________________
હવે ભક્તિમાં કેવી રીતે આગળ વધી શકાય તે જોઈએ. જેમ વૃષ્ટિ માટે વનખંડોનું રક્ષણ કરવું અનિવાર્ય છે, જેમ કુવાને નિર્મળ પાણીથી ભરેલો રાખવો હોય તો પાડોશીને પણ કુવાનું પાણી લઈ જવા માટે પ્રેમપૂર્વક દ્વાર ખુલ્લાં મૂકવા જોઈએ, તેવી રીતે અરિહંતને પૂજવા હોય તો તેઓના ચતુર્વિધ શ્રીમહાસંઘની ભક્તિ-વિનયવૈયાવચ્ચ અને સેવા-શુશ્રુષા કરવી જ પડશે, તથા સાતે ક્ષેત્રોને સુંદરમાં સુંદર રીતે પુષ્ટ કરવાં પડશે, પ્રભુના આગમે માનેલા સૂક્ષ્મ-બાદર અથવા ત્રસ-સ્થાવર સર્વ જીવો સાથે મૈત્રીભાવના ભાવવી જ પડશે, અને તેમના શાસનને જયવંતુ વર્તાવવાના માર્ગમાં તનમન-ધનથી તૈયાર રહેવું પડશે તથા તેના અહિંસા-સંયમ અને તપના આંદોલનો અખંડધારા-પ્રવાહી રાખવા માટે પુરુષાર્થી બનવું પડશે. તથા આત્મવાદના પવિત્ર આંદોલનોના ઉપયોગમાં આવતા નાના કે મોટા દરેક ઉપકરણોને પ્રાણ જેવા પ્રિય માનવા પડશે. તો જ સાચી ભક્તિ, સાચી પૂજા, સાચી કૃતજ્ઞતા અને સાચી કર્તવ્યપરાયણતા કહેવાશે.
ભક્તિનો સર્વાંગ સુંદર માર્ગ એ છે કે પ્રભુના ચરણથી સ્પર્શ થયેલી ભૂમિના રજકણો પણ શિરસાવંદ્ય છે. પ્રભુના આગમનાં પ્રત્યેક વાક્ય અમૃત કરતાં મીઠા છે અને પ્રભુશાસનનાં એક એક સ્મારક સ્વર્ગ કરતાં પણ સુંદર છે. તેના સહુથી નાનામાં નાના સેવકો પણ પોતાના સંતાન કરતાં વધારે વહાલા છે એવી રીતે જીવનને સક્રિય બનાવવા તત્પર રહેવું પડશે. અને તેમાં જેટલો પ્રમાદ સેવાય તેનો સાચા દીલથી પશ્ચાત્તાપ કરતાં રહેવું પડશે. તેનું જ નામ સાચી ભક્તિ છે.
સંસારનાં પ્રસિદ્ધિ પામેલાં લગભગ બધાં દર્શનો ભક્તિની વ્યાખ્યામાં પોતપોતાના ઇષ્ટ માટે મળતાઝુલતા જ છે. કોઈ કહે છે નરને ઓળખે તે જ હરને ઓળખે. કોઈ કહે છે જીવને ઓળખે તે જ શિવને ઓળખે. કોઈ કહે છે રૂહને ઓળખે તે રહીમને ઓળખે. જે પિંડ (Micro-Cosom) ને જાણે તે જ બ્રહ્માંડ (MacroCosom)ને જાણે. તાત્પર્ય એ છે કે જેમ રાજ્યને માનનારો રાજાને માનનારો ગણાય તેમ અરિહંત પ્રભુના શાસનનો સાચો સેવક, સાચો વફાદાર અને ભક્ત તે જ શ્રીઅરિહંતનો ભક્ત બની શકે. તેવા પ્રકારની ભક્તિ જ દર્શનશુદ્ધિની ભૂમિકા ગણાય.
ધર્મ-ચિંતન ૦ ૫૭