________________
માનસ જાપ થાય છે, તે પ્રાય કંઠ-જાપ હોય છે અને તેને કેવળ સ્મરણ યા રટણની કક્ષામાં મૂકી શકાય. આ સ્મરણ અને રટણ તો સાધનામાં પ્રગતિ કરી ચૂકેલા સાધક માટે સહજ બની જાય છે, પરંતુ તે વિધિપૂર્વકનો “માનસ-જાપ” નથી.
માનસ-જાપના ઉચ્ચારણનું ઉદ્ભવસ્થાન સ્વયં ચિત્તમાં જ હોવું જોઈએ. આ માટે દૃષ્ટિને ભાલપ્રદેશના મધ્યભાગમાં સ્થિર કરવી જોઈએ. બંધ થયેલી આંખોમાં પાંપણની નીચે ઢંકાયેલા નેત્રોનાં બંને રત્નોને આ માટે થોડોક શ્રમ આપવો પડે છે. ભ્રકુટિને જરા અદ્ધર ચડાવીને, નેત્રોનાં રત્નોને જરાક ઉર્ધ્વદિશામાં સ્થિર કરવાથી કપાળના પ્રદેશમાં કંઈક ભાર અનુભવાય ત્યારે સમજવું કે ચિત્તમાં જે આકાશ (અવકાશ) છે, ત્યાં (ભાલપ્રદેશમાં) દૃષ્ટિ સ્થિર થઈ છે. આ રીતે ત્યાં સ્થિર થયેલી દષ્ટિ વડે શરૂ થતા જાપમાં મંત્રાક્ષરોનું ઉચ્ચારણ તે પ્રદેશમાં જ એટલે કે ચિત્તમાં જ ઉદ્ભવે છે.
ચિત્તના આકાશમાં આ રીતે માનસ-જાપ જયારે સ્થિરતા પ્રાપ્ત કરશે ત્યારે ઉચ્ચારણ પણ ત્યાંથી જ, તે પ્રદેશમાંથી જ ઉદ્ભવે છે, તેનો અનુભવ સાધક કરી શકશે. એની સૌથી પ્રથમ પ્રતીતિ તો એ થશે, કે વિચારોની ગરબડસરબડ કે દોડાદોડીનું જોર મંદ પડી જશે અને ધીરે ધીરે અદ્ભુત એકાગ્રતા પ્રાપ્ત થશે. - આ રીતના માનસ-જાપમાં સાધક જેમ જેમ પ્રગતિ કરતો જશે, તેમ તેમ મસ્તકની ઉપરના (અંદરના) ભાગમાં–જ્યાં બ્રહ્મરંધ્ર છે, ત્યાં થોડીક હલચલ થતી હોવાનો અનુભવ થશે.
માનસજાપના આ વિશુદ્ધ પ્રકારનો અભ્યાસ પાડતી વખતે સાધકે ધીરજ રાખવી જોઈએ. જ્યારે શ્રમ પડવા લાગે, ત્યારે માનસ-જાપ બંધ કરીને ઉપાંશુ તથા માનસજાપની વચ્ચેના કંઠ-જાપનો આશ્રય લઈ, ચિત્તના આકાશને આરામ આપવો જોઈએ. ચક્ષુઓનાં રત્નોને પણ અભ્યાસ પડે, તે માટે આરામ આપવાની જરૂર છે.
બીજી એટલી જ મહત્ત્વની વાત કરોડરજ્જુને ટટ્ટાર રાખવાની છે. પદ્માસન, સિદ્ધાસન અને સુખાસન એ ત્રણેનો વારાફરતી ઉપયોગ કરવો. શરૂઆત કરવા માટે સિદ્ધાસન વધુ ઉપયોગી થશે. એનાથી ચિત્તની સ્થિરતા પ્રાપ્ત કરવામાં સારી સહાય મળે છે. પદ્માસન તો ઉત્કૃષ્ટ આસન છે. શારીરિક અસ્વસ્થતા હોય તો શવાસન પણ સારી સહાય કરશે.
ટટ્ટાર કરોડરજ્જુ અને ચિદાકાશમાં (ચિત્તના આકાશમાં એટલે ભાલપ્રદેશમાં) સ્થિર થયેલી દષ્ટિ વડે ચિત્તમાં જ ઉદ્ભવતા ઉચ્ચારણપૂર્વકના જાપની અસર અદ્ભુત છે. મુખમંડળ ઉપર પ્રસન્નતાના ભાવોનું અંકન કરીને આ રીતે ગણવામાં આવેલા ત્રણ જ નવકારનો મહિમા અન્યથા ગણાતા હજારો નવકાર કરતાં વિશેષ છે. એનો અનુભવ સાધકને કાળક્રમે થશે જ.
પરંતુ અન્યથા એટલે કોઈ પણ રીતે ગણાતા શ્રીનમસ્કાર મહામંત્રનું મહત્ત્વ તેથી - જરા પણ ઓછું થતું નથી. જ્યારે રીતસરના જાપ શરૂ કરવાના હોય, ત્યારે “આ મર્કટ
ધર્મ-ચિંતન ૩૨૫