________________
એ વિશ્વવ્યવસ્થાના કાર્ય-કારણ ભાવને આહતદર્શનમાં સુંદર રીતે સમજાવેલ છે. એટલે પ્રથમ તીર્થંકરનો કલ્પ છે કે સૌથી પહેલાં તીર્થનું ઉદ્ઘાટન કરવાની સાથે પ્રવૃત્તિ ધર્મ અને નિવૃત્તિધર્મ સ્થાપિત કરે છે. તે પ્રવૃત્તિધર્મ દાન, શીલ, તપ અને ભાવ એમ ચાર પ્રકારે છે એમાં પણ સૌથી પ્રથમ દાન છે. દાન એ જ પરોપકારનો પંથ છે તે માટે વિશ્વના વિધાનને અનુસરીને દાનને પ્રથમ સ્થાન આપવું પડે છે, કેમ કે તે સિવાય કોઈ પણ રીતે ધર્મમાં આગળ વધી શકાય તેમ નથી. નિવૃત્તિધર્મ સાધવા માટે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવની જે યોગ્ય સામગ્રી મળવી જોઈએ તે પ્રવૃત્તિધર્મ સિવાય મળી શકતી નથી. જેમ કુશળમાં કુશળ ચિત્રકાર પણ રંગ, પીંછી વગેરેની સામગ્રી વગર પોતાની કળાને સક્રિયરૂપ આપી શકતો નથી તેમ મુક્તિના માર્ગમાં પ્રવૃત્તિધર્મની આવશ્યકતા અનિવાર્ય છે. એટલે ધર્માનુશાસનમાં તીર્થ અને મોક્ષ એ મોટામાં મોટા બે અંગો ગણાય છે. તીર્થનો લોપ કરનારો મોક્ષ સાધી શકતો નથી, તીર્થની આરાધનાની ચરમ સીમા મોક્ષમાં સ્વાભાવિક રીતે મળી જાય છે, જેમ નદી અંતે સમુદ્રમાં તદ્રુપ થઈ જાય છે. તીર્થની આરાધનામાં પરોપકારની પ્રક્રિયા દિવસે દિવસે વધતી જાય છે. જેમ જેમ પરોપકારવૃત્તિ વધે તેમ તેમ પાપભીરુતા વધતી જાય છે અને પાપભીરતા વધતાં આત્મભાવ ખીલતો જાય છે. આત્મભાવમાંથી આત્મસ્વભાવની સહજ-સર્વ સત્ત્વક્ષેમકરી શક્તિ ખીલતી જાય છે. સૂર્ય અને ચંદ્રમાંથી પ્રાણીઓના પ્રાણને પોષણ કરનારા સત તત્ત્વો જેમ સ્વભાવથી મળે છે તેવી રીતે પરમોત્કૃષ્ટ આત્મતત્ત્વમાંથી આવી અપૂર્વ સ્વાભાવિક શક્તિનો પ્રાદુર્ભાવ થાય છે. એવું : સમ્યજ્ઞાન થયા પછી પોતાનું શરીર પણ અધિકરણરૂપ ભાસે છે અને શેરડીના સાંઠાનો રસ ચૂસ્યા પછી કુચા છોડવાની વૃત્તિની જેમ ત્યાગવૃત્તિ પેદા થાય છે. તેવા પ્રબળ જ્ઞાનવાળા આત્માઓને પોતાનો દેહાધ્યાસ રહેતો નથી. દેહાદ્યાસ મુક્ત કરવાનો પ્રયોગ કહો ચાહે કાયોત્સર્ગ-ધ્યાનની ઉત્કૃષ્ટક્રિયા કહો તેમાં વિશેષ પ્રકારે ઉત્તરોત્તર પ્રગતિ સાધતો જ્ઞાની જીવ સર્વજીવોના સર્વોદયના શાશ્વત કારણભૂત સિદ્ધત્વને પ્રાપ્ત થાય છે. બધી ક્રિયાઓમાં ધ્યાનક્રિયા ઉત્કૃષ્ટ ગણાય છે. પરમપૂજય ઉપાધ્યાયજી શ્રીયશોવિજયજી મહારાજ સ્તવનમાં ફરમાવે છે કે પ્રભુનું ધ્યાન એ જ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્યારિત્ર છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે જે આજ સુધી મોક્ષે ગયા છે અને જશે એ બધો પ્રભુના ધ્યાનનો પ્રભાવ છે, એટલે પરોપકારના પાયા ઉપર આત્મા શુક્લધ્યાનની પરમોત્કૃષ્ટ સ્થિતિ સુધી પહોંચે છે, પ્રાણી માત્રના પરમમહોદયરૂપ સર્વોત્તમ સિદ્ધપદને પ્રાપ્ત કરે છે. માટે દર્શન શુદ્ધિનો પાયો “પરોપકાર” છે.
"छायामन्यस्यकुर्वन्ति, स्वयंतिष्ठन्ति चातपे । फलंति च परस्यार्थे, नात्महेतोर्महाद्रुमाः ॥"
૬૦ ધર્મ-ચિંતન