________________
૨૫૯
ચોથો પ્રકાશ – તપાચાર
પારાંચિત— જિન અને જિન પ્રવચનની આશાતના કરનારા, સાધ્વી, રાણી આદિને સેવનારા, મુનિનો, રાજાનો વધ કરવો આદિ અકાર્યને કરનારા આચાર્યને જ પારાંચિત પ્રાયશ્ચિત્ત આવે. અને તે ગણમાંથી બહાર કરાયેલા હોય છે. અર્ધા યોજન પ્રમાણ દૂર બીજા ક્ષેત્રમાં વિચરતા હોય છે. જિનકલ્પિક જેવા હોવાથી મહાસત્ત્વશાળી હોય છે. જેની દેખભાળ ગુરુ કરી રહ્યા હોય છે. આવી રીતે તે અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્તમાં બતાવ્યા પ્રમાણે તપ કરવું વગેરે રૂપ પ્રાયશ્ચિત્તને વહન કરે છે.
આ દશ પ્રકારના પ્રાયશ્ચિત્તમાં પુલાકને આગળના છ પ્રાયશ્ચિત્ત હોય છે. બકુશ અને પ્રતિસેવના કુશીલને સ્થવિર કલ્પમાં દશે પણ પ્રાયશ્ચિત્ત હોય છે. જિનકલ્પમાં અને યથાલંદકલ્પમાં આઠ પ્રાયશ્ચિત્ત હોય છે. નિગ્રંથને આલોચના અને વિવેકરૂપ બે પ્રાયશ્ચિત્ત હોય છે. સ્નાતકને વિવેકરૂપ એક પ્રાયશ્ચિત્ત હોય છે. સામાયિકસંયમવાળાને સ્થવિર કલ્પમાં છેદ અને મૂલથી રહિત આઠ પ્રાયશ્ચિત્ત હોય છે. જિનકલ્પમાં તો છ પ્રાયશ્ચિત્ત હોય છે. છેદોપસ્થાપનીય સંયમવાળાઓને સ્થવિર કલ્પમાં દશે પણ પ્રાયશ્ચિત્ત હોય છે. જિનકલ્પમાં તો આઠ પ્રાયશ્ચિત્ત હોય છે. પરિહારવિશુદ્ધિ સંયમવાળાઓને સ્થવિકલ્પમાં આઠ અને જિનકલ્પમાં છ પ્રાયશ્ચિત્ત હોય છે. સૂક્ષ્મસં૫રાય સંયમવાળાઓને આલોચના અને વિવેકરૂપ બે પ્રાયશ્ચિત્ત હોય છે. આ પ્રમાણે શ્રી વ્યવહારસૂત્રના દશમા ઉદ્દેશાની વૃત્તિમાં કહ્યું છે.
આ દશ પ્રાયશ્ચિત્તમાંથી છેલ્લા બે પ્રાયશ્ચિત્ત ચૌદપૂર્વીઓની સાથે વ્યવચ્છેદ પામ્યા. બાકીના આઠ પ્રાયશ્ચિત્ત દુષ્પ્રસહસૂરિના અંત સુધી રહેશે એમ જાણવું.
બાહ્યતપોના ભેદો કરતા પ્રાયશ્ચિત્ત વિશેષ કર્મક્ષયનો હેતુ હોવાથી તેને અત્યંતર તપ રૂપે સ્વીકારવું.
ગુરુની આગળ પોતાના અતિચારની આલોચના કરનારને અલ્પ પણ તપથી શુદ્ધિ થાય છે એ પ્રમાણે આગમમાં પ્રતિપાદન કરેલું છે. જ્યારે અતિચારની આલોચના નહીં કરનારને ઘણા તપથી પણ શુદ્ધિ થતી નથી. આ વિષયમાં લક્ષ્મણા સાધ્વી વગેરે દૃષ્ટાંતો સંભળાય છે. આ પ્રમાણે પ્રાયશ્ચિત્ત પૂર્ણ થયું.
(૨) વિનય
જ્ઞાન, દર્શન, ચારિત્ર અને ઉપચારના ભેદથી વિનય ચાર પ્રકારનો છે. તેમાં બહુમાનપૂર્વક જ્ઞાનગ્રહણ કરવું, જ્ઞાનનો અભ્યાસ કરવો, જ્ઞાનનું સ્મરણ કરવું ઇત્યાદિ `જ્ઞાન વિનય છે. સામાયિક આદિ સઘળા ય શ્રુતમાં ભગવાને પ્રકાશિત કરેલા પદાર્થો ખોટા