________________
ચારિત્ર-આત્માનું ઘરેણું (આંતર-બાહ્ય જીવનના ઘડતરમાં ચારિત્ર તથા શ્રમનું જે આગવું, વિશિષ્ટ મૂલ્ય છે, તેનું હૃદયસ્પર્શી વિવરણ આ લેખમાં છે. સં.)
ચારિત્ર્ય એ આત્માનું ઘરેણું છે અને શ્રમ એનો સોનાર છે. એ સોનાર કુદરત, સમાજ અને સંયોગોની એરણ પર ઇચ્છાશક્તિની હથોડી વડે ચારિત્ર્યનો ઘાટ ઘડે છે. હૃદયની ભાવનાઓ અને વાંછનાઓ સોનારૂપ છે, પણ એકલી ભાવનાઓ કે. વાંછનાઓને કશો આકાર હોતો નથી. શ્રમના હાથે ઘડાયા વિના તેમને સ્વરૂપ જ આવતું નથી. શ્રમ શરીરને ઘડે છે, મનને વલણ આપે છે અને ઇન્દ્રિયોને કાર્યક્ષમ બનાવે છે. શ્રમ–સોનારની એરણ પર ટિચાયા વિના ભાવના–સુવર્ણ અલંકાર બનતું નથી. ચારિત્ર્યને નિશ્ચિત અને સ્થાયી આકાર આપવાને માટે શ્રમની દુકાને જવું પડે છે, તેની ભઠ્ઠીમાં તપવું પડે છે, તેની ફુકણીની આંચ લેવી પડે છે, તેનાં હથિયારો વચ્ચે ચગદાવું, છોલાવું અને ઘડાવું પડે છે.
શ્રમ આપણને કુદરતના ખોળે લાવી મૂકે છે. આપણા પગો ધરતીનો પરિચય કરી શકે છે, આપણા હાથો વસ્તુઓને સરળતાથી હેરવી ફેરવી તેની પિછાન કરી શકે છે, આપણી આંખો વસ્તુઓને ભેદી તેની ઓળખ કરી શકે છે, આપણા સ્નાયુઓ ગમે તેવાં હલનચલન માટે કેળવાઈ જાય છે, આપણા મનને ઈચ્છા જાગ્રતિનો અનુભવ થવા લાગે છે, આપણી બુદ્ધિ સંશોધક શક્તિ વડે સમર્થ બની જાય છે. આમ આપણી સમગ્ર જીવન-શક્તિઓને કુદરતની વિશાળ શક્તિઓ સાથે યોગ થાય છે અને આપણા આંતરિક ચારિત્ર્યને જે કુદરતનો માલ-મસાલો જોઈએ તે મળે છે. એથી તે સ્પષ્ટ આકાર ધારણ કરે છે. પણ જે શ્રમથી દૂર નાસે છે તેને કુદરતના, સમાજના અને સંયોગોના ભંડારમાંથી કશું જ મળતું નથી. અને તે ચારિત્ર્યહીન રહી જાય છે. જે મોટરોમાં જ ફરે છે, નોકરો દ્વારા જ કામ કરાવે છે, શરીરને પંપાળીને લાડકુ કરી નાખે છે, મનને સ્વચ્છેદ ઊડતા ભમરા જેવું તરંગી રહેવા દે છે, બુદ્ધિને કસ્યા વગરની બુટ્ટી રહેવા દે છે, તેને જીવનનો ખરો આસ્વાદ મળતો નથી. ભૂખ વિના જેવું ભોજન, લૂણ વિના જેવું અન્ન, તેવું શ્રમ વિનાનું જીવન લાગે છે. ચાવ્યા વિના ખોરાકનો ખરો સ્વાદ આવતો નથી. ઘર્ષણ વિના જેમ વિદ્યુત પેદા થતી નથી, તેમ શ્રમ વિના જીવનમાં સ્વાદ જ રહેતો નથી. આવા લૂખા જીવનને વિકારના, વિલાસના અને ફેશનના કૃત્રિમ મસાલાથી સ્વાદુ કરવાનો પ્રયત્ન ચાલે છે. ઘડીક સ્વાદ આવે છે, તો લાંબે ગાળે જીવનનું આરોગ્ય ચાલ્યું જાય છે.
જીવનનો સાચો આધાર શ્રમ જ છે. ધર્મહીન પાંગળા બની અન્યના શ્રમની
૨૬. ધર્મ-ચિંતન