________________
શ્રદ્ધા ગમે તેવી ભયંકર આપત્તિઓ સામે, ગમે તેવા ઘોર સંકટો સામે સ્થિરતાથી ઊભી રહે છે અને તેની સામે ઝઝુમવાનું બળ પૂર્યા કરે છે. આધ્યાત્મિક ક્ષેત્રમાં તો એ પાયાની વસ્તુ છે. તેના વિના કોઈ સાધના કે અનુષ્ઠાનની ઈમારત ખડી રહી શકતી નથી. આજ સુધીમાં જે મહાપુરુષોએ ઉત્કૃષ્ટ આત્મ-વિકાસ સાધ્યો છે, તે આ શ્રદ્ધાના બળ પર જ સાધ્યો છે.
બુદ્ધિને લક્ષ્મીની ઉત્પાદિકા માનવી એ પણ બરાબર નથી. જો લક્ષ્મી બુદ્ધિથી ઉત્પન્ન થતી હોત તો કોઈ પણ બુદ્ધિમાન નિર્ધન રહેત નહિ. પણ આજે અનેક બુદ્ધિમાન મનુષ્યોને નિર્ધન જોવામાં આવે છે અને સામાન્ય બુદ્ધિવાળાને ત્યાં ધનનીલક્ષ્મીની છોળો ઉછળતી હોય છે, લક્ષ્મી પુણ્યને આધીન છે. એ વાત મહાપુરુષોએ પૂરાં જ્ઞાનથી જાહેર કરી છે.
બુદ્ધિ સર્વકાર્ય-સિદ્ધ-કરે છે, એમ માનવું ઘણું જ વધારે પડતું છે. ગમે તેવી બુદ્ધિ લડાવવા છતાં કાર્યો નિષ્ફળ જાય છે, એમ ઇતિહાસ પોકારીને કહે છે અને આપણો રોજનો અનુભવ તેની સાક્ષી પૂરે છે. મહાભારતનું યુદ્ધ જીતવા માટે કૌરવોએ બુદ્ધિ લડાવવામાં કંઈ બાકી રાખ્યું ન હતું અને વર્તમાન કાળે જર્મનીના સરમુખત્યાર એડોલ્ફ હીટલરે પણ વિશ્વયુદ્ધ જીતવા માટે પોતાની બુદ્ધિનો બધો ખજાનો ખાલી કરી નાખ્યો હતો, છતાં પરિણામ ભયંકર હાલમાં આવ્યું તે આપણે સહુ જાણીએ છીએ.
કાર્યની સિદ્ધિ થવામાં સ્વભાવ, કાળ, નિયતિ, કર્મ અને પુરુષાર્થ એ પાંચ કારણો સામુદાયિક રીતે ભાવ ભજવે છે. એટલે તેનો યશ બુદ્ધિને આપી શકાય એમ નથી.
સત્ય પરિસ્થિતિ આવી હોવાથી બુદ્ધિને વધારે પડતું મહત્ત્વ આપવાનું બંધ કરવું જોઈએ. અને શ્રદ્ધા, વિવેક તથા ક્રિયાનો માર્ગ સ્વીકારી જીવનને સફળ બનાવવું જોઈએ. સુજ્ઞ પુરુષોને આથી વધારે કહેવાનું શું હોય ?
જાપનું ફળ
તપ વિના સુખ નથી, સ્વાધ્યાય વિના જ્ઞાન નથી અને ઈશ્વર પ્રણિધાન વિના મોક્ષ નથી. ક્રિયાયોગનું મુખ્ય અંગ સ્વાધ્યાય છે. મંત્ર જાપ પણ એક પ્રકારનો સ્વાધ્યાય છે. તેથી અંતરાત્માનું જ્ઞાન થાય છે. એ જ્ઞાન એક બાજુ તપની વૃદ્ધિ કરે છે, બીજી બાજુ ઈશ્વર પ્રણિધાનને પુષ્ટ કરે છે. ક્રિયાયોગથી ક્લેશ ઘટે અને સમાધિ વધે છે.
ધર્મ-ચિંતન ૦ ૨૩