________________
ભાવનાનું બળ
(જેના સિવાય જીવનમાં સૂનકાર ફેલાઈ જાય છે, ભવસ્થિતિ પાકતી નથી એ ભવનાશિની અમોઘ શક્તિ ભાવનાના પ્રકાર અને તેના સ્વરૂપ ઉપર આ લેખમાં સુંદર પ્રકાશ પાડવામાં આવ્યો છે. આત્મભાવના ઉચ્ચતમ પ્રકાશના પક્ષકાર બનાવનાર લેખ છે. સં.)
વિશ્વના તમામ જીવો સુખી થાઓ, સર્વજીવો કર્મમુક્ત થાઓ, સર્વ જીવો મોક્ષના અવ્યાબાધ સુખોને પામો, સર્વત્ર સુખ અને શાંતિ પ્રસરો, સર્વત્ર સજ્ઞાન અને સદ્વિચારો પ્રસાર પામો, આ જાતિની શુભ વિચારણાઓને ભાવના કહેવાય છે. શુભ ભાવનાઓ કદી પણ નિરર્થક જતી નથી. શુભ ભાવનાઓ એ સદ્વિચારરૂપ હોવાથી તે વિચારની આકૃતિઓ સૂક્ષ્મ ભૂમિકામાં બંધાય છે અને ચારે તરફ ફેલાય છે. તે આકૃતિઓ અન્ય મનુષ્યોના મનના સંબંધમાં આવે છે અને તેનામાં પણ એવા વિચારો જાગૃત કરે છે. વળી જે વ્યક્તિ શુભ ભાવનાઓ કરે છે, તે વ્યક્તિ પોતે શુભ વિચારોનું કેન્દ્રસ્થાન મધ્યબિંદુ બને છે અને તેથી જગતમાં જે જે સારા વિચારોનાં રૂપ હોય, તે તેના તરફ આકર્ષાય છે અને તેના શુભ વિચારોને પુષ્ટ કરે છે. વળી આવી ભાવનાઓથી સકલ પ્રાણિમાત્ર સાથે તેને મૈત્રી થાય છે અને ઘણા જીવો સાથે પૂર્વના અશુભ કર્મબંધ થયા હોય તે વિખરાઈ જાય છે. વળી તે શુભભાવનાઓ તેના ક૨ના૨ને શુભ કર્મ કરવા ઉચ્ચ કાર્યો કરવાને પ્રેરે છે તેથી નિરંતર ઉચ્ચ અને શુભ ભાવનાઓ કરવી એટલું જ નહિ પણ તેને યથાશક્તિ અને યથામતિ વ્યવહારમાં ઉતારવાને કટિબદ્ધ રહેવું જરૂરી છે. આત્મવિકાસનું તે અનન્ય સાધન છે.
ભાવનાનું સ્વરૂપ
ભાવનાઓ અનેક પ્રકારની કહી છે. તેમાં મુખ્ય ચાર છે. મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યસ્થ. આ ચાર ભાવનાઓ મુખ્ય એટલા માટે છે કે આ ચાર ભાવનાઓ જેનામાં ન હોય, તે ધર્મ પાળવાને લાયક બની શકતો જ નથી. તે ચાર ભાવનાઓમાં પહેલી મૈત્રી ભાવના છે. બીજી કરુણા, ત્રીજી મુદિતા અને ચોથી માધ્યસ્થ્ય છે. પરના હિતની ચિંતાનો વિચાર તે મૈત્રી છે. પરના દુઃખના નાશનો વિચાર તે કરુણા છે. પરના સુખથી થતા સંતોષનો વિચાર તે મુદિતા છે. ૫૨ના દોષ તરફ ઉપેક્ષાનો વિચાર તે માધ્યસ્થ્ય છે. આ ચાર ભાવનાઓ વિશિષ્ટ પ્રેમરૂપ છે.
એક અપેક્ષાએ ઉચ્ચ જીવ પ્રતિ પ્રેમ તે પ્રમોદરૂપ છે. સમાન પ્રતિ પ્રેમ તે મૈત્રીરૂપ છે. ઉતરતા અને હલકા પ્રતિ પ્રેમ તે અનુક્રમે કરુણા અને માધ્યસ્થ છે. આ ભાવનાઓ જેના અંતરમાં નિરંતર વાસ કરી રહેલી છે, તે મનુષ્યમાંથી દ્વેષ સર્વથા નાશ પામે છે. દ્વેષ નાશ પામવાની સાથે દ્વેષની સાથે સંબંધ ધરાવતા સર્વ દુર્ગુણો સ્વયમેવ વિલય પામે છે. રાગભાવનો નાશ જેમ વૈરાગ્યભાવનાથી છે, તેમ દ્વેષભાવનો નાશ મૈત્રીભાવનાથી છે. સકલ પ્રાણિ પ્રત્યે હિતચિંતાનો ભાવ હોવો એ પ્રત્યેક ધર્માનુષ્ઠાનની સફળતાનો પાયો છે.
૩૨ ૦ ધર્મ-ચિંતન