ જાણે કે શ્રેષ્ઠ દેવની સેવા ન કરતી હોય તેમ પરમપ્રેમની રીતિથી તેની સેવા કરતી રહે છે. ખરેખર ! સતી સ્ત્રીઓનું ચરિત્ર મહાન આશ્ચર્ય કરનારું હોય છે. અસામાન્ય અને અઘટિત જે બન્યું તેને જોવા માટે જાણે અસમર્થ હોય તેમ સૂર્ય જલદીથી બીજા દ્વિીપમાં ચાલ્યો ગયો, અર્થાત્ અસ્ત પામ્યો. અને સંધ્યા પણ જાણે સતી ન હોય તેમ તેની પાછળ ગઈ. (૭૦) અને જેટલામાં મિથ્યાત્વના સમૂહની જેમ અંધકારનો સમૂહ વિસ્તાર પામ્યો તેટલામાં તેણીએ ત્યાં પતિ માટે અત્યંત પ્રશસ્ત પથારી પાથરી. તે પથારી ઉપર સુતેલા તે કોઢિયાએ તેણીની પરીક્ષા કરવા માટે કહ્યું કે, હે ભદ્રે ! હાય ! હાય ! પાર વિનાના આવા દુઃખસમુદ્રમાં તું કેમ પડી ? પહેલા તો મુગ્ધ એવી તે અયુક્ત કર્યું. અને ત્યાર પછી મદવાળા રાજાએ અત્યંત અયુક્ત કર્યું. પિતા આવું અયુક્ત કેવી રીતે કરે ? અલ્પ પ્રેમના કારણે કદાચ છોરું કછોરું થાય, પણ પ્રેમાતુર