________________
મંગલ-ચતુષ્ટય
‘વનવાસી’
(આંતર્ જીવનને અજવાળનારા આ લખાણને ફરી-ફરીને વાંચવા તેમ જ વિચારવાથી તેમાંના ભાવની ઉપકારકતા સચોટપણે પ્રતીત થશે તેમ જ લાભદાયી નીવડશે. સં.)
(૧)
હીરા, મોતી, મણિ, માણેક, નીલમ ઇત્યાદિ મૂલ્યવાન રત્નોથી લઈને તે રોજબરોજની ચાલુ વપરાશની ચીજો અંગે જાણકારી પ્રમાણે આપણે નિર્ણય કરી શકીએ છીએ, એની ગુણવત્તા સમજી શકીએ છીએ, સમજાવી શકીએ છીએ. એ બધી વસ્તુઓમાંથી રાખવા જેવી, સ્વીકારવા જેવી, નહિ રાખવા જેવી અને ફેંકી દેવા જેવી ચીજો અંગે પણ આપણે યથામતિ નિર્ણય કરી શકીએ છીએ.
આટલું અહીં બરાબર યાદ રાખો, કે એ બધી વસ્તુઓ આપણાથી ભિન્ન છે. આપણે તે બધી વસ્તુઓથી ભિન્ન છીએ.
આપણા મનમાં આવતા અને જતા અસંખ્ય વિચારો વિષે પણ સારા-નરસાનો નિર્ણય આપણે કરી શકીએ છીએ આપણા મનમાં આવતા વિચારો સારા છે, ખરાબ છે, મધ્યમ પ્રકારના છે, ઉપયોગી છે, બિનઉપયોગી છે, આવકાર આપવા લાયક છે કે ફેંકી દેવા જેવા છે, એનો વિચાર, એનો નિર્ણય આપણે કરી શકીએ છીએ.
આપણા મનમાં આવતા આ બધા વિચારો અંગે સારા-નરસાનો નિર્ણય આપણે શી રીતે કરી શકીએ છીએ ? આ પ્રશ્નનો જવાબ મેળવવા માટે આપણી વિચાર શક્તિને આપણે કામે લગાડીશું તો જીવનનું એક અદ્ભુત રહસ્ય આપણી સમક્ષ પ્રગટ થશે.
આ રહસ્ય એ છે, કે જેમ મણિમાણેક ઇત્યાદિ વસ્તુઓ આપણી નથી, તેમ આપણા મનમાં આવતા વિચારો પણ આપણા નથી. એ બધા આપણા મહેમાનો છે, એમની સાથે આપણને પોતાને કશું લાગતુંવળગતું નથી. આ વાતનો વિચાર જો આપણે કરીશું. તો પછી, એ મહેમાનોમાંના આવકારપાત્ર અને જાવકારપાત્ર વિચારો વિષે નિર્ણય કરવાનું આપણને સરળ પડશે. જેના સારા ખોટાપણા વિષે આપણે નિર્ણય કરી શકીએ, તે આપણાથી ભિન્ન વસ્તુ જ હોય આ વાત ઉપર મંથન કરવા માંડીશું, તો એ મંથન આપણને આપણી આંતરિક પરિસ્થિતિનો ખ્યાલ આવશે. ‘આપણે' એમ કહેવામાં આવે છે તે ‘આત્મા' બધાથી ભિન્ન છે અને નિર્ણય કરનારો તે ‘આત્મા' છે. વિચારરૂપી મહેમાનોને આત્મા પોતાનો કબ્જો સોંપી દે, તો પછી એ મહેમાનો ઘરના માલિક બની બેસે તેમાં નવાઈ શું ?
આ વાત ઉપર વિચાર કરતા જાઓ. ‘વિચારો' આપણે નથી, ‘આપણાં’ નથી, ધર્મ-ચિંતન ૦ ૩૨૭