________________
પુત્રને ખવડાવે છે તેવી જ રીતે અરિહંતપદ મોક્ષની સાથે મોક્ષની યોગ્યતા અને મોક્ષની સુંદર સાધન સામગ્રી આપે છે, એટલે જ તે મહાગોપ, મહામાયણ, મહાનિર્ધામક અને મહાસાર્થવાહ કહેવાય છે. ચિત્રકાર ગમે તેટલો હોશિયાર હોય તો પણ પીંછી અને રંગ વિના સુંદર ચિત્રામણ કરી શકતો નથી. તેમ પુણ્યાનુબંધી પુણ્યની સામગ્રી વિના આત્મસાધના થવી અશક્ય છે. શ્રીઅરિહંત પુણ્યના પરમેશ્વર છે અને અધ્યાત્મના અધીશ્વર છે એટલે જયાં સુધી અધ્યાત્મ સાધનાને યોગ્ય બાહ્ય-અત્યંતર સામગ્રી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તો શ્રીઅરિહંતનો આશ્રય લેવો નિતાન્ત આવશ્યક છે.
મારા એક મિત્રે મને પૂછ્યું કે અરિહંતના પણ સાધ્યબિંદુ એવા સિદ્ધપદની સાધના પ્રથમ કેમ ન કરીએ ? મારે ટુંક શબ્દોમાં કહેવું પડ્યું કે સંસારમાં પુત્રી માટે પતિનું સ્થાન પિતા કરતાં પણ ઊંચું ગણાય છે. છતાં પિતાની મંજૂરી વિના સ્વચ્છંદપણે પતિને અર્પણ થનારી પુત્રી પાપાચારિણી કહેવાય છે અને પિતાની મર્યાદાને માન આપી પતિને અર્પણ થનારી પતિવ્રતા કહેવાય છે તથા સતીઓની શ્રેણિમાં ચઢી શકે છે.
ઘણા વર્ષ પહેલાં મદ્રાસની હાઈકોર્ટમાં ચાલતા એક મોટા કેસમાં હિંદ અને હિંદ બહારના નિષ્ણાત ધારાશાસ્ત્રીઓ આવેલા. તેમાં એક અંગ્રેજી બેરીસ્ટરે અહીંના વયોવૃદ્ધ નિષ્ણાત વકીલને પ્રશ્ન કર્યો કે વિલાયતની પ્રજા આટલી બધી શિક્ષિત અને સભ્ય ગણાય છે, છતાં ત્યાંના દામ્પત્ય જીવનમાં સાચો પ્રેમ નથી, જયારે અહીંની અભણ પ્રજાના દામ્પત્ય જીવનમાં સાચો પ્રેમ દેખાય છે, તેનું કારણ શું? એક જ વાક્યમાં તેણે જવાબ આપ્યો કે, ‘તમારે ત્યાં પ્રેમથી લગ્ન થાય છે અને અમારે ત્યાં લગ્નથી પ્રેમ થાય છે.” અર્થાત્ વડીલોના અનુશાસનપૂર્વક લગ્ન થાય છે માટે પ્રેમ અખંડપણે સચવાય છે. તેવી જ રીતે દાઝાંતિકમાં અરિહંત પ્રભુના અનુશાસનપૂર્વક સિદ્ધપણાની સાધના કરતાં શીખવું જોઈએ. બીજા શબ્દોમાં વ્યવહાર કુશળતાપૂર્વક નિશ્ચય તરફ પગલાં ભરવા જોઈએ.
ધર્મચક્રના બે અંગ છે, એક તીર્થ અને બીજું મોક્ષ. તીર્થ માતા સમાન છે, મોક્ષ પિતા સમાન છે. માતાનો વફાદાર જ પિતાનો વફાદાર હોઈ શકે, તેવી જ રીતે વ્યવહારને પૂર્ણ રીતે માનનારો નિશ્ચયમાં વિકાસ સાધી શકે છે. અરિહંતપદને પૂજી જાણે તે જ સિદ્ધને પૂજવા યોગ્ય ગણાય છે. માટે પ્રથમ અરિહંતની ભક્તિને પોતાના જીવનનો આદર્શ સ્થાપી અધ્યાત્મમાર્ગમાં આગળ વધવાનો પ્રયત્ન કરવામાં કલ્યાણ છે.
પ૬ ધર્મ-ચિંતન