________________
ઉત્થાનનો સળંગ ક્રમ બતાવે.
વિષયોના વૈવિધ્ય સાથે એનું વિવિધ દૃષ્ટિએ વિવેચન સાંભળી સાંભળનારાઓ રસતરબોળ બની જતા.
ક્ષેમકર સૌને માટે જાણે તત્ત્વજ્ઞાનની પરબ અને આદર્શગુણોની દાનશાળા હતી !
એની આસપાસ નિત્ય સામાયિકમાં અને પર્વતિથિએ પૌષધમાં તત્ત્વરસિક કલ્યાણ મિત્રોની ઠઠ જામતી ! પૌષધશાળા ભરી ભરી લાગતી !
વસંતપુરના જૈનો સામાયિક અને પૌષધના નિત્ય નૈમિત્તિક કર્તવ્યમાં સજાગ અને તત્પર રહેતા. સામાયિક અને પૌષધના નિવૃત્ત સમયે તેમનો ખોરાક હતો, તત્ત્વશ્રવણતત્ત્વચિંતન અને તત્ત્વમનન !
એની એવી અજબ અસર થઈ કે નગરમાં ગામગપાટા, નિંદા-વિકથા વગેરે તત્ત્વો નાબૂદ થઈ ગયાં.
દાન-પૂજનના, જ્ઞાન-ભક્તિના, વિવેકવિચારના, તપ-જપના મધુરા ગીતો ગુંજવા લાગ્યા.
ક્ષેમકર સંસારની અશુભ પ્રવૃત્તિથી નિવૃત્ત રહેતો ! તે હંમેશાં તત્ત્વચિંતનમાં ગરકાવ રહેતો ! રાત્રિના શાંત વાતાવરણમાં ધ્યાનની મસ્તી માણતો !
પુનમની રાત હતી. ચાંદની ખીલી ગઈ હતી. જગત જંપી ગયું હતું. પશ્ચિમનો સમીર મંદ મંદ વહી રહ્યો હતો. ક્ષેમંકરે એકાંત ઓરડામાં આસન પાથર્યું. પદ્માસન લગાવ્યું. દષ્ટિને નાસિકાના અગ્રભાગે સ્થાપી–હૃદયને જિનેશ્વર ભગવંતના ધ્યાનમાં પરોવી દીધું.
અહા ! કેવું સોહામણું સમવસરણ ! ઘટાદાર અશોક વૃક્ષ ! સ્ફટિકમય સ્વર્ણ સિંહાસન અને ઉપર છત્રત્રયી !
શું અરિહંત પરમાત્માનું રૂપ ! જગતના સર્વજીવોને હિતકર ! અનુપમ ! જેના સૌંદર્યાદિની તોલે કોઈ ન આવી શકે ! અદ્ભુત અતિશયોથી સભર ! અને આમર્ષ ઔષધિ આદિ લબ્ધિઓથી નિર્ભર !
કરોડો દેવો પ્રભુસેવાના કોડથી દોડી આવ્યા છે ! જયનાદોનો ગર્જારવ કરી રહ્યા છે ! મંગલ શબ્દો ઉચ્ચારી રહ્યા છે ! ચોસઠે ઇન્દ્રો પ્રભુચરણોમાં નમી પડ્યા છે ! . ત્રણભુવનની સંપત્તિ પ્રભુચરણોમાં તૃણતુલ્ય દેખાય છે !
૩૮૦ ૦ ધર્મ-ચિંતન