________________
દરિદ્રતા નિવારણનો ઉપાય | (સર્વ પ્રકારની દરિદ્રતાના મૂળમાં કારણ તરીકે રહેલા ધર્મ દારિદ્રયને દાન-શીલ-તપ અને ભાવરૂપ ધર્મની આરાધના દ્વારા ટાળવાનો મનનીય બોધ આ લેખમાં વહી રહ્યો છે. સં.)
દરિદ્રતા એક મોટું દુઃખ છે. દરિદ્રતાને કોઈ ચાહતું નથી. દરિદ્રપુરુષની ગણના એક તણખલા કરતાં પણ ઉતરતી ગણાય છે. ઘાસનું તણખલું ઉપયોગી છે. તેટલી ઉપયોગીતા પણ દરિદ્રપુરુષની દુનિયામાં લેખાતી નથી. એક કવિએ દરિદ્રપુરુષને 'ઉપહાસમાં સિદ્ધપુરુષની ઉપમા આપી છે, તે અક્ષરશ: સત્ય છે. કવિના શબ્દોમાં દરિદ્રપુરુષ પોતાની જાતને ઓળખાવતાં જણાવે છે કે–ખરેખર હું સિદ્ધ છું, જો એમ ન હોય તો હું આખા જગતને દેખું છું પણ મને કોઈ દેખતું નથી, એમ કેમ બને ? અર્થાત્ દરિદ્રપુરુષની સામે નજર કરવા પણ કોઈ જગતમાં તૈયાર નથી. એવી કંગાલ હાલતમાં સમગ્ર જીવન પસાર કરવું કેટલું કષ્ટદાયક હશે, તે તો તેનો અનુભવ કરનાર જ સારી રીતે જાણે, અને એવો અનુભવ આ દુનિયામાં કેટલા આત્માઓને નથી કરવો પડતો ? આજ તો એ દરિદ્રતાનું જ સર્વત્ર સામ્રાજય હોય તેમ ભાસે છે. થોડાક ધનવાન માણસોને બાદ કરતાં મોટા ભાગના મનુષ્યો પોતાનું જીવન કષ્ટથી ગુજારતા માલૂમ પડે છે. જીવન જીવવાની હાડમારીઓ વધતી જાય છે અને સામગ્રીઓ ઘટતી જાય છે. ખાવાને અન્ન, પીવાને જળ, પહેરવાને વસ્ત્ર, રહેવાને ઘર અને કમાવાને ધન એમ દરેક વસ્તુ તંગ હાલતમાં આવતી જાય છે. તે બધા વચ્ચે માર્ગ કાઢવો આજે બુદ્ધિમાન અને સમજદાર મનુષ્યોને પણ કઠિન થઈ પડ્યો છે. દેશનાયકો અને રાજયના અધિકારીઓ એક યોજનાઓ ઊભી કરે છે, પરંતુ દરિદ્રતાનો નાશ કરવાને ઊભી થયેલી તે યોજનાઓ જ જાણે નવી દરિદ્રતાને ખેંચી ન લાવતી હોય તેવો અનુભવ થાય છે. દરિદ્રતાનું કષ્ટ નિવારણ કરવા માટે આજના સમયમાં ભારેમાં ભારે પ્રયત્નો થઈ રહ્યા છે, તો પણ તેને જીતી શકાતી નથી, એ એક નક્કર સત્ય છે. લોક તેને વિવિધ દૃષ્ટિથી જુએ છે અને તેને આજે નહિ તો કાલે દૂર કરી શકીશું, એમ માનીને વિવિધ પ્રકારના પ્રયત્નોમાં મશગૂલ રહે છે.
'अज्जं कलं परं परारं, पुरिसा चिंतंति अत्थ संपत्तिं ।
अंजलि गयं व तोयं, गलंतमाउं न पिच्छंति' ॥१॥ અર્થ - શાસ્ત્રકારો સાચું જ કહે છે કે, પુરુષો અર્થની પ્રાપ્તિને આજે નહિ તો કાલે અને કાલે નહિ તો પરમે એ રીતે થાક્યા વિના ચિંતવ્યા કરે છે, પરંતુ પોતાનું આયુષ્ય ખોબામાં રહેલા જળની જેમ નિરંતર ગળતું રહેતું હોવા છતાં જોતા નથી.
શાસ્ત્રકારોની દૃષ્ટિ દરિદ્રતાના કષ્ટને જુદી જ રીતે જુએ છે અને તે રીત એ છે કે, આ જગતમાં મનુષ્યોને એકલી ધનની દરિદ્રતા જ પીડી રહી છે એમ નથી, પણ રૂપની,
ધર્મ-ચિંતન • ૧૧