________________
પરિચયના પગથારે, અંતરના ઓવારે
લીધા સંયમ અણમોલ, ઝીલ્યા વરના બોલ |
કીધાં કર્મ અડોલ, દીધાં દેશદેશે કોલ !” આકાશના થાળમાં વેરાયેલા તારલાઓની વિરાટ રાશિને કોઈ માપી શકવા સમર્થ નથી. છતાં કદાચ પ્રયત્ન દ્વારા માપી શકે, કદાચ તે ટમટમતા તારલાઓ તોડીને છાબડી ભરી દે, સાગરનું પાણી માપીને ગાગરો ભરી દે, આકાશને આંબવા આમતેમ દોડતાં વાદળોને ય કોઈ પકડી રાખે,
પણ... પણ જગતની મહાવિભૂતિઓની મહાનતા કદી માપી શકાતી નથી. અમ પૂજ્યશ્રીના ગુણોની મહાનતા કહેવા કોઈ સમર્થ નથી. વાણી-વચનો વામણાં બની રહે. પૂજયશ્રીનું જીવન તો સાક્ષાત્કાર પામવા જેવી ચીજ છે.
ભાગ્યવંત ભારતની ભવ્ય ભૂમિ ઉપર, ગરવી ગુજરાતની ગરિમા સરખા, સોહામણા સોરઠ દેશે, શત્રુંજય નદીના કિનારે, ગિરિરાજની ગોદમાં વસેલું રોહિશાળા ગામ હતું. આ વાત ૬૩ વર્ષ પહેલાંની છે. લીલીછમ તે ધરતી ઉપર પૂ. દેવીશ્રીજી મ.સા. પરિવાર સાથે વિહાર કરતાં આવ્યાં. યોગાનુયોગ કમળાબેન (અમદાવાદવાળાં) પોતાની બંને લાડકી દીકરીઓને લઈને પાલીતાણા આવ્યાં. દાદાની યાત્રા કરીને, રોહિશાળાએ બિરાજતાં પોતાના ગુરુ પાસે પહોંચી ગયાં. તે દિન તે ઘડી તે પળ કંઈક જુદી જ હશે. વૈશાખ સુદ દશમી, પ્રભુ વીરનો કેવલજ્ઞાનનો ઝળહળતો દિન હતો. કમળાબેન અને બંને સુપુત્રીઓએ સંસારને અલવિદા આપી. સંયમની વાટડી પકડી. પ્રભુવીરના પંથે જવા સંયમના સ્વાંગ સજી લીધા. આગાર છોડી, અણગાર બન્યાં.
પૂ. ગુરુદેવ દેવીશ્રીજી મ.સા.ના ચરણે પુનિત આત્માઓએ પોતાનું જીવન સમર્પિત કરી દીધું. ગુરુજીએ તરણતારણ રજોહરણની અમૂલ્ય ભેટ દીધી. ત્રિપુટીએ ગુરુની શરણાગતિ સ્વીકારી. સંસારનાં નામ સંસારમાં મૂક્યાં. માર્ગ નવો, વેષ નવો, નામ પણ નવાં. કમળાબેન (ઉંમર વર્ષ ૩૦) પૂ. કમળપ્રભાશ્રીજી મ.સા., સુશીલાને (ઉંમર વર્ષ ૧૯) બદલે પૂ. સૂર્યપ્રભાશ્રી મ.સા., તારાને (ઉંમર વર્ષ ૯) બદલે પૂ. તિલકપ્રભાશ્રી મ.સા.
બીજના ચંદ્રમાની કળા જેમ દિન-પ્રતિદિન વધતી જાય તેમ ગુરુકુળવાસમાં વસતાં નવદીક્ષિતોએ આસેવન શિક્ષાથી યુક્ત સાધના-આરાધના-જ્ઞાન-ધ્યાન-તપ આદર્યો. પ્રગતિના પંથે પ્રયાણ આરંભાયું. રત્નત્રયીની ધૂણી ધખાવી, ગુરુની અપરંપાર કૃપાએ તેઓ ઘણા આગળ વધવા લાગ્યાં. પૃથ્વીતળને વિષે ગુરુ સાથે ગામ-નગર શહેરમાં વિચરવા લાગ્યાં. .