________________
દર્શનશુદ્ધિનો મૂળમંડપ-“મૈત્રીભાવ”-૪
(માનવીને મહાલવાનો મૂળમંડપ તે મૈત્રીભાવ. મૈત્રીભાવથી નીચેની ભૂમિકા ઉપર રહીને મહાલવું-આનંદવું જેને પાલવે, તેમ જ ગમે તેને વિવેકી-માનવ ન કહી શકાય. પોતાને મળેલા મનનો, જગતના સર્વજીવોના હિતની ભાવનાપૂર્વક સદુપયોગ કરવા વડે પ્રભુજીના શાસનને પામેલો આત્મા અલ્પ કાળમાં કેટલું બધું દેવું ચૂકવી શકે છે તેમ જ જો તેનો સદુપયોગ ન કરે તો કેટલા મોટા પાપના દેવામાં આવી પડે તત્સંબધી સુંદર વિચારણા “મૈત્રીભાવ” વિષયક આ લેખમાં રજૂ કરવામાં આવી છે. સં.)
મનુષ્ય એક વિચારશીલ પ્રાણી છે. સમગ્ર જીવસૃષ્ટિનો વિચાર કરીશું તો તેમાં મનુષ્ય જીવન ઘણું જ ચઢિયાતું જીવન માલમ પડ્યા વિના રહેતું નથી. જો કે સર્વ મનુષ્યો વિકાસની ટોચે પહોંચેલા હોય છે એવો દાવો કોઈ કરી શકે નહિ, તો પણ એમ તો નિઃશંકપણે કહી શકાય કે વિકાસની સર્વોત્તમ ટોચે પહોંચે છે તે મનુષ્ય જ હોય છે. એટલી સુંદર તક મનુષ્ય સિવાય બીજાને મળી શકતી નથી તેથી જ મનુષ્ય જન્મ બીજા ભવો કરતાં શ્રેષ્ઠ ગણાય છે. પરંતુ તેની શ્રેષ્ઠતા શાના આધારે છે, તે વાત ખૂબ જ ગંભીરતાપૂર્વક વિચારણા માગી લે છે.
મનુષ્યજીવનમાં શ્રવણનું ઘણું મહત્ત્વ છે. બુદ્ધિના આઠ ગુણોમાં તેને સૌથી પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. કારણ કે શ્રવણથી જ મનુષ્ય પોતાનું કલ્યાણ શામાં છે તે બરાબર સમજી શકે છે.
શ્રવણ પછી બુદ્ધિમાન મનુષ્ય ક્રમે કરીને મનનની ભૂમિકામાં પ્રવેશ કરી શકે છે. મનનની ભૂમિકામાં બુદ્ધિ આગળ વધે છે. તે વસ્તુના મૂળ કારણને શોધવા પ્રયાસ કરે છે. તમામ દર્શનશાસ્ત્રોના સમન્વયનું મૂળ મનુષ્યોની મનનની ભૂમિકા છે. આ વિશ્વ શું છે? તે શાને આધારે ચાલી રહ્યું છે? જીવાત્માનું સ્વરૂપ કેવું છે? પરમાત્મા કેવા હોઈ શકે ? જીવોનો બીજા જીવોની સાથે અને જીવોનો પરમાત્માની સાથે કેવી રીતે ભેદભેદ સંબંધ રહેલો છે, જીવોને બંધન શાથી થાય છે અને તેમાંથી છૂટવાનો વાસ્તવિક ઉપાય શું હોઈ શકે, વગેરે દર્શનશુદ્ધિના વિચારોમાં મનનની ભૂમિકાવાળો જીવ આગળ વધે છે અને એ રીતે મનન કરતાં આખરે સત્ય વસ્તુ તેની સમજમાં આવી જાય છે.
આ દર્શનશુદ્ધિમાં મૂળમંડપ સ્થાને મૈત્રીભાવ છે. કોઈ પણ સુજ્ઞ ચિંતક સૂક્ષ્મતાથી સૃષ્ટિના વસ્તુસ્વભાવનું અવલોકન કરે છે, ત્યારે તેને પ્રત્યક્ષ એવો અનુભવ થાય છે કે આ વિશાળ અને વિરાટ વિશ્વનું વ્યવસ્થિત સંચાલન સર્વ જીવોના સર્વોદયના
ધર્મ-ચિંતન • ૬૧